• 14 September, 2026 - 6:41 PM

નાદારીની બાબત પર નજર રાખતા બોર્ડે પર્સનલ ગેરંટર્સ અને “સંબંધિત” લેણદારો પર કડક ચકાસણીની જાહેરાત કરી

નાદારીની બાબત પર નજર રાખતા બોર્ડે પર્સનલ ગેરંટર્સ અને “સંબંધિત” લેણદારો પર કડક ચકાસણીની જાહેરાત કરી
ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયાએ પર્સનલ ગેરંટર ઇન્સોલ્વન્સી માટે કડક નિયમોનો પ્રસ્તાવ મૂકતું ચર્ચા પત્ર બહાર પાડ્યુંઃ પર્સનલ ગેરંટર્સના સંબંધિત પક્ષકારોની વધુ સ્પષ્ટ વ્યાખ્યા આપીને તેમને કોઈપણ પ્રકારના મતદાનના અધિકારોથી સંપૂર્ણપણે વંચિત રાખવાનું સૂચન કર્યું
સંબંધિત પક્ષકારોના મતદાનને રોકવા અને લેણદારોની વસૂલાતને સુરક્ષિત કરવા IBBI એ પર્સનલ ગેરંટર ઇન્સોલ્વન્સી માટે કડક નિયમો તૈયાર કર્યા
 અમદાવાદઃ ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયાએ પર્સનલ ગેરંટર ઇન્સોલ્વન્સી માટે કડક નિયમોનો પ્રસ્તાવ મૂકતું ચર્ચા પત્ર બહાર પાડ્યું છે. તેમાં સંબંધિત પક્ષકારોના મતદાન પર પ્રતિબંધ મૂકવાની તેમ જ સંપત્તિના સ્વતંત્ર મૂલ્યાંકનનો આદેશ અને ટાળી શકાય તેવા વ્યવહારોની બારીક તપાસ કરવાને લગતી બાબતોનો સમાવેશ થાય છે. આમ ઇન્સોલ્વન્સી નિયામક પર્સનલ ગેરંટર્સના સંબંધિત પક્ષકારોને લોન પુનઃચુકવણીની યોજનાઓને પ્રભાવિત કરતા અટકાવવાના હેતુથી નિયમોને કડક બનાવવાની યોજના બનાવી રહ્યું છે.
આ સંદર્ભમાં બહાર પાડેલા એક ચર્ચા પત્રમાં, ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયાએ પર્સનલ ગેરંટર્સના સંબંધિત પક્ષકારોની વધુ સ્પષ્ટ વ્યાખ્યા આપીને તેમને કોઈપણ પ્રકારના મતદાનના અધિકારોથી સંપૂર્ણપણે વંચિત રાખવાનું સૂચન કર્યું છે. તેણે ગેરંટરની સંપત્તિના સ્વતંત્ર મૂલ્યાંકન અને લેણદારો માટે ઉપલબ્ધ ભંડોળને નુકસાન પહોંચાડી શકે તેવા વ્યવહારોની ઝીણવટભરી તપાસ કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે.
આ પગલાથી લેણદારો માટે એકબીજા સાથે મળીને કામ કરવું અને ગેરંટરના દેવાની પતાવટ કેવી રીતે થાય છે તેને પ્રભાવિત કરવું વધુ મુશ્કેલ બનશે તેવી અપેક્ષા છે. આઈબીબીઆઈનું આ પગલું ઝીના સ્થાપક સુભાષ ચંદ્રાના પર્સનલ ઇન્સોલ્વન્સી કેસ અંગેના વિવાદના થોડા સમય પછી આવ્યું છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલએ પહેલી સપ્ટેમ્બરના રોજ એસ્સેલ ગ્રુપના ચેરમેનને તેમની સંપત્તિઓ ટ્રાન્સફર કરવા પર રોક લગાવી દીધી હતી અને ગ્રુપના ઋણ પર રૂ. ૨૨,૦૦૬ કરોડના દાવાઓ સામે આશરે રૂ. ૬.૫ કરોડમાં પર્સનલ ગેરંટીમાંથી ઉદ્ભવતા દાવાઓની પતાવટ કરવાની મંજૂરી આપતા અગાઉના આદેશ પર સ્ટે આપ્યો હતો. આ પ્લાન સામેની અપીલો ટ્રિબ્યુનલ સમક્ષ પેન્ડિંગ છે.
