• 7 September, 2026 - 3:48 PM

ચાંદીની ગેરકાયદે દાણચોરી કેસમાં ટ્રિબ્યુનલનો મોટો ચુકાદો, ચાંદી જપ્તી અને દંડનો આદેશ યથાવત રાખ્યો

સોના-ચાંદીનો દાણચોરી કેસમાં એપેેલેટ ટ્રિબ્યુનલનો મોટો ચુકાદો, ચાંદી જપ્તી અને દંડનો આદેશ યથાવત રાખ્યો
આયકર રિટર્ન કે બેલેન્સ શીટ ચાંદીના કાયદેસર વેપાર અને સોર્સ સાબિત કરવામાં નિષ્ફળ: કસ્ટમ્સ એક્ટની કલમ ૧૨૩ હેઠળ બોજ સાબિત ન થઈ શક્યો
નવી દિલ્હીઃ કોઈ વ્યક્તિ કે વેપારી કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ની કલમ ૧૨૩ હેઠળ જપ્ત કરાયેલા માલની કાયદેસરતા અને ખરીદી સાબિત કરવામાં નિષ્ફળ જાય, તો તે માલની જપ્તી અને તેના પર લાદવામાં આવેલી પેનલ્ટી સંપૂર્ણપણે વ્યાજબી ઠરે છે, એમ કસ્ટમ્સ, એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ અપીલેટ ટ્રિબ્યુનલ-સીસ્ટેટે ચાંદીની કાયદેસર ખરીદી અને તેના સોર્સ  અંગે આપેલા એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવવામાં આવ્યું છે.  
આ કેસમાં અપીલકર્તા દાવો કરવામાં નિષ્ફળ રહ્યો હતો કે જપ્ત કરાયેલી ચાંદીની બાર તેનો કાયદેસરનો સોર્સ ધરાવે છે. કેસની સમીક્ષા કરતા કસ્ટમ્સ, એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ અપીલેટ ટ્રિબ્યુનલે નોંધ્યું હતું કે રજૂ કરવામાં આવેલા ઇનકમ ટેક્સ રિટર્ન્સ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને બેલેન્સ શીટ જેવા દસ્તાવેજો એ સાબિત કરવામાં અસમર્થ રહ્યા હતા કે અપીલકર્તા ખરેખર ચાંદીના બુલિયનના કાયદેસર વેપારમાં રોકાયેલ હતો. આથી, ટ્રિબ્યુનલે કસ્ટમ્સ એક્ટની કલમ ૧૧૨(a) અને ૧૧૨(b) હેઠળ માલ જપ્તી અને લાદવામાં આવેલ દંડના આદેશને યથાવત રાખ્યો છે.
કાયદાનું કડક પાલન અને કસ્ટમ્સ એક્ટની કલમ ૧૨૩ નો વિજય: કસ્ટમ્સ એક્ટની કલમ ૧૨૩ મુજબ સોનું, ચાંદી વગેરે જેવી કિંમતી ધાતુઓની બાબતમાં “સાબિતીનો બોજ” આરોપી કે માલ ધારક પર હોય છે. ટ્રિબ્યુનલના આ નિર્ણયથી કાયદાની આ જોગવાઈ વધુ મજબૂત બની છે. તેનાથી સોના અને ચાંદીની દાણચોરી પર અંકુશ આવે છે. આ ચુકાદો ચાંદી અને સોનાની ગેરકાયદેસર આયાત કે દાણચોરી કરતા તત્વો સામે એક મજબૂત સંદેશ આપે છે કે દસ્તાવેજી હેરાફેરીથી બચી શકાશે નહીં. કસ્ટમ્સ વિભાગ દ્વારા કરવામાં આવેલી જપ્તી અને દંડને યોગ્ય ઠેરવીને ટ્રિબ્યુનલે સરકારી તિજોરીને થતા મહેસૂલી નુકસાનને અટકાવવાનો અને કાયદેસરના મહેસૂલની સુરક્ષા કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. ચુકાદાથી એ સ્પષ્ટ થયું છે કે માત્ર આઈટીઆર કે બેલેન્સ શીટમાં આંકડા દર્શાવી દેવાથી માલનો સોર્સ કાયદેસર નથી બની જતો; વેપારની વાસ્તવિકતા અને સોર્સિંગના નક્કર પુરાવા જરૂરી છે.
કરદાતા અને વેપારીઓ માટે જટિલ પ્રક્રિયા: કલમ ૧૨૩ હેઠળ નિર્દોષતા સાબિત કરવાનો સંપૂર્ણ બોજ વેપારી પર હોવાથી, ક્યારેક નાના કે બિન-સંગઠિત ક્ષેત્રના કાયદેસરના વેપારીઓ પણ જો યોગ્ય પેપરવર્ક ન જાળવી શકે તો તેઓ મોટી કાનૂની મુશ્કેલીમાં મુકાઈ શકે છે. હિસાબી ચોપડા અને ઇન્કમટેક્સ રિટર્ન હોવા છતાં તેને ટ્રિબ્યુનલ દ્વારા અપર્યાપ્ત ગણવામાં આવ્યા હતા. આ બાબત દર્શાવે છે કે એકાઉન્ટિંગ દસ્તાવેજો અને કસ્ટમ્સ કાયદા વચ્ચેનો તાળમેળ કેટલો જટિલ છે. તેનાથી વેપારીઓને આર્થિક નુકસાન થઈ શકે છે. અપીલકર્તા માટે ચાંદીની સંપૂર્ણ જપ્તી અને સાથે કલમ ૧૧૨(a) તથા ૧૧૨(b) હેઠળ ભારે દંડ એ મોટો આર્થિક ફટકો છે.
આ કેસ દર્શાવે છે કે બુલિયન માર્કેટમાં હજુ પણ સોર્સિંગ અને સપ્લાય ચેઈનની કાયદેસરતા અંગે ભારે અસ્પષ્ટતા અને પારદર્શિતાનો અભાવ જોવા મળે છે, જે નિયમિત વેપાર માટે જોખમી છે. સીસ્ટેડનો આ નિર્ણય બુલિયન માર્કેટ અને નાણાકીય ક્ષેત્ર માટે એક ચેતવણીરૂપ છે. કૌભાંડ કે દાણચોરી અટકાવવા માટે કસ્ટમ્સ સત્તામંડળો પાસે રહેલી સત્તાઓ અને કાયદાકીય કલમો અત્યંત કારગર છે. કોઈપણ વેપારીએ કિંમતી ધાતુઓના વેપારમાં માત્ર નાણાકીય ચોપડા જ નહીં પરંતુ માલના કાયદેસર સોર્સિંગના પ્રાથમિક આધારભૂત પુરાવાઓ જાળવવા અનિવાર્ય છે.

Read Previous

આજે શેરબજારમાં શું કરશો?

Read Next

માત્ર તપાસ હેવાલ કે થર્ડ પાર્ટીના આક્ષેપોના આધારે કરદાતાની આવકમાં ઉમેરો ન થઈ શકેઃ ITAT

Most Popular