ફેમિલી ટ્રસ્ટના વિસર્જનથી મળેલી મિલકત પણ ‘વારસાગત’ ગણાશે: અમદાવાદ ITATનો મહત્વપૂર્ણ ચુકાદો

ફેમિલી ટ્રસ્ટના વિસર્જનથી મળેલી મિલકત પણ ‘વારસાગત’ ગણાશે: અમદાવાદ ITATનો મહત્વપૂર્ણ ચુકાદો
અમદાવાદ: અમદાવાદ સ્થિત ઇનકમ ટેક્સ અપીલેટ ટ્રિબ્યુનલ (ITAT)ની ‘A’ બેન્ચે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે ફેમિલી ટ્રસ્ટના વિસર્જન બાદ લાભાર્થીને મળતી મિલકત પર ઇનકમ ટેક્સ એક્ટની કલમ 49(1)(iii) હેઠળ ઉત્તરાધિકાર કે વારસાના નિયમો લાગુ પડે છે. આવા કિસ્સામાં મિલકત વેચતી વખતે મળતા કેપિટલ ગેઈનની ગણતરી માટે ટ્રસ્ટ અથવા મૂળ માલિકના હોલ્ડિંગ પિરિયડ (સમયગાળા)ને પણ લાભાર્થીના હોલ્ડિંગ પિરિયડમાં ઉમેરવામાં આવશે.
કેસની વિગત આ કેસ અમદાવાદના કરદાતા ભરત લખાજી નંદવાણા (આકારણી વર્ષ 2017-18) સામે ડાયરેક્ટર ઓફ ઇનકમ ટેક્સ સર્કલ 2(1)(1) દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલનો છે. કરદાતાના પિતા સ્વ. એલ. કે. નંદવાણાએ 1984માં એક વસિયતનામા હેઠળ ફેમિલી ટ્રસ્ટની રચના કરી હતી અને પોતાની રહેણાંક મિલકત ટ્રસ્ટને સોંપી હતી. 04 ફેબ્રુઆરી 2017ના રોજ ટ્રસ્ટના વિસર્જન બાદ આ મિલકત લાભાર્થીઓના નામે ટ્રાન્સફર થઈ હતી. ત્યારબાદ, 10 ફેબ્રુઆરી 2017ના રોજ તમામ સહ-માલિકોએ આ મિલકત વેચી દીધી હતી. આ વહેંચણીમાં સંબંધિત કરદાતાનો હિસ્સો 22.45 ટકા હતો.
કરદાતાએ મિલકત વેચાણથી થયેલી આવકને લોંગ-ટર્મ કેપિટલ ગેઈન ગણાવીને કલમ 54 (નવું મકાન ખરીદવા) અને કલમ 54EC (નિયુક્ત બોન્ડ્સમાં રોકાણ) હેઠળ કરમુક્તિ દાવા કરી રિટર્ન ફાઈલ કર્યું હતું. તેની સામે આકારણી અધિકારીએ દાવો ફગાવતા એવો તર્ક આપ્યો હતો કે ટ્રસ્ટે 4 ફેબ્રુઆરી 2017ના રોજ કરદાતાને મિલકત ટ્રાન્સફર કરી અને 10 ફેબ્રુઆરીએ તે વેચાઈ ગઈ હતી. આમ, કરદાતા પાસે આ મિલકત માત્ર 6 દિવસ જ રહી હોવાથી આ શોર્ટ-ટર્મ કેપિટલ એસેટ ગણાય અને તેથી શોર્ટ-ટર્મ કેપિટલ ગેઈન પર કલમ 54 કે 54EC ની કરમુક્તિનો લાભ મળી શકે નહીં.
ITAT અમદાવાદનો ચુકાદો
ન્યાયિક સભ્ય સિદ્ધાર્થ નૌટિયાલ અને એકાઉન્ટન્ટ સભ્ય નરેન્દ્ર પ્રસાદ સિંહાની બેન્ચે આકારણી અધિકારીના વલણને સંપૂર્ણપણે ફગાવી દીધું હતું. ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલે કલમ 2(42A) ના એક્સપ્લેનેશન 1(b) અને કલમ 49(1)(iii) નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, જ્યારે કોઈ મિલકત વારસામાં કે ટ્રસ્ટના વિસર્જનથી મળે છે, ત્યારે તેના લોંગ-ટર્મ કે શોર્ટ-ટર્મ હોવાનો નિર્ણય કરવા માટે મૂળ માલિક અને ટ્રસ્ટ દ્વારા મિલકત ધારણ કરવામાં આવેલો સમયગાળો પણ ઉમેરવો ફરજિયાત છે.
સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાનો આધાર
ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલે સુપ્રીમ કોર્ટના કમિશનર ઇન્કમટેક્સ વિર. મંજુલા જે. શાહ’ તથા મુંબઈ, દિલ્હી અને મદ્રાસ હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓનો આધાર લઈને કરદાતાના કેપિટલ ગેઈનને લોંગ-ટર્મ ગણાવ્યો હતો. કરદાતા દ્વારા કલમ 54EC હેઠળ બોન્ડ્સમાં કરાયેલું રોકાણ યોગ્ય સમયમર્યાદામાં હોવાથી તેને માન્ય રાખવામાં આવ્યું હતું. કલમ 54 હેઠળ નવા મકાનની ખરીદી અંગે કરદાતાએ માત્ર એગ્રીમેન્ટ ફોર સેલ રજૂ કર્યું હતું પરંતુ રજિસ્ટર્ડ સેલ ડીડ રજૂ કર્યું નહોતું. તેથી ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલે આ ચોક્કસ મુદ્દાની ચકાસણી કરવા માટે મામલો આકારણી અધિકારીને પરત મોકલ્યો હતો. આ ચુકાદાથી ફેમિલી ટ્રસ્ટ દ્વારા મિલકત મેળવનારા અનેક કરદાતાઓને કેપિટલ ગેઈન ટેક્સમાં મોટી રાહત મળશે.
