• 7 September, 2026 - 2:42 PM

માત્ર તપાસ હેવાલ કે થર્ડ પાર્ટીના આક્ષેપોના આધારે કરદાતાની આવકમાં ઉમેરો ન થઈ શકેઃ ITAT

માત્ર તપાસ હેવાલ કે થર્ડ પાર્ટીના આક્ષેપોના આધારે કરદાતાની આવકમાં ઉમેરો ન થઈ શકેઃ ITAT

આવકવેરા કાયદાની કલમ ૬૮ હેઠળ કરાયેલ ઉમેરા રદ: કરદાતા સાથે સીધા જોડાયેલા સ્વતંત્ર પુરાવા અને તપાસ વગર કાર્યવાહી ગેરકાયદેસર
અધિકારીએ કરદાતા અને તે વ્યવહાર વચ્ચેનો સીધો કડીરૂપ પુરાવો સાબિત કરવો જ પડશે. કરદાતાઓએ પણ નાણાકીય વ્યવહારો, બેંક ખાતાઓ અને ઓળખ કાયદેસરતાને લગતા દસ્તાવેજો હંમેશા તૈયાર રાખવા પડશે
અમદાવાદ, ૦૭ સપ્ટેમ્બર, ૨૦૨૬: માત્ર ઇન્વેસ્ટિગેશન વિંગ – તપાસ અધિકારીઓના રિપોર્ટ અથવા થર્ડ પાર્ટીના નિવેદનો કે આક્ષેપોના આધારે, કરદાતા સામે કોઈ સ્વતંત્ર તપાસ કર્યા વિના કે સીધા આધારભૂત પુરાવા મેળવ્યા વિના, આવકવેરા કાયદાની કલમ ૬૮ હેઠળ કરવામાં આવેલો આવકમાં કરવામાં આવેલો ઉમેરો કાયદાકીય રીતે ટકી શકે નહીં, એવો આદેશ આવકવેરા અપીલેટ ટ્રિબ્યુનલે કરદાતાઓના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદાના માધ્યમથી કર્યો છે.
આ કેસમાં આકારણી અધિકારી દ્વારા માત્ર તપાસ પાંખ દ્વારા સોંપવામાં આવેલા અહેવાલો અને અન્ય પક્ષકારોના નિવેદનોને આધારે કરદાતાની કરપાત્ર આવકમાં મોટો ઉમેરો કરી દેવામાં આવ્યો હતો. આ કાર્યવાહી સામે કરદાતાએ ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલમાં અપીલ દાખલ કરી હતી, જેને સ્વીકારીને ટ્રિબ્યુનલે કરદાતાના પક્ષમાં ચૂકાદો આપ્યો છે.
આવકવેરાના આ મહત્વપૂર્ણ ચુકાદાના ઊંડા અભ્યાસ કરતાં જણાય છે કે આકારણી અધિકારીની મનસ્વીતા પર રોક લાગી જશે. જોકે કરદાતાઓએ તેને લગતા પ્રાથમિક પુરાવાઓ ફરજિયાત જાળવી રાખવા પડશે. બીજું, કલમ ૬૮ હેઠળ ખોટા ઉમેરામાંથી કરદાતાઓને મુક્તિ મળી જશે. બીજીતરફ તેને માટે કરદાતાઓએ લાંબી અને ખર્ચાળ કાનૂની લડત લડવી પડશે. ત્રીજું, આ પ્રકારના કેસોમાં સ્વતંત્ર તપાસ કરવી ફરજિયાત બની જશે. જોકે આવકવેરા ખાતા દ્વારા કચેરી એપેલેટ ટ્રિબ્યુનલના ચૂકાદા સામે ઉચ્ચ અદાલતમાં અપીલ કરવામાં આવે તેવી સંભાવના રહેલી છે. ચોથું, કરદાતાએ કાયદાકીય જોગવાઈઓનું ચુસ્ત પાલન કરવું પડશે. બીજીતરફ ડિપાર્ટમેન્ટ માટે કરચોરી અટકાવવાનો પડકાર મોટો બની જશે.
