આવકવેરા કાયદા હેઠળ ખોટનું સેટ-ઓફ અને કેરી ફોરવર્ડ: જોગવાઈઓ અને કરદાતાઓ પર અસર
આવકવેરા કાયદા હેઠળ ખોટનું સેટ-ઓફ અને કેરી ફોરવર્ડ: જોગવાઈઓ અને કરદાતાઓ પર અસર
વર્ષ દરમિયાન મોટું નુકસાન થયું હોય અને કોઈ કરપાત્ર આવક ન હોય, તો ITR ફાઈલ કરવાની જરૂર નથી. આ એક ગંભીર ભૂલ છે. રિટર્ન સમયસર ફાઈલ ન કરવાથી લાખો રૂપિયાનો ખોટનો ક્લેમ કાયમ માટે જતો રહે છે.
આવકવેરા કાયદા હેઠળ કરદાતાઓની માત્ર આવક પર જ કર લાદવામાં નથી આવતો, પરંતુ જો કોઈ નાણાકીય વર્ષ દરમિયાન કરદાતાને નુકસાન-ખોટ થાય, તો તેને કરવેરાના બોજમાંથી રાહત આપવા માટે ‘સેટ-ઓફ’– નફા સામે એડજસ્ટ કરવાની અને ‘કેરી ફોરવર્ડ’ની મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે. તેને લગતા નિયમોનું યોગ્ય પાલન કરવામાં ન આવે, તો કરદાતાઓએ મોટું નાણાકીય નુકસાન સહન કરવું પડી શકે છે.
મુખ્ય કાનૂની જોગવાઈઓ
આવકવેરા કાયદા હેઠળ આવકના 5 મુખ્ય મથાળા હેઠળ ખોટને સરભર કરી શકાય છે. ખોટને પહોંચી વળવા માટે કાયદામાં બે તબક્કાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એક જે વર્ષમાં ખોટ ગઈ હોય તે જ વર્ષમાં ખોટને નફા સામે એડજસ્ટ કરી લઈને સેટ ઓફ-સરભર કરી શકાય છે. એક જ મથાળા હેઠળના એક સ્ત્રોતની ખોટને તે જ મથાળાના બીજા સ્ત્રોતની આવક સામે સરભર કરી શકાય છે. હા, તેમાં અપવાદ આપવામાં આવેલા છે. એક, સ્પેક્યુલેશન (સટ્ટાકીય) બિઝનેસની ખોટ માત્ર સ્પેક્યુલેશન નફા સામે જ સરભર થઈ શકે છે. બે, લોંગ ટર્મ કેપિટલ લોસને માત્ર લોંગ ટર્મ કેપિટલ ગેઈન સામે જ સેટ-ઓફ કરી શકે છે.
આ જ રીતે જો કોઈ એક મથાળા હેઠળ સેટ-ઓફ એટલે કે નુકસાનીને નફા સામે સરભર કર્યા પછી પણ ખોટ બાકી રહે, તો તેને બીજા મથાળાની આવક સામે સરભર કરી શકાય છે. તેમાં કેટલીક મર્યાદાઓ મૂકવામાં આવેલી છે. હાઉસ પ્રોપર્ટીની ખોટ અન્ય મથાળાની આવક સામે વર્ષમાં વધુમાં વધુ રૂ. 2 લાખ સુધી જ સેટ-ઓફ કરી શકાય છે. બિઝનેસ લોસને ‘પગારની આવક’ સામે સેટ-ઓફ કરી શકાતો નથી.
ખોટને સરભર કરવા માટે આગળના વર્ષમાં લઈ જવી
જ્યારે ચાલુ વર્ષે સંપૂર્ણ ખોટ સરભર ન થઈ શકે, ત્યારે તેને આગામી વર્ષોમાં લઈ જઈ શકાય છે.નાણાકીય રાહત: કરદાતાઓને જે વર્ષે નુકસાન થયું હોય તેના પછીના વર્ષોમાં જ્યારે નફો થાય, ત્યારે જૂની ખોટ બાદ મળવાથી ટેક્સની જવાબદારી સીધી ઘટી જાય છે. આનાથી બિઝનેસનું કેશ-ફ્લો એટલે કે બિઝનેસ માટે જોઈતી રોકડનો પ્રવાહ જળવાઈ રહે છે. રોકાણકારો અને ટ્રેડર્સ પર અસર: શેરબજારમાં ટ્રેડિંગ કરતા કેપિટલ ગેઈન અને ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ ટ્રેડર્સ માટે આ નિયમ વરદાનરૂપ છે. ફ્યુચર્સ એન્ડ ઓપ્શનના ટ્રેડર્સને થયેલા નુકસાનને બિઝનેસ લોસ ગણીને અન્ય નોન-સેલરી આવક સામે બાદ મેળવી શકાય છે.
