આજના સ્વાતંત્ર્ય દિને નાણાકીય સ્વતંત્રતા માટે માસિક પગાર પરની નિર્ભરતા કેવી રીતે ઘટાડવી તે નક્કી કરી લો
– નાણાકીય સ્વતંત્રતા બચત, રોકાણ અને પેસિવ ઇનકમ (નિષ્ક્રિય આવક) દ્વારા પગાર પરની નિર્ભરતા ઘટાડે છે.
– ઇમરજન્સી ફંડ અને વીમો આવકના અચાનક બંધ થવાના સમયે બચતનું રક્ષણ કરે છે.
– દેવા પરનું નિયંત્રણ લાંબા ગાળાના શિસ્તબદ્ધ રોકાણ માટે વધુ નાણાં મુક્ત કરે છે.
– આવકના મલ્ટિપલ (એકથી વધુ) સ્ત્રોતો નાણાકીય સ્વતંત્રતા અને ઘરની આર્થિક સ્થિતિને મજબૂત કરી શકે છે.
નોકરી કરતા મોટાભાગના લોકો માટે પગાર એ આવકનો મુખ્ય સ્ત્રોત છે. તે બિલ ચૂકવે છે, રોકાણ માટે ફંડ આપે છે અને ઘરના નાણાકીય વહીવટને ચલાવે છે. સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે દરેક નાણાકીય જવાબદારી આવનારા પછીના પગાર પર જ આધારિત હોય છે. નાણાકીય સ્વતંત્રતા એ સમય જતાં તે નિર્ભરતા ઘટાડવા વિશે છે. તેના માટે કોઈએ કામ કરવાનું બંધ કરવાની કે અત્યંત ધનિક બની જવાની જરૂર નથી. મહત્વની વાત એ છે કે જો થોડા સમય માટે પગારની આવક બંધ થઈ જાય, તો શું તમારી બચત, રોકાણ અને અન્ય આવક તમારા ખર્ચાઓ પૂરા કરી શકે છે કે નહીં.
‘સહજમની’ (ફાઇનાન્શિયલ પ્લાનિંગ ફર્મ)ના સ્થાપક અને સેબી (SEBI) રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર (RIA) અભિષેક કુમાર જણાવે છે: “પગારદાર કર્મચારી માટે નાણાકીય સ્વતંત્રતાનો અર્થ એ છે કે તેમની પાસે એટલી બચત હોય કે તેમણે માસિક પગાર માટે કામ ચાલુ રાખવાની જરૂર ન પડે, કારણ કે તેમની મિલકતો અને કેશ ફ્લો (નાણાકીય પ્રવાહ) તેમની જીવનશૈલી અને અન્ય નાણાકીય લક્ષ્યોને જાળવી રાખવા માટે પૂરતા હોય.”
સૌપ્રથમ પાયાની બાબતો સ્પષ્ટ કરો
પ્રથમ પગલું એ સુનિશ્ચિત કરવાનું છે કે કોઈ નાણાકીય આંચકો તમને પૈસા ઉધાર લેવા કે લાંબા ગાળાના રોકાણો તોડવા માટે મજબૂર ન કરે. તેને માટે ઇમરજન્સી ફંડ હોવું જરૂરી છે. જો નોકરી જાય કે અચાનક આવક બંધ થઈ જાય તેવી સ્થિતિ ઊભી થાય, તો ઇમરજન્સી ફંડ તે નિયમિત ખર્ચાઓને પહોંચી વળે છે.
