FSSAI એ ડાબરને ભ્રામક “100 ટકાના” દાવાઓ સાથે ઉત્પાદનો વેચવાનું બંધ કરવાનો આદેશ આપ્યો
FSSAI એ ડાબરને ભ્રામક “100 ટકાના” દાવાઓ સાથે ઉત્પાદનો વેચવાનું બંધ કરવાનો આદેશ આપ્યો
ડાબર ઈન્ડિયાને મધ, એપલ સાઇડર વિનેગર, કોકોનટ ઓઈલ અને ઘી સહિતના ભ્રામક “100%” દાવા ધરાવતા અનેક ખાદ્ય ઉત્પાદનોનું વેચાણ તરત જ બંધ કરવાનો નિર્દેશ આપ્યો
ભ્રામક “100%” દાવાઓ બંધ કરવા અંગેની અગાઉની નોટિસ છતાં, (FBO) દ્વારા કોઈ સંતોષકારક સુધારાત્મક પગલાં લેવામાં આવ્યા ન હતા
આયુર્વેદિક દવાઓના ઉત્પાદનના ક્ષેત્રની કંપની ડાબર ઇન્ડિયાને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ મધ, એપલ સાઇડર વિનેગર, કોકોનટ ઓઈલ અને ઘી સહિતના ભ્રામક “100 ટકાના” દાવા ધરાવતા અનેક ખાદ્ય ઉત્પાદનોનું વેચાણ તરત જ બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. આમ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ઓર્ગેનિક લેબલિંગના કહેવાતા ઉલ્લંઘનો સામે પણ લાલ આંખ કરી છે. તેમ જ ડાબર ઇન્ડિયાને 15 દિવસમાં એક્શન ટેકન રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ સોમવારે જણાવ્યું હતું કે તેણે “ભ્રામક 100 ટકા” દાવાઓ ધરાવતા ખાદ્ય ઉત્પાદનોના વેચાણ અંગે ડાબર ઈન્ડિયાને વેચાણ પર પ્રતિબંધનો આદેશ જારી કર્યો છે. તેણે કહ્યું કે આમાં મધ, એપલ સાઇડર વિનેગર, વર્જિન કોકોનટ ઓઈલ, તલનું તેલ, ગાયનું ઘી, નાળિયેર પાણી, નાળિયેરનું દૂધ અને અન્ય આવા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. ફૂડ સેફ્ટી રેગ્યુલેટરે જણાવ્યું હતું કે તેણે કંપનીને આ ઉત્પાદનોના વેચાણ પર “તરત જ પ્રતિબંધ” મૂકવા અને 15 દિવસની અંદર એક્શન ટેકન રિપોર્ટ સબમિટ કરવા નિર્દેશ આપ્યો છે. તેણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, “કંપનીની વેબસાઇટ પર વેચાતા ખાદ્ય ઉત્પાદનો પર ભ્રામક 100 ટકા દાવાઓ જોવા મળ્યા હતા” જેમ કે “100% નેચરલ”, “100% પ્યોર”, “100% પ્યોરિટી ગેરંટીડ”, “100% ઓર્ગેનિક” અને “100% ટેન્ડર કોકોનટ વોટર”ના દાવાઓ કરવામાં આવ્યા છે.
FSSAI જાહેરાત અને ઓર્ગેનિક લેબલિંગ ઉલ્લંઘનોનો ઉલ્લેખ કરે છે ફૂડ સેફ્ટી ઓથોરિટીએ જણાવ્યું હતું કે 100 ટકા દાવાઓ FSS (જાહેરાત અને દાવાઓ) નિયમન, 2018 નું ઉલ્લંઘન કરે છે, કારણ કે “તે અસ્પષ્ટ, અપ્રમાણિત છે અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરે તેવા છે.” તેણે સોશિયલ મીડિયા પોસ્ટમાં એવું પણ કહ્યું છે કે કંપનીના ઉત્પાદનો, ડાબર હિમાલયન ઓર્ગેનિક એપલ સાઇડર વિનેગર અને ડાબર ઓર્ગેનિક હની, માન્ય FSSAI ઓર્ગેનિક સમર્થન વિના જૈવિક ભારત લોગો પ્રદર્શિત કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ FSS (ઓર્ગેનિક ફૂડ્સ) નિયમન, 2017 નું ઉલ્લંઘન છે, તેમ તેણે ઉમેર્યું હતું. ડાબર હોમમેડ કોકોનટ મિલ્કને “100% પ્યોરિટી” ના દાવા સાથે માર્કેટ કરવામાં આવ્યું હોવાનું નોંધતા, તેણે ઉમેર્યું કે FSS (જાહેરાત અને દાવાઓ) નિયમન, 2018 હેઠળ મિશ્રિત ખોરાક (કમ્પાઉન્ડ ફૂડ્સ) માટે આવો દાવો સ્વીકાર્ય નથી.
કંપનીને 15 દિવસમાં એક્શન ટેકન રિપોર્ટ સબમિટ કરવા જણાવાયું “ભ્રામક “100%” દાવાઓ બંધ કરવા અંગેની અગાઉની નોટિસ છતાં, (FBO) દ્વારા કોઈ સંતોષકારક સુધારાત્મક પગલાં લેવામાં આવ્યા ન હતા. FSSAI એ ડાબર ઈન્ડિયા લિમિટેડને નોટિસ હેઠળ આવરી લેવાયેલા ખાદ્ય ઉત્પાદનો અને ભ્રામક “100%” દાવા ધરાવતા તમામ અન્ય ખાદ્ય ઉત્પાદનોના વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવા અને 15 દિવસની અંદર એક્શન ટેકન રિપોર્ટ (ATR) સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે,” તેમ ઉમેર્યું હતું. આ એવા સમયે આવ્યું છે જ્યારે ફૂડ સેફ્ટી રેગ્યુલેટર ભ્રામક દાવાઓ, લેબલિંગના ઉલ્લંઘન અને અન્ય ઉલ્લંઘનો માટે વિવિધ ફૂડ બિઝનેસ ઓપરેટરો સામે કાર્યવાહી કરી રહ્યું છે.
