બાળકો માટે જોખમી હોવાથી વધુ પ્રમાણમાં ખાંડ, મીઠું ને ફેટ ધરાવતા પેકેજ ફૂડ પર ચેતવણીના લેબલ લગાવડાવો

(The image is symbolic-પ્રતીકાત્મક તસવીર)
સુપ્રીમ કોર્ટનો ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને સવાલ કર્યો તમે શું કૉર્પોરેટ દબાણ સામે ઝૂકી રહ્યા છો?
અમદાવાદઃ સુપ્રીમ કોર્ટે ખાંડ, મીઠું અને સેચ્યુરેટેડ ફેટનું ઊંચું પ્રમાણ ધરાવતા પેક્ડ ફૂડ પ્રોડક્ટ્સ પર પેકેટની આગળના ભાગે ચેતવણી દર્શાવતા લેબલ (ફ્રન્ટ-ઓફ-પેક વોર્નિંગ લેબલ્સ) લગાવવાની બાબતમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની અનિચ્છા સામે સવાલો ઉઠાવ્યા હતા. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેંચ એક કેસની સુનાવણી કરી રહી હતી, જેમાં કોર્ટે અગાઉ જનસ્વાસ્થ્યના હિતમાં આવા ચેતવણી આપતા લેબલ લગાવવા વિચારણા કરવા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને વિનંતી કરી હતી. આજે ફૂડ સ્ટેન્ડર્ડ્સ વોચડોગ દ્વારા યોજાયેલી બેઠકની મિનિટ્સ (રેકોર્ડ)ના આધારે, કોર્ટે ગંભીર નોંધ લીધી હતી કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા આ પ્રકારના પગલાંનો અમલ કરવામાં સંકોચ અનુભવી રહી છે. કોર્ટે પૂછ્યું કે શું ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ખાદ્ય ઉત્પાદન સાથે સંકળાયેલી કૉર્પોરેટ કંપનીઓ સામે ઝૂકી રહી છે?
સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેંચે ટિપ્પણી કરી હતી કે “શું તમે કોર્ટને મજાક સમજી રહ્યા છો? આ તમામ કૉર્પોરેટ કંપનીઓ તરફથી તમારા પર ભારે દબાણ છે અને તમે એ દબાણ સામે ઝૂકી રહ્યા છો! અમે આ કામ જાહેર હિતમાં કરી રહ્યા છીએ, એ વાત ધ્યાનમાં રાખો. અમે અમારા માટે આ નથી કરી રહ્યા. તમે અમારા આદેશનું પાલન કેમ નથી કરી રહ્યા? અત્યાર સુધી તમે શું કર્યું છે? તમારા પરનું દબાણ અમે જાણીએ છીએ. તમે આ તમારી જાતે કરશો કે પછી અમારે આદેશ આપવો પડશે?”
કેન્દ્ર સરકાર તે પોતાની મેળે કરે તો સારું; નહીંતર અમે આગળના નિર્દેશો આપવા માટે કાર્યવાહી કરીશું. અમે અંતિમ નિર્ણય રેકોર્ડ પર રાખવા માટે બે અઠવાડિયાનો સમય આપીએ છીએ
સુપ્રીમકોર્ટે એ ખુલાસાને પણ ફગાવી દીધો હતો કે જો આવા વોર્નિંગ લેબલ દાખલ કરવામાં આવશે તો નમકીન જેવા ઘણા ભારતીય ખાદ્યપદાર્થો પર પણ વધુ ફેટ, સુગર કે સોલ્ટ હોવાનું લેબલ લાગી જશે. કોર્ટે પૂછ્યું, “શું તમે નથી ઇચ્છતા કે આ દેશના લોકો, ખાસ કરીને ઉછરતા બાળકો સ્વસ્થ રહે?” કોર્ટે વધુમાં ટિપ્પણી કરી કે તે કોઈ ચોક્કસ ખાદ્ય ઉત્પાદનની વિરુદ્ધ નથી પરંતુ આવી બાબતોમાં જાહેર જાગૃતિ સુનિશ્ચિત કરવા માંગે છે. કોર્ટે કહ્યું, “આ દેશમાં કેટલા લોકો ડ્રાયફ્રૂટ્સ ખરીદી શકે છે? અને કેટલા બાળકો કુરકુરે ખરીદે છે? તેનાથી જ મોટો તફાવત પડે છે. અમે કોઈ ચોક્કસ ઉત્પાદનની વિરુદ્ધ નથી. અમે ફક્ત એટલું જ ઈચ્છીએ છીએ કે જે વ્યક્તિ ખરીદી રહી છે તેને ખબર હોવી જોઈએ કે તે શું સેવન કરી રહી છે.”
કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર તથા ફૂડ સેફ્ટી સ્ટાર્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને તેમનો અંતિમ નિર્ણય રેકોર્ડ પર રજૂ કરવા માટે બે અઠવાડિયાનો સમય આપ્યો છે. કોર્ટે કહ્યું, “આ તમારી (કેન્દ્ર સરકારની) છેલ્લી તક છે. આગામી વખતે અમે ચુકાદો લખાવીશું.” કોર્ટે પેક્ડ ફૂડ આઇટમ્સમાં સોલ્ટ, સુગર અને ફેટના સ્તરને દર્શાવવા માટે વોર્નિંગ લેબલ પ્રદર્શિત કરવાની માંગ કરતી જાહેર હિતની અરજી પર સુનાવણી કરી રહી હતી. એપ્રિલ ૨૦૨૫માં, કોર્ટે આ મુદ્દા પર પોતાની ભલામણોને આખરી ઓપ આપવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ગઠિત નિષ્ણાત સમિતિને નિર્દેશ આપીને જાહેર હિતની અરજીનો નિકાલ કર્યો હતો. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ પાછળથી કોર્ટ સમક્ષ એક સોગંદનામું દાખલ કર્યું હતું, જેમાં સંકેત આપવામાં આવ્યો હતો કે હજી સુધી આખરી નિર્ણય લેવાનો બાકી છે.
દેશમાં ઊછરી રહેલા બાળકોના આરોગ્યના હિત માટે પેકેજ ફૂડ પર આ ચેતવણી લખવી જરૂરી હોવાનું સુપ્રીમ કોર્ટનું અવલોકન
એફએસએસએઆઈના સોગંદનામામાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે જોકે એક નિષ્ણાત સમિતિએ ઇન્ડિયન ન્યુટ્રિશન રેટિંગ સિસ્ટમ પર વિચાર-વિમર્શ કર્યો હતો અને ૧૪,૦૦૦ થી વધુ હિસ્સેદારોની મંતવ્યો મેળવ્યા હતા, પરંતુ પ્રસ્તાવિત ફોર્મેટ પર કોઈ સર્વસંમતિ સાધી શકાઈ નહોતી. તેમાં વધુમાં સંકેત આપવામાં આવ્યો હતો કે કોઈ અંતિમ નિર્ણય લેતા પહેલા વધારાના સંશોધન, હિસ્સેદારોની સલાહ અને વૈશ્વિક પ્રવાહોના વિશ્લેષણ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ કોર્ટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ને ખાંડ, મીઠું અને સેચ્યુરેટેડ ફેટનું ઊંચું પ્રમાણ ધરાવતા પેક્ડ ફૂડ પ્રોડક્ટ્સ પર પેકેટની આગળના ભાગે ચેતવણી આપતા લેબલ લગાવવા પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. આવી પ્રકૃતિનું લેબલિંગ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રચલિત છે અને તેનો હેતુ ગ્રાહકોને ઝડપથી અને સરળતાથી માહિતગાર થઈને આહાર સંબંધિત પસંદગી કરવા સક્ષમ બનાવવાનો છે, તેવું બેંચે તે સમયે નોંધ્યું હતું.
આજે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરતા અતિરિક્ત સોલિસિટર જનરલ બ્રિજેન્દર ચાહરે વ્યક્ત કર્યું કે ભારતમાં આવું પગલું આદર્શ ન હોઈ શકે કારણ કે અન્ય દેશોના ‘મોળા’ ખોરાકની સરખામણીમાં ભારતીય ખોરાકમાં મીઠું, ફેટ અને ખાંડનું પ્રમાણ વધુ હોય છે. તેમણે કહ્યું, “મુશ્કેલી એ છે કે આપણા દરેક પરંપરાગત ખોરાક પર લાલ પ્રતીક હશે, પછી તે નમકીન વગેરે હોય કે જે ખૂબ નુકસાનકારક હોવાની ચેતવણી આપશે. ફેટ માટેની મંજૂર મર્યાદા દિવસમાં ૧૦ ગ્રામ છે. બે ઇંડામાં પણ ૧૧ ગ્રામ ફેટ હોય છે. ઇંડા પર પણ લાલ પ્રતીક હશે. વિકસિત દેશોમાં ખોરાક સાદો હોય છે, ઓછી ખાંડ, ઓછી ફેટ હોય છે, તે ધોરણો ભારતીય પરંપરાગત ખોરાકને લાગુ પડશે નહીં. દરેક ખાદ્યપદાર્થ પર રેડ લેબલ હશે.”