આર્થિક સ્વતંત્રતાની પ્રક્રિયાનો વીમો એ બીજો મહત્વપૂર્ણ ભાગ છે. હેલ્થ ઇન્સ્યોરન્સ હોસ્પિટલના મોટા બિલને કારણે બચત ધોવાઈ જતી અટકાવે છે. નિષ્ણાતો કહે છે કે ઉચ્ચ મધ્યમ વર્ગમાં કોઈ વ્યક્તિને ત્રણ મહિનાની લાંબી બીમારી આવે તો તે પરિવારની આર્થિક સ્થિતિ એટલી કથળી જાય છે કે તે પરિવાર બિલો પોવર્ટી લાઈનની કેટગરીમાં આવી જાય છે. તેથી આરોગ્ય વીમો હોવો જરૂરી છે. આરોગ્ય વીમો ન લેવા માગતા હોવ તો તમે કમાણી કરતાં થાવ તે જ દિવસથી તમારે તમારા આરોગ્યની ભાવિ જરૂરિયાત માટે દર મહિને રૂ. 1000થી રૂ. 2500 અલગ રાખવા જરૂરી છે. તેને આરોગ્યની ભાવિ જરૂરિયાત માટે યોગ્ય રીતે રોકાણ કરી રાખવું જરૂરી છે. આ રીતે તમને કોઈ મોટી માંદગી ન આવે તે રીતે તમારા ફંડને જાળવી રાખવાનું રહેશે. તમારા પચ્ચીસ વર્ષ આ પ્રકારની બચત થતી રહે તો તમારી પાસે મોટી માંદગીના અણધાર્યા ખર્ચને પહોંચી વળવાની
બીજીતરફ લાઇફ ઇન્સ્યોરન્સ કમાનાર વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં તેના પરિવારના તેના પર નિર્ભર સભ્યોને નાણાકીય ટેકો પૂરો પાડે છે. બીજું, પરણિત દંપતિએ નાની વયથી જ ટર્મ ઇન્સ્યોરન્સ લઈ લેવો હિતાવહ છે. તેનાથી પણ પતિ-પત્નીની આર્થિક સલામતી વધે છે. અણધારી આફત આવે અને કુટુંબના મોભીને કંઈક થાય તો ટર્મ ઇન્સ્યોરન્સ તેમને બચાવી લે છે.
ક્રેડિટ કાર્ડ પર ખર્ચ કરવાનું ક્યારેય પસંદ ન કરતાં. શક્ય હોય તો ક્રેડિટ કાર્ડ લેવાનું પસંદ જ ન કરતાં. તેનાથી મોંઘા દેવાને નિયંત્રણમાં લાવવામાં પણ મદદ મળે છે. ક્રેડિટ કાર્ડના બાકી લેણાં અને મોંઘી લોન એ નાણાં છીનવી લે છે જે અન્યથા બચત અને રોકાણમાં જઈ શક્યા હોત. ડેબિટ કાર્ડનો પણ સમ્યક અને સમતોલ ઉપયોગ કરવો જરૂરી છે.
આ બધું કર્યા પછી પગારદારે તેની જોખમ લેવાની ક્ષમતા મુજબ ઇન્વેસ્ટમેન્ટ કરવા જોઈએ. તેને માટે નિયમિત માસિક ખર્ચ જ છે તેમ માની લઈને દર મહિને પગારની દસથી પંદર ટકા રકમ બચત માટે અલગ તારવી લેવાની રહે છે. આ રોકાણ અત્યંત શિસ્તબદ્ધ જ હોવું જોઈએ. તેમાં એક પણ મહિનો ચૂકવો ન જોઈએ. તેમ જ ગમે ત્યારે તેમાંથી ઉપાડ કરી લેવાની માનસિકતા પણ ન રાખવી જોઈએ. દાખલા તરીકે તમે ફિક્સ્ડ ડિપોઝિટ કરવા માંડો. બાર મહિને રૂ. 1 લાખની બચત થઈ જાય તો તે બચત પર વ્યાજની આવક શરૂ થઈ જશે.
એક લાખની બચત પર વાર્ષિક રૂ. 6000થી રૂ. 7000ની વ્યાજની આવક થાય તો તેને દર મહિને એસઆઈપી-સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં માસિક રૂ. 550 કે 600નું રોકાણ ચાલુ કરી શકો છો. આ રોકાણ માસિક રૂ. 2000થી 2500ના ટૂકડામાં ત્રણ અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડમાં રોકી શકો છો. હા, આ સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્કની ફૂદડી સાથેનું રોકાણ છે. પરંતુ તેમાં તમારી મૂડી નથી લાગતી, તમારી વ્યાજની આવક લાગે છે. તમારી મૂડી તો સલામત જ છે. નિષ્ણાતો કહે છે કે કોઈ વ્યક્તિએ રૂ. 50 લાખની હોમલોન 25 વર્ષ માટે લીધી હોય અને તેનો હપ્તો ભરવાની સાથે સાથે તે જો મહિને રૂ. 5000ની એસઆઈપી કર્યા કરે તો 25 વર્ષને અંતે તેણે હોમલોન માટે ચૂકવેલા વ્યાજની રકમ પરત આવી જાય છે. આ શિસ્તબદ્ધ બચત નોકરી કરવાનો કોન્ફિડન્સ વધારે છે. તેમ જ નોકરી જવાનો ડર ઓછો કરે છે. નોકરી જશે તો તે ખર્ચને પહોંચી વળવાની વ્યવસ્થાને ઊભી કરી આપે છે. આ રીતે સક્રિય કામ એટલે કે નોકરીના માધ્યમથી આવક મેળવવાની જરૂરિયાતને ધીમે ધીમે બદલાવ લાવી શકાય છે.
