• 14 September, 2026 - 6:23 PM

બાગાયતી ખેતી કરી મૂલ્ય વૃદ્ધિના માર્ગે તગડી કમાણી કરવાની તક

બાગાયતી ખેતી કરી મૂલ્ય વૃદ્ધિના માર્ગે તગડી કમાણી કરવાની તક
ભારતની બાગાયત ક્ષેત્રની સફળતા માત્ર ઉત્પાદિત ટનમાં નહીં, પરંતુ સમગ્ર વેલ્યુ ચેઇનમાં જાળવી રાખેલા અને વહેંચાયેલા આર્થિક મૂલ્યથી માપવી જોઈએ.
ફ્રૂટ ક્લસ્ટરો બનાવવાની, દ્રાક્ષ, કેળાં, કેરી અને દાડમ જેવા વર્તમાન નિકાસ ક્લસ્ટરોને વિસ્તૃત કરવાની અને પ્રોસેસિંગ, ટ્રેસેબિલિટી તથા બજારના વિવિધતા દ્વારા શાકભાજીની નિકાસ મજબૂત કરવાની તક પૂરી પાડે છે
બાગાયતી પાકનું વર્ષ ૨૦૨૫-૨૬માં કુલ બાગાયતી ઉત્પાદન અંદાજે ૩૭૭.૮ મિલિયન ટન રહ્યું છે. તેમાં લગભગ ૧૨૧.૫ મિલિયન ટન ફળો અને ૨૨૧.૦ મિલિયન ટન શાકભાજીનો સમાવેશ થાય છે. આમ ભારત હવે ઉચ્ચ મૂલ્ય ધરાવતી કૃષિમાં માત્ર એક સામાન્ય ખેલાડી નથી. ભારત કેળાં, કેરી, પપૈયા, ડુંગળી, ભીંડા, ટામેટાં અને અન્ય ઘણા પાકોના અગ્રણી ઉત્પાદકોમાંનું એક છે. છતાં, આ મોટા પાયાના ઉત્પાદનનું યોગ્ય મૂલ્ય, નિકાસ સ્પર્ધાત્મકતા કે ખેડૂતોને યોગ્ય ભાવ મેળવવામાં રૂપાંતરણ થયું નથી.
આમ ભારત વધુ ઉત્પાદન કરી શકે છે કે નહીં, પરંતુ એ છે કે શું તે આ વિપુલ ઉત્પાદનને આવક, પ્રોસેસિંગ, પોષણ અને વેપારના લાભમાં ફેરવી શકે છે કે કેમ તે જ મહત્વનું છે. ભારતમાં બાગાયતનો વિસ્તાર મુખ્યત્વે વાવેતર હેઠળની જમીન વધવાને કારણે થયો છે, જ્યારે ઉત્પાદકતા અને સપ્લાય ચેઇનની કાર્યક્ષમતામાં ધીમે ધીમે સુધારો થયો છે. અનાજથી વિપરીત, બાગાયતી પાકો ઝડપથી બગડી જનારા, ગુણવત્તા પ્રત્યે સંવેદનશીલ અને લોજિસ્ટિક્સ-સઘન હોય છે. આ પાકોનું સંપૂર્ણ મૂલ્ય મેળવવા માટે ટૂંકા ગાળામાં તેમનું લણણી (હાર્વેસ્ટિંગ), ગ્રેડિંગ, પેકિંગ, પરિવહન અને વેચાણ થવું જરૂરી છે. ગુજરાતમાં મહેસાણા ખાતે તેને માટે લોજિસ્ટિક પાર્ક ગુજકોમાસોલ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે. 
બાગાયતી પાકમાં સૌથી મોટું આર્થિક નુકસાન પાક લણણી પછી થાય છે. ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલય દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ, ફળોમાં ૬ થી ૧૫ ટકા અને શાકભાજીમાં ૫ થી ૧૨ ટકા નુકસાન થાય છે. ફળો અને શાકભાજીમાં વાર્ષિક નાણાકીય નુકસાન અંદાજે રૂ. ૫૭,૦૦૦ કરોડ છે. તેમાંય ખાસ કરીને કેરી, ટામેટાં, કેળાં, બટાકા અને ડુંગળી જેવા પાકોમાં વધારે નુકસાન થતું જોવા મળે છે. આ નુકસાન માત્ર ભૌતિક બગાડ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેમાં ગુણવત્તામાં ઘટાડો, શેલ્ફ-લાઇફ ઘટવી, નાછૂટકે ઓછા ભાવે વેચાણ કરવાની ફરજ પડવી અને નિકાસ તથા પ્રોસેસિંગ બજારોમાં તકો ગુમાવવાનો સમાવેશ થાય છે.
