• 23 August, 2026 - 3:37 AM

ITR સફળતાપૂર્વક ફાઈલ થઈ ગયું? ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ મોકલી શકે છે આ 8 નોટિસ, જાણો શું કરવું

ITR સફળતાપૂર્વક ફાઈલ થઈ ગયું? ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ મોકલી શકે છે આ 8 નોટિસ, જાણો શું કરવું

ઇનકમ ટેક્સ રિટર્ન ઉધાર લેનારની આવકની ચકાસણી કરવા માટેના એક મુખ્ય દસ્તાવેજ તરીકે કામ કરે છે. બેંકો, નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ અને ફિનટેક લેન્ડર્સ અવારનવાર આવકવેરાના રિટર્નેને ખૂબ મહત્વ આપે છે, ખાસ કરીને જ્યારે લોનની રકમ ચોક્કસ મર્યાદાથી વધુ હોય ત્યારે આવકવેરાનું રિટર્ન બહુ જ મહત્વનું બની જાય છે.

ફાઇલિંગનો સતત રેકોર્ડ લેન્ડર્સને બોરોઅરની વાસ્તવિક આવક, કમાણીની સ્થિરતા અને નાણાકીય શિસ્તનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે. પગારદાર કરદાતાઓ, પેન્શનરો, વિદ્યાર્થીઓ અને વ્યવસાયિક આવક ન ધરાવતા અન્ય લોકો માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની 31 જુલાઈની સમયમર્યાદા હવે પૂર્ણ થઈ ગઈ હોવાથી, તેમણે તેમના ઈમેઈલ પર નજર રાખવી જોઈએ અને ઇનકમ ટેક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલ અને કમ્પ્લાયન્સ પોર્ટલ નિયમિતપણે તપાસવું જોઈએ. આ ચેનલો કરદાતાઓને તેમના રિટર્નમાં અસમાનતા અંગે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી મળતા કોઈપણ સંદેશાવ્યવહાર વિશે સતર્ક કરી શકે છે. બેંગલુરુ સ્થિત સેન્ટ્રલાઈઝ્ડ પ્રોસેસિંગ સેન્ટર દ્વારા પ્રોસેસિંગ દરમિયાન નાની ભૂલો ઉકેલાઈ શકે છે, પરંતુ અસ્પષ્ટ આવક જેવા વધુ ગંભીર મુદ્દાઓ સ્ક્રુટિની અથવા વધુ વિગતવાર કર કાર્યવાહી તરફ દોરી શકે છે.

જોકે, ટેક્સ નોટિસ મળવાનો અર્થ એ નથી કે કરદાતા મુશ્કેલીમાં છે. કેટલાક સંદેશાવ્યવહાર આવકવેરા રિટર્ન પ્રોસેસ થયા પછી જારી કરવામાં આવે છે, જ્યારે અન્ય રૂટીન, સિસ્ટમ-જનરેટેડ નોટિસ હોય છે જે સ્પષ્ટતા માંગે છે અથવા કરદાતાઓને ભૂલ સુધારવા માટે કહે છે. કેટલાક કેસોમાં, ડિપાર્ટમેન્ટ કોઈ આગળની કાર્યવાહી કરતા પહેલા કરદાતાને કોઈ મુદ્દા પર સ્પષ્ટતા કરવાનો અથવા માહિતી સુધારવાનો અવસર આપી શકે છે.

આવકવેરાનું રીટર્ન ફાઈલ કર્યા પછી પગારદાર કરદાતાઓને મળી શકે તેવી 8 પ્રકારની ટેક્સ નોટિસ

1. સેક્શન 143(1)(a) તમારું આવકવેરાનું રિટર્ન પ્રોસેસ કરતી વખતે સંભવિત અસમાનતા કે સ્પષ્ટ ભૂલ જણાશે તો ટેક્સ ડિપાર્ટમેન્ટ આ નોટિસ જારી કરી શકે છે.  આ મુદ્દો ડિડક્શન, ટેક્સ ક્રેડિટ અથવા એમ્પ્લોયર્સ, બેંકો અને અન્ય રિપોર્ટિંગ સંસ્થાઓ પાસેથી મળેલી માહિતીથી સંબંધિત હોઈ શકે છે. તમારા ટેક્સ રેકોર્ડ્સ સાથે સૂચવવામાં આવેલા એડજસ્ટમેન્ટને ચકાસી લેવા જરૂરી છે. જો ડિપાર્ટમેન્ટની ગણતરી સાચી હોય, તો તેનો સ્વીકાર કરો. જો તમે અસહમત હોવ, તો નિર્ધારિત સમયમર્યાદા પહેલા સંબંધિત સહાયક દસ્તાવેજો સાથે ઓનલાઈન જવાબ સબમિટ કરો.

2. સેક્શન 139(9) જો ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટને જણાય કે તમારા ફાઈલ કરેલા રિટર્નમાં ભૂલો છે, કેટલીક માહિતી આપવાની રહી ગઈ છે અથવા જરૂરી વિગતોનો અભાવ છે, તો આ સેક્શન હેઠળ નોટિસ મોકલી શકાય છે. તમારે નોટિસમાં દર્શાવેલ ખામીઓને દૂર કરવી જોઈએ અને આપેલ સમયમર્યાદામાં સુધારેલું રિટર્ન ફાઈલ કરવું જોઈએ. જો મુદ્દા સમયસર ઉકેલવામાં નહીં આવે, તો આવકવેરાનું તમે ફાઈલ કરેલું રિટર્ન અમાન્ય જાહેર થઈ શકે છે.