બચત કરીને રોકાણ કરવામાં શિસ્તબદ્ધ રહેશો તો નાણાંકીય સ્વતંત્રતા વહેલી આવશે. હા, કોઈ ચોક્કસ રકમ આપોઆપ કોઈને નાણાકીય રીતે સ્વતંત્ર બનાવી દેતી નથી. તે આંકડો માસિક ખર્ચ, પારિવારિક જવાબદારીઓ અને ભવિષ્યના લક્ષ્યો પર નિર્ભર રહેશે. તમે ક્યાં ઊભા છો તે ચકાસવાનો એક સરળ માર્ગ એ છે કે તમારા અન્ય નાણાકીય લક્ષ્યોને ધ્યાનમાં લીધા પછી તમારા વર્તમાન રોકાણો કેટલા વર્ષોના ખર્ચ સરભર કરી શકે તેમ છે.
તમારે તમારા પગારની આવકના પહેલા મહિનાથી બચત કરવા માટે પહેલા મહિનાથી ઘરના ખર્ચનું આયોજન પણ વ્યવસ્થિત રાખવું જરૂરી છે. ઘર ખર્ચ પણ આડેધડ અને અવિચારી ન જ હોવો જોઈએ. મન ફાવે તે લઈ લીધું તેવી માનસિકતા તમને શિસ્તબદ્ધ આયોજનનથી દૂર રાખે છે. તમારા દરેક ખર્ચને નિયંત્રણમાં રાખવા જરૂરી છે. તેની સાથે ફ્રી લાન્સ વર્કથી એટલે કે એક્સ્ટ્રા વર્કથી આવક થતી હોય તો તે પણ નાના પગારદારોએ કરવી જોઈએ. ફ્રી લાન્સ વર્કની આવકને બચતમાં કન્વર્ટ કરી શકાય છે.
આજકાલ ડબલ એન્જિનનો જમાનો છે. ડબલ એન્જિન એટલે પતિ અને પત્ની બંને નોકરી કરીને કમાણી કરે છે. પરસ્પર પ્રેમ અને વિશ્વાસ હોય તો એકનો પગાર સાવ બચતમાં રાખી શકાય છે. અન્યથા બંનેના પગારમાંથી શક્ય હોય તો 20થી 50 ટકા અલગ તારવીને બચત તરફ ડાયવર્ટ કરી દેવાના રહેશે. આ બચતને પહેલા સંપૂર્ણ સલાતમ એવી બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકી શકાય છે. ત્યારબાદ તેના વ્યાજને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે ડાયવર્ટ કરવું જોઈએ. તેમ કરવાથી આર્થિક સદ્ધરતા ધીમે ધીમે વધી જશે.
વાસ્તવમાાં નાણાકીય સ્વતંત્રતાનો વધુ વ્યવહારુ અર્થ એ હોઈ શકે છે કે નોકરી બદલવા, કામમાંથી બ્રેક લેવા અથવા આગામી પે-ચેકની તરત જ ચિંતા કર્યા વિના અણધાર્યા ખર્ચને પહોંચી વળવા માટે પૂરતી નાણાકીય વ્યવસ્થા ઊભી થઈ જવી જોઈએ. અણધાર્યા ખર્ચનો બોજ તમારી આર્થિક તાકાતને તોડી ન પાડે તેવી સ્થિતિ નિર્માણ કરવાનો છે.
પગારાદાર વ્યક્તિની નાણાકીય સ્વતંત્રતાની વાત કરીએ તો બચત, રોકાણ અને અન્ય આવક માસિક પગાર પર સંપૂર્ણ નિર્ભરતા વગર ખર્ચાઓને પહોંચી વળી શકે તેવી પરિસ્થિતિને નિર્માણ કરવાનો છે. તેથી જ દરેક પગારદારે તેના જીવનમાં આર્થિક આયોજન કરવું જરૂરી છે. તેને માટે ઇમરજન્સી ફંડ બનાવો, પૂરતો વીમો જાળવી રાખો, મોંઘા દેવાં ઘટાડો અને તમારી જોખમ ક્ષમતા અનુસાર નિયમિત રોકાણ કરવું જરૂરી છે. ચકાસો કે તમારા નિયમિત ખર્ચમાંથી કેટલો ભાગ રોકાણ, પેસિવ ઇનકમ અથવા વધારાના આવકના સ્ત્રોતો દ્વારા કવર થઈ શકે છે તે જ તેને માપવાનો એક માર્ગ છે.