બાળકોના આરોગ્ય પર અવળી અસરનો ખતરોઃ ખાંડ, મીઠું અને ફેટનું વધુ પ્રમાણ ધરાવતા ખોરાક પર ચેતવણીના લેબલ લગાવવામાં FSSAI ની અનિચ્છા બદલ સુપ્રીમ કોર્ટનો ઠપકો: કોર્ટે દલીલ ન સ્વીકારી
કોર્ટે ટિપ્પણી કરી, “રેડ લેબલ વગર પણ, દરેક જણ જાણે છે કે તેમાં સુગર, ફેટ, કાર્બ્સ વગેરે છે, ખરું ને? આ જાહેર જાગૃતિ લાવવા માટે છે. તમારે નાના બાળકોના સ્વાસ્થ્ય વિશે ચિંતિત હોવું જોઈએ, જેઓ આ બધાના આદતી બની ગયા છે.” કોર્ટે ખાસ કરીને એ પણ પૂછ્યું કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા આવું જનસ્વાસ્થ્યનું પગલું ભરવામાં સંકોચ કેમ અનુભવી રહી છે? બેંચે પૂછ્યું, “ઉત્પાદકોને આ ગમશે નહીં કારણ કે તે તેમના વ્યવસાયને અસર કરી શકે છે. આ ચેતવણીઓ છતાં, તે ખરીદનાર વ્યક્તિની વિવેકબુદ્ધિ પર નિર્ભર કરે છે. તે હજી પણ ખરીદી શકે છે અથવા ન પણ ખરીદે. તમે- ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા આ કરવામાં અનિચ્છા કેમ દર્શાવી રહ્યા છો?”
ASG એ જવાબ આપ્યો, ” માઇક્રો મધ્યમ લઘુ ઉદ્યોગોની એક તૃતીયાંશ આવક પરંપરાગત ખોરાકમાંથી આવે છે. આ તમામની અસર નાના અને મધ્યમ કદના ઉદ્યોગો પર પડશે. જો કે, બેંચે ચેતવણી આપતા કહ્યું કે જો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા આવા લેબલિંગ પગલાંના અમલીકરણમાં વિલંબ ચાલુ રાખશે, તો કોર્ટ તેના માટે આદેશ આપવા મજબૂર બનશે.
કોર્ટે કહ્યું, “જો કેન્દ્ર સરકાર તે પોતાની મેળે કરે તો સારું; નહીંતર અમે આગળના નિર્દેશો આપવા માટે કાર્યવાહી કરીશું. અમે અંતિમ નિર્ણય રેકોર્ડ પર રાખવા માટે બે અઠવાડિયાનો સમય આપીએ છીએ.” કોર્ટે તેના આદેશમાં ઉમેર્યું હતું કે તે સરકારના એ વલણનું સમર્થન નથી કરતી કે ભારત માટે લાગુ પડતા ધોરણો આંતરરાષ્ટ્રીય ફૂડ લેબલિંગ ધોરણો કરતાં અલગ હોવા જોઈએ. કોર્ટે કહ્યું, “અમે કેન્દ્ર સરકારના એ વલણને મંજૂરી આપતા નથી જ્યારે તે કહે છે કે આંતરરાષ્ટ્રીય ધોરણો, ખાસ કરીને વિકસિત દેશો સાથે મેળ બેસાડવો શક્ય નથી. શું ભારતે અવિસિકિત દેશ તરીકે જ રહેવું જોઈએ? આ જ સવાલ અમે કેન્દ્ર સરકાર સામે વિચારવા માટે મૂકી રહ્યા છીએ. વિશ્વને ખબર પડવી જોઈએ કે ભારત તેના નાગરિકો અને ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે ચિંતિત છે.”
કોર્ટે આ મુદ્દા પર પોતાના વિચારો રજૂ કરવાના ઉત્પાદકના પ્રયાસને પણ ફગાવી દીધો હતો. ખાદ્ય ઉત્પાદકનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ એડવોકેટ મનિંદર સિંહને સંબોધતા કોર્ટે કહ્યું, “મિસ્ટર સિંહ, આમાં તમારું કંઈ કહેવાનું થતું નથી. તમે એક ઉત્પાદક છો. આ બાબત નાગરિકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. તમે આટલા ઉતાવળા કેમ થઈ રહ્યા છો? અમને આ મુદ્દાની ગંભીરતા ખબર છે.”