વાસ્તવિક ઉકેલ
આ સમસ્યાનો ઉકેલ માત્ર ‘કોલ્ડ સ્ટોરેજ’ માનવામાં આવતો હતો. જો કે, માત્ર સ્ટોરેજ પૂરતું નથી. વાસ્તવિક જરૂરિયાત પેકહાઉસ, પ્રી-કૂલિંગ, રીફર લોજિસ્ટિક્સ, ટેસ્ટિંગ લેબ્સ, પ્રોસેસિંગ એકમો અને ડિજિટલ ટ્રેસેબિલિટી સિસ્ટમ્સ ધરાવતી એક સંકલિત વેલ્યુ-ચેઇન અપનાવવાની બાબત છે. સરકારના ‘ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ’ એ માત્ર અલગ-અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાને બદલે સમગ્ર બાગાયતી ઇકોસિસ્ટમ વિકસાવવા પર યોગ્ય ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ખેડૂતોની આવકનો મુદ્દો પણ એટલો જ મહત્વપૂર્ણ છે. ટામેટાં, ડુંગળી અને બટાકા અંગેના અભ્યાસો દર્શાવે છે કે ગ્રાહક દ્વારા ચૂકવવામાં આવતા રૂપિયામાં ખેડૂતનો હિસ્સો ટામેટાં માટે માત્ર ૩૩ ટકા, ડુંગળી માટે ૩૬ ટકા અને બટાકા માટે ૩૭ ટકા છે.
બીજીતરફ લોજિસ્ટિક્સ, સ્ટોરેજ, રિટેલિંગ અને ફાઇનાન્સિંગનો વાસ્તવિક ખર્ચ થાય છે, ત્યારે ખેડૂતોનો ઓછો હિસ્સો તેમની નબળી વાટાઘાટો કરવાની ક્ષમતા અને પ્રીમિયમ બજારો સુધીની મર્યાદિત પહોંચ દર્શાવે છે. જ્યારે ખેડૂતો ગ્રેડિંગ કર્યા વગરનો માલ વેચે છે, ત્યારે બજાર ગુણવત્તાને બદલે જોખમને આધારે ભાવ નક્કી કરે છે. ખેડૂતોની આવકમાં ત્યારે જ સુધારો થશે જ્યારે મોટા પાયે એકત્રીકરણ, ગ્રેડિંગ, પ્રોસેસિંગ અને બજાર-આધારિત પાક આયોજન થશે. બાગાયતનું મેક્રોઇકોનોમિક (બૃહદ આર્થિક) મહત્વ પણ છે. જો કે ગ્રાહક ભાવ સૂચકાંકમાં ફળો અને શાકભાજીનો હિસ્સો મર્યાદિત છે, છતાં તેના ભાવમાં થતી અસ્થિરતા ખાદ્ય મોંઘવારીને નોંધપાત્ર રીતે અસર કરે છે.
‘ઓપરેશન ગ્રીન્સ’ જેવા કાર્યક્રમો આ પ્રશ્નોના ઉકેલ માટે બનાવવામાં આવ્યા હતા. પરંતુ તેના આગામી તબક્કામાં વધુ ચોક્કસ આયોજનની જરૂર છે: ટામેટાંના ક્લસ્ટરોને પ્યુરી, પેસ્ટ અને ડિહાઇડ્રેશન ક્ષમતાની જરૂર છે. ડુંગળીના ક્લસ્ટરોને ક્યોરિંગ, વૈજ્ઞાનિક સ્ટોરેજ અને ડિહાઇડ્રેશનની જરૂર છે. ડુંગળીના પાવડર બનાવીને વેચવાની વ્યવસ્થાને પણ વધુ સંગીન બનાવી શકાય છે. આ જ રીતે બટાકાના ક્લસ્ટરોને પ્રોસેસિંગ-ગ્રેડની જાતો અને ચિપ્સ, ફ્લેક્સ તથા ફ્રોઝન પ્રોડક્ટ્સ ઉત્પાદકો સાથે મજબૂત જોડાણની જરૂર છે.
