મગફળી અને તલ સહિતના તેલીબિયાંની નિકાસમાં ભારત મોખરે
અમદાવાદઃ મગફળીની નિકાસ, ખાસ કરીને ફોલેલી સીંગ (દાણા), ભારતના તેલીબિયાં નિકાસ વેપારનો મુખ્ય આધાર બની રહી છે, જ્યારે તલ નિકાસ કમાણીમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી હોવાનું ધ સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ જણાવ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તેલીબિયાંની નિકાસનું માળખું મૂલ્યવર્ધિત મગફળીના દાણા અને તલની આસપાસ મજબૂત રીતે કેન્દ્રિત થયેલું જોવા મળ્યું છે.
ધ સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી.વી. મહેતાએ જણાવ્યું હતું કે મગફળીની નિકાસ, ખાસ કરીને ફોલેલી સીંગ, ભારતના તેલીબિયાં નિકાસ વેપારનો મુખ્ય આધાર છે, જ્યારે તલ નિકાસ આવકમાં મોટો હિસ્સો ધરાવે છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડના તાજેતરના ડેટાનો સંદર્ભ આપતા તેમણે જણાવ્યું હતું કે ભારતે એપ્રિલ-જૂન ૨૦૨૬-૨૭ દરમિયાન રૂ. ૨,૬૧૮ કરોડની કિંમતના ૨.૦૯ લાખ ટન તેલીબિયાંની નિકાસ કરી હતી. તેમાં જથ્થા અને મૂલ્ય બંને દ્રષ્ટિએ મગફળી અને તલનો હિસ્સો સૌથી વધુ રહ્યો હતો.
મહત્વપૂર્ણ નિકાસ તક
મગફળી ભારત માટે સૌથી મહત્વપૂર્ણ તેલીબિયાં નિકાસ ક્ષેત્ર હોવાનું જણાવતા તેમણે કહ્યું કે, ૨૦૨૬-૨૭ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન માત્ર ફોલેલી મગફળીનો હિસ્સો જ રૂ. ૧,૫૫૦ કરોડની કિંમતનો ૧.૩૩ લાખ ટન હતો. ભારતે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન રૂ. ૬,૦૯૨ કરોડની કિંમતની આશરે ૬.૬૩ લાખ ટન મગફળીની નિકાસ કરી હતી. વીતેલા નાણાકીય વર્ષમાં ઇન્ડોનેશિયા, વિયેતનામ, મલેશિયા, ચીન અને ફિલિપાઇન્સ મુખ્ય નિકાસકર્તા દેશો હતા.
બી.વી. મહેતાએ ઉમેર્યું હતું કે, તક માત્ર કાચા દાણા પૂરતી મર્યાદિત નથી. ગ્રેડેડ, શેકેલી, બ્લાન્ચ્ડ અને પ્રોસેસ્ડ મગફળીની બનાવટો પર વધુ ભાર મૂકી શકાય છે, જેનાથી ભારતીય નિકાસકારો ઉચ્ચ મૂલ્ય ધરાવતા સેગમેન્ટ તરફ આગળ વધી શકશે અને વિદેશી ફૂડ મેન્યુફેક્ચરર્સ તથા રિટેલ માર્કેટ્સ સાથે લાંબા ગાળાના સંબંધો બાંધી શકશે. ભારતે એપ્રિલ-જૂન ૨૦૨૬-૨૭ દરમિયાન રૂ. ૯૪૫ કરોડની કિંમતના ૬૧,૨૪૮ ટન તલની નિકાસ કરી હતી. તલનું ઊંચું આર્થિક મૂલ્ય તેને નિકાસ કમાણી માટે મહત્વપૂર્ણ બનાવે છે. સાફ કરેલા, મશીનથી સોર્ટ કરેલા અને પ્રોસેસ્ડ તલ માટેના બજારો વિસ્તારવાની મોટી તકો છે. મગફળી અને તલ સિવાય નિકાસમાં વૈવિધ્ય લાવવા પર ભાર મુકતા તેમણે કહ્યું કે રાયડો-રાઇ, અળસી, કરડી-સેફફ્લાવર અને અન્ય તેલીબિયાં હાલમાં ભારતની નિકાસ બાસ્કેટમાં નાનો હિસ્સો ધરાવે છે. આ કોમોડિટીઝ માટે સમર્પિત વિદેશી બજારો વિકસાવવાથી વધારાની નિકાસ તકો ઊભી થઈ શકે છે.
આયાતમાં સોયાબીન અને તલનો મુખ્ય હિસ્સો
ભારતે ૨૦૨૬-૨૭ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન રૂ. ૩,૧૪૬ કરોડની કિંમતના ૫.૮૦ લાખ ટન તેલીબિયાંની આયાત કરી હતી, જેમાં મુખ્યત્વે સોયાબીન અને તલનો સમાવેશ થાય છે. બી.વી. મહેતાએ જણાવ્યું હતું કે આયાત મુખ્યત્વે સોયાબીન અને તલ પર કેન્દ્રિત હતી, જેનો કુલ આયાત જથ્થામાં આશરે ૯૯.૨૫ ટકા અને કુલ આયાત મૂલ્યમાં ૯૯.૧૫ ટકા હિસ્સો હતો. ભારતે ૨૦૨૫-૨૬માં રૂ. ૩,૧૩૦ કરોડની કિંમતના ૪.૮૧ લાખ ટન વિવિધ તેલીબિયાંની આયાત કરી હતી. એપ્રિલ-જૂન ૨૦૨૬-૨૭ દરમિયાન સોયાબીનની આયાત ૫.૫૦ લાખ ટન (મૂલ્ય રૂ. ૨,૯૩૧ કરોડ) પર પહોંચી હતી, જે કુલ આયાતી જથ્થાના ૯૬ ટકા અને કુલ આયાત મૂલ્યના ૯૩ ટકા દર્શાવે છે. આ મુખ્યત્વે ભારત-આફ્રિકા વેપાર કરાર હેઠળ ઓછા વિકસિત દેશોમાંથી શૂન્ય ડ્યુટી પર આયાત કરવામાં આવે છે. ભારતે રૂ. ૧૮૯ કરોડની કિંમતના ૨૦,૭૨૮ ટન તલની આયાત પણ કરી હતી. ભારતને નિકાસ કરતા દેશોમાં કોરિયા, નાઇજીરીયા, સુદાન, બ્રાઝિલ, સોમાલિયા, યુએઈ, વિયેતનામ અને જાપાનનો સમાવેશ થાય છે. એપ્રિલ-જૂન ૨૦૨૬-૨૭નો ડેટા દર્શાવે છે કે ભારતનું તેલીબિયાં આયાત માળખું અત્યંત કેન્દ્રિત છે, જેમાં સોયાબીનનો હિસ્સો લગભગ ૯૬ ટકા છે. જ્યારે સૂરજમુખી અને રાયડાના બીજ એકંદર આયાતમાં ખૂબ નાનો હિસ્સો ધરાવે છે.