આ ચુકાદાનો સૌથી મોટો લાભ એ છે કે હવે આકારણી અધિકારીઓ માત્ર અન્ય વિભાગો કે તપાસ પાંખના રિપોર્ટનો કટ-પેસ્ટ ઉપયોગ કરીને આદેશ પસાર કરી શકશે નહીં. તેમણે કરદાતા સામે સ્વતંત્ર રીતે પુરાવા એકત્ર કરવા પડશે. તેને પરિણામે કરદાતાઓને મોટી રાહત પણ મળશે. આવકવેરા ધારાની કલમ ૬૮ (અનએક્સપ્લેઇન્ડ ક્રેડિટ કે બિનહિસાબી રકમ) હેઠળ થતા મોટા ઉમેરાઓ રદ થવાથી કરદાતાઓ પરથી ગેરવાજબી કરવેરાનો બોજ દૂર થશે. 
તદુપરાંત થર્ડ પાર્ટીએ એટલે કે તૃતીય પક્ષે આપેલા કોઈ નિવેદન કે આક્ષેપને જ્યાં સુધી કરદાતાના હિસાબી ચોપડા કે નાણાકીય વ્યવહારો સાથે સીધી રીતે સાંકળવામાં ન આવે, ત્યાં સુધી તેની કોઈ કાનૂની માન્યતા રહેતી નથી. ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલનો આ ચુકાદો એ વાતની પુષ્ટિ કરે છે કે કરદાતાને પોતાના બચાવ માટે પૂરતી તક અને સામસામે ઊલટતપાસનો અધિકાર મળવો જોઈએ. આ પ્રકારના કેસોમાં ન્યાય મેળવવા માટે કરદાતાએ નીચલી અપીલ ઓથોરિટીથી લઈને ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ સુધી લાંબી અને નાણાકીય રીતે ખર્ચાળ લડાઈ લડવી પડે છે.
તપાસ એજન્સીઓ માટે કરચોરી રોકવી કઠિન બની જશે. આવકવેરા વિભાગ માટે આ ચુકાદો એક મોટો ફટકો છે. શંકાસ્પદ એન્ટ્રીઓ કે શેલ કંપનીઓ દ્વારા થતી કરચોરીના કિસ્સાઓમાં દરેક કરદાતા સામે અલગથી સ્વતંત્ર આધારભૂત પુરાવા ઉભા કરવા વિભાગ માટે સમયસર પૂરા કરવા કઠિન બનશે. ટ્રિબ્યુનલનો આ નિર્ણય આવ્યા પછી પણ આવકવેરા વિભાગ આ ચુકાદા સામે વડી અદાલતમાં અપીલ કરી શકે છે, જેથી વિવાદનો આખરી ઉકેલ આવવામાં વધુ સમય લાગી શકે છે.
ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલનો આ આદેશ કરદાતા અને આવકવેરા વિભાગ વચ્ચેના સંતુલનને જાળવી રાખવા માટેનો અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય છે. આ ચુકાદો સ્પષ્ટ કરે છે કે શંકા ગમે તેટલી મજબૂત હોય, પણ તે પુરાવાનું સ્થાન લઈ શકતી નથી. આવકવેરા વિભાગ જો કરદાતાની આવકમાં કલમ ૬૮ હેઠળ ઉમેરો કરવા માંગતો હોય, તો માત્ર અન્ય કોઈ વ્યક્તિના આક્ષેપો કે તપાસ પાંખના અહેવાલો પુરતા નથી.  અધિકારીએ કરદાતા અને તે વ્યવહાર વચ્ચેનો સીધો કડીરૂપ પુરાવો સાબિત કરવો જ પડશે. બીજી તરફ, કરદાતાઓએ પણ પોતાના નાણાકીય વ્યવહારો, બેંક ખાતાઓ અને ઓળખ કાયદેસર છે તે દર્શાવતા દસ્તાવેજો હંમેશા તૈયાર રાખવા જોઈએ, જેથી આવી કાનૂની પ્રક્રિયાઓ વખતે પોતાની નિર્દોષતા સરળતાથી સાબિત પણ કરી શકાશે.

Read Previous

ચાંદીની ગેરકાયદે દાણચોરી કેસમાં ટ્રિબ્યુનલનો મોટો ચુકાદો, ચાંદી જપ્તી અને દંડનો આદેશ યથાવત રાખ્યો

Read Next

પ્રત્યક્ષ કબજા વગર કલમ ૬૯A હેઠળ કરાયેલો ઉમેરો ગેરકાયદેસર ગણાયઃ ITAT

Most Popular