આગળનો માર્ગ
આગળનો માર્ગ ક્લસ્ટર-આધારિત પરિવર્તન છે. બાગાયતી ક્લસ્ટરને માત્ર ઉત્પાદન ક્ષેત્ર તરીકે ન જોવું જોઈએ. તેણે ખેડૂતો, ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઈઝેશન, એગ્રીગેટર્સ, પેકહાઉસ, પ્રોસેસર્સ, નિકાસકારો, રિટેલર્સ, ફાઇનાન્સર્સ અને લોજિસ્ટિક્સ પ્રોવાઇડર્સને ચોક્કસ પાક અને બજારો સાથે જોડતા એક સંકલિત આર્થિક એકમ તરીકે કામ કરવું જોઈએ. આંતરરાષ્ટ્રીય ઉદાહરણો, જેમ કે નેધરલેન્ડ્સનું ગ્રીનહાઉસ ઇકોસિસ્ટમ, પેરુનો ટેબલ ગ્રેપ કોરિડોર અને કોસ્ટા રિકાની અનાનસ નિકાસ મોડેલ દર્શાવે છે કે સ્પર્ધાત્મકતા છૂટા-છવાઈ સબસિડીથી નહીં પણ સઘન, વિશિષ્ટ ઇકોસિસ્ટમથી બને છે.
વેપાર વ્યૂહરચના પણ ક્લસ્ટર ડિઝાઇન સાથે જોડાયેલી હોવી જોઈએ. APEDAના ડેટા દર્શાવે છે કે ભારતે નાણાકીય વર્ષ ૨૫ માં આશરે ૧.૮૨ અજબ બિલિયન ડોલરના તાજા ફળો અને શાકભાજીની નિકાસ કરી હતી. પ્રોસેસ્ડ નિકાસથી વધુ મૂલ્ય ઉમેરાયું, પરંતુ ભારત ઓછા મૂલ્યની વસ્તુઓની નિકાસ કરવાનું ચાલુ રાખે છે જ્યારે ઊંચા ભાવે પ્રીમિયમ ફળોની આયાત કરે છે. આ આયાત વિકલ્પ અને પ્રીમિયમ નિકાસ માટે ઉચ્ચ-મૂલ્ય ધરાવતા ફ્રૂટ ક્લસ્ટરો બનાવવાની, દ્રાક્ષ, કેળાં, કેરી અને દાડમ જેવા વર્તમાન નિકાસ ક્લસ્ટરોને વિસ્તૃત કરવાની અને પ્રોસેસિંગ, ટ્રેસેબિલિટી તથા બજારના વિવિધતા દ્વારા શાકભાજીની નિકાસ મજબૂત કરવાની તક પૂરી પાડે છે.
ભારતે મોટા પાયે ઉત્પાદન કરવાની તેની ક્ષમતા સાબિત કરી દીધી છે. આગામી કૃષિ પરિવર્તન જથ્થાના વિસ્તરણને બદલે મૂલ્ય સર્જન પર કેન્દ્રિત થવું જોઈએ. જો આયોજનબદ્ધ રીતે અમલ કરવામાં આવે તો, ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ સંકલિત વેલ્યુ ચેઇન બનાવવામાં મદદ કરી શકે છે. ઉત્પાદનની શક્તિને ખેડૂતોની ઊંચી આવક, નિકાસ વૃદ્ધિ, ગ્રાહક ભાવ સ્થિરતા અને સારા પોષણમાં રૂપાંતરિત કરે છે. અંતતઃ, ભારતની બાગાયત ક્ષેત્રની સફળતા ઉત્પાદિત ટનમાં નહીં, પરંતુ વેલ્યુ ચેઇનમાં જાળવેલા અને વહેંચાયેલા આર્થિક મૂલ્ય દ્વારા માપવી જોઈએ.

Read Previous

ગ્લોબલ નટ્સ અને ડ્રાયફ્રૂટ્સ વેલ્યુ ચેઇનમાં વધુ મજબૂત અને પ્રભાવશાળી સહભાગી બનવા ભારત સક્ષમ

Read Next

ખેડૂતોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આગાહીઓ પર વિશ્વાસ રાખવો જોઈએ કે નહિ?

Most Popular