|
ખોટનો પ્રકાર |
કેરી ફોરવર્ડની મુદત | ભવિષ્યમાં શેની સામે સેટ-ઓફ થાય? |
| હાઉસ પ્રોપર્ટીની ખોટ | 8 વર્ષ | માત્ર હાઉસ પ્રોપર્ટીની આવક સામે |
| સામાન્ય વ્યવસાય/ધંધાની ખોટ | 8 વર્ષ | માત્ર બિઝનેસ/પ્રોફેશનની આવક સામે |
| સટ્ટાકીય વ્યવસાયની ખોટ | 4 વર્ષ | માત્ર સ્પેક્યુલેશન-સટ્ટાના જ નફા સામે |
| લાંબા-ટૂંકા ગાળાની કેપિટલ ગેઈન ખોટ | 8 વર્ષ | • STCL: STCG અને LTCG બંને સામે શોર્ટટર્મ-લોન્ગ ટર્મ બંને સામે
• LTCL: માત્ર LTCG સામે કેપિટલ લૉસ માત્ર કેપિટલ ગેઈન સામે |
| અન્ય સ્ત્રોત (ઘોડદોડના ઘોડા જાળવવાની ખોટ) | 4 વર્ષ | માત્ર તે જ પ્રવૃત્તિની આવક સામે |
| અન-એબ્ઝોર્બ્ડ ડેપ્રિશિયેશન | અમર્યાદિત સમય | પગાર સિવાયની કોઈ પણ આવક સામે |
ટેક્સ રિટર્ન ફાઇલિંગની કડક શરત (Section 80): જો કરદાતા નિયત સમયમર્યાદામાં કલમ 139(1)ની સમયમર્યાદા સુધીમાં પોતાનું રિટર્ન ફાઈલ ન કરે, તો તેને હાઉસ પ્રોપર્ટી સિવાયની અન્ય કોઈ પણ ખોટ આગામી વર્ષોમાં કેરી ફોરવર્ડ કરવાનો અધિકાર મળતો નથી.
નિષ્ણાતોના મંતવ્યો
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનો દ્રષ્ટિકોણ: ઘણા કરદાતાઓ એવું માને છે કે જો તેમને વર્ષ દરમિયાન મોટું નુકસાન થયું હોય અને કોઈ કરપાત્ર આવક ન હોય, તો ITR ફાઈલ કરવાની જરૂર નથી. આ એક ગંભીર ભૂલ છે. રિટર્ન સમયસર ફાઈલ ન કરવાથી લાખો રૂપિયાનો ખોટનો ક્લેમ કાયમ માટે જતો રહે છે.
ટેક્સ કન્સલ્ટન્ટ્સની સલાહ: “અન-એબ્ઝોર્બ્ડ ડેપ્રિશિયેશન એ ટેક્સ પ્લાનિંગનું શ્રેષ્ઠ શસ્ત્ર છે, કારણ કે તેને કેરી ફોરવર્ડ કરવા માટે સમયની કોઈ મર્યાદા નથી અને તે કોઈ પણ બિઝનેસ આવક સામે સરભર થઈ શકે છે.
કરદાતાઓ માટે વ્યાવહારિક ઉકેલો અને ટેક્સ પ્લાનિંગ
સમયસર આવકવેરાનું રીટર્ન ફાઈલ કરવુઃ નુકસાન થવાના વર્ષે 31 જુલાઈ અથવા 31 ઓક્ટોબર (જે લાગુ પડતી હોય તે) પહેલાં જ આવકવેરાનું રીટર્ન ફાઈલ કરી દેવું જોઈએ. તેથી કલમ 80 હેઠળ ખોટ કેરી ફોરવર્ડ થઈ શકશે.
આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવા માટે યોગ્ય ફોર્મની પસંદગી પણ થવી જરૂરી છે. શેરબજાર કે ઇન્ટ્રા ડે કે એફ એન્ડ ઓની ખોટ દર્શાવવા માટે સામાન્ય આવકવેરા રીટર્ન-1, કે આવકવેરા રીટર્ન-2ને બદલે આવકવેરા રિટર્ન-3 અથવા તો આવકવેરા રીટર્નના ફોર્મ નંબર 4 નો જ ઉપયોગ કરવો જોઈએ.
પ્રોપર્ટી સેટ-ઓફ લિમિટનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. હાઉસ પ્રોપર્ટીની હોમ લોન વ્યાજના કારણે થતી ખોટને અન્ય આવક સામે વર્ષે રૂ. 2 લાખથી વધુ સેટ-ઓફ ન કરી શકાય છે. બાકીની રકમને 8 વર્ષ સુધી કેરી ફોરવર્ડ કરી શકાય છે.
રેકોર્ડ અને ઓડિટ જાળવવું: બિઝનેસ લોસ કે કેપિટલ લોસના કિસ્સામાં બુક બાઈન્ડિંગ, ટ્રેડ બુક્સ અને ઓડિટ રિપોર્ટ યોગ્ય રીતે સાચવી રાખવા જરૂરી છે. તેમ કરવાથી ભવિષ્યમાં ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ સ્કૂટિની નોટિસ આપે તો યોગ્ય પુરાવા રજૂ કરી શકાશે.
અવલોકન
આવકવેરા કાયદા હેઠળ સેટ-ઓફ અને કેરી ફોરવર્ડની જોગવાઈઓ કરદાતાઓ માટે એક મહત્વપૂર્ણ રક્ષણ પૂરું પાડે છે. જો કરદાતા સમયસર કમ્પ્લાયન્સ જાળવે અને ટેક્સ નિષ્ણાતોની સલાહ લઈને રિટર્ન ફાઈલ કરે, તો તે પોતાના કાયદેસરના નુકસાનનો ઉપયોગ કરીને ભવિષ્યની ટેક્સ જવાબદારીમાં મોટો બચાવ કરી શકે છે.