3. સેક્શન 142(1) કરદાતાની આવકનું મૂલ્યાંકન કરવા માટે જ્યારે વધુ વિગતો, દસ્તાવેજો અથવા સ્પષ્ટતાની જરૂર હોય ત્યારે એસેસિંગ ઓફિસર આ નોટિસ જારી કરી શકે છે. જેણે આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવાની જરૂર હતી પરંતુ કરી નથી તેને પણ આ નોટિસ મોકલી શકાય છે. કરદાતાઓએ ઈ-પ્રોસિડિંગ્સ પોર્ટલ દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં માગેલી માહિતી અથવા દસ્તાવેજો પૂરા પાડવા જોઈએ, અને ખાતરી કરવી જોઈએ કે સબમિશન પૂર્ણ છે અને સંબંધિત રેકોર્ડ્સ દ્વારા સમર્થિત છે.

4. સેક્શન 143(2) રિપોર્ટ કરેલી આવક, ડિડક્શન્સ, એક્ઝેમ્પશન્સ અને અન્ય દાવાઓ સચોટ છે કે કેમ તેની તપાસ કરવા માટે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ વિગતવાર સ્ક્રુટિની માટે આવકવેરાનું રીટર્ન પસંદ કરે ત્યારે આ નોટિસ મોકલવામાં આવે છે. કરદાતાએ ડિપાર્ટમેન્ટ દ્વારા પૂછવામાં આવેલા તમામ પ્રશ્નોના જવાબ આપવા જોઈએ અને જરૂરી સહાયક દસ્તાવેજો સબમિટ કરવા જોઈએ. એસેસમેન્ટ કાર્યવાહીનું સમયસર પાલન સુનિશ્ચિત કરવા માટે નિર્ધારિત સમયમર્યાદામાં જવાબો ફાઈલ કરવા આવશ્યક છે.

5. સેક્શન 148 આવકવેરા કાયદા હેઠળ નિર્ધારિત શરતો અને સુરક્ષાને આધીન, જ્યારે આવક એસેસમેન્ટમાંથી છૂટી ગઈ હોવાનું માનવામાં આવે ત્યારે એસેસિંગ ઓફિસર આ નોટિસ જારી કરી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો આવક બતાવવાની રહી ગઈ હોય ત્યારે આ કલમ હેઠળ નોટિસ આપવામાં આવે છે. નોટિ સના કારણો અને આધારની તપાસ કરો, જરૂરિયાત મુજબ સુધારેલું આવકવેરા રીટર્ન ફાઈલ કરો અને વિગતવાર જવાબ આપો. આવી કાર્યવાહીના સ્વરૂપને ધ્યાનમાં રાખીને, પ્રોફેશનલ ટેક્સ સલાહ લેવી યોગ્ય રહેશે.

6. સેક્શન 245 હેઠળ પણ નોટિસ આપવામાં આવે છે. ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તમારા રિફંડને અલગ એસેસમેન્ટ વર્ષની બાકી ટેક્સ જવાબદારી સામે સેટ ઓફ કરવા ઈચ્છતું હોય ત્યારે આ નોટિસ મોકલી શકાય છે. કરદાતાઓએ પહેલા ચકાસવું જોઈએ કે બાકી માંગ કાયદેસર છે કે કેમ અને, જો પુષ્ટિ થાય, તો પ્રસ્તાવિત એડજસ્ટમેન્ટ માટે સંમતિ આપવી જોઈએ. જો માંગ પહેલાથી જ ચૂકવી દેવામાં આવી હોય અથવા વિવાદિત હોય, તો સંબંધિત સહાયક દસ્તાવેજો સાથે ઓનલાઈન વાંધો સબમિટ કરી દેવાના રહે છે.

7. સેક્શન 154 હાલના રેકોર્ડમાંથી સ્પષ્ટ જણાતી ભૂલ, જેમ કે ટેક્સ ઓર્ડરમાં કોઈ ક્લેરિકલ મિસ્ટેક, ગણિત-ગણતરી વિષયક અથવા અન્ય સ્પષ્ટ ભૂલને સુધારવા માટે આ જોગવાઈનો ઉપયોગ થાય છે. પ્રસ્તાવિત સુધારણાની કાળજીપૂર્વક સમીક્ષા કરો. જો ભૂલ વાસ્તવિક હોય, તો સુધારાનો સ્વીકાર કરો. જો તમે અસહમત હોવ, તો કારણો અને સહાયક પુરાવા સાથે તમારા વાંધા સબમિટ કરો.

8. સેક્શન 263 જ્યારે એસેસમેન્ટ ઓર્ડર ભૂલભરેલો અને મહેસૂલના હિતો માટે પ્રતિકૂળ માનવામાં આવે ત્યારે કમિશનર આ જોગવાઈનો ઉપયોગ કરી શકે છે અને તેને રિવાઈઝ કરવાનો પ્રસ્તાવ મૂકી શકે છે. સંબંધિત તથ્યો, દસ્તાવેજો અને લાગુ પડતા કાનૂની આધારો દ્વારા સમર્થિત, એસેસમેન્ટ ઓર્ડર શા માટે બદલવો જોઈએ નહીં તેની વિગતવાર લેખિત સ્પષ્ટતા સબમિટ કરો. આવા કિસ્સાઓમાં સામાન્ય રીતે ટેક્સ પ્રોફેશનલની મદદ લેવાની પણ સલાહ આપવામાં આવે છે.

Read Previous

ગુજરાતમાં બ્લડ પ્રેશર ને હાર્ટની દવાના ૧૫ ડીલરો ફૂડ એન્ડ ડ્રગ કચેરીની ઝપટમાંઃ ડુપ્લિકેટ બેચની દવા વેચતા પકડાયા

Read Next

ફેમિલી ટ્રસ્ટના વિસર્જનથી મળેલી મિલકત પણ ‘વારસાગત’ ગણાશે: અમદાવાદ ITATનો મહત્વપૂર્ણ ચુકાદો

Most Popular