આઈબીબીઆઈના નવા પ્રસ્તાવ અનુસાર, રિઝોલ્યુશન પ્રોફેશનલ્સ ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડની કલમ 5(24A) હેઠળ “સંબંધિત-પક્ષ લેણદારો” ની ઓળખ કરશે અને લેણદારોની યાદીમાં તેમને અલગથી દર્શાવશે. હાલમાં, પર્સનલ ગેરંટરના “સહયોગી” મત આપી શકતા નથી. જો કે, સહયોગીની વ્યાખ્યા સંબંધિત પક્ષકાર કરતાં વધુ સંકુચિત છે, જેના કારણે કેટલાક જોડાયેલા લેણદારોને મતદાનના અધિકારો જાળવી રાખવાની મંજૂરી મળે છે. આ ખામીને નવા નિયમોમાં દૂર કરવામાં આવશે. 
આઈબીબીઆઈ ગેરંટરની સંપત્તિના સ્વતંત્ર મૂલ્યાંકનનો પણ પ્રસ્તાવ મૂકે છે. રજિસ્ટર્ડ વેલ્યુઅર તેમની ન્યાયી અને વસૂલ કરી શકાય તેવી કિંમત નક્કી કરશે, અને તેનો રિપોર્ટ પુનઃચુકવણી યોજનાની સાથે લેણદારો સમક્ષ મૂકવામાં આવશે. આનાથી લેણદારોને પ્લાન હેઠળ મળતી વસૂલાતની સરખામણી બેન્કરપ્સી (દિવાળિયાપણું) દ્વારા તેઓ જે વસૂલ કરી શકે છે તેની સાથે કરવામાં મદદ મળશે.
બોર્ડ પ્રેફરેન્શિયલ, અંડરવેલ્યુડ, ફ્રોડ્યુલન્ટ અને એક્સ્ટોર્શનેટ વ્યવહારોની વધુ ઝીણવટભરી તપાસનો પ્રસ્તાવ મૂકે છે જેણે લેણદારો માટે ઉપલબ્ધ નાણાંમાં ઘટાડો કર્યો હોઈ શકે છે. લેણદારો પુનઃચુકવણી યોજના પર મતદાન કરે તે પહેલાં રેઝોલ્યુશન પ્રોફેશનલ્સે આવા વ્યવહારોની તપાસ કરવી પડશે. બોર્ડ લેણદારોની મંજૂરી સાથે, ઇન્સોલ્વન્સી પ્રક્રિયા દરમિયાન રેઝોલ્યુશન પ્રોફેશનલ્સને તેમની સામે પગલાં લેવાની મંજૂરી આપવા માંગે છે. આ પ્રકારની કાર્યવાહી હાલમાં માત્ર બેન્કરપ્સીના તબક્કે ઉપલબ્ધ છે. આ ફેરફારથી પ્રેફરેન્શિયલ, અંડરવેલ્યુડ, ફ્રોડ્યુલન્ટ અને એક્સ્ટોર્શનેટ-પીયુએફઈ વ્યવહારો દ્વારા ગુમાવેલા નાણાં અથવા સંપત્તિ લેણદારો પ્લાન પર મત આપે તે પહેલાં વસૂલ કરી શકાશે.
પર્સનલ ગેરંટી હેઠળ, જો લોન લેનાર ડિફોલ્ટ થાય તો ગેરંટર લોન લેનારના દેવા માટે જવાબદાર બને છે. લેણદારો કેટલી રકમ વસૂલ કરી શકે છે તેનો આધાર ગેરંટરની સંપત્તિ, આવક અને ચૂકવણી કરવાની ક્ષમતા પર રહેલો છે, જે પુનઃચુકવણી યોજના અને બેન્કરપ્સી વચ્ચે પસંદગી કરતી વખતે સંપત્તિનું મૂલ્યાંકન મહત્વપૂર્ણ બનાવે છે. આ પ્રસ્તાવો પર્સનલ ગેરંટર ફ્રેમવર્કમાં વાસ્તવિક ખામીઓને દૂર કરે છે. ગેરંટરની સંપત્તિનું વસૂલીપાત્ર મૂલ્ય જાણીતા વગર, અગાઉના વ્યવહારો દ્વારા મૂલ્યને અન્યત્ર ડાયવર્ટ કરવામાં આવ્યું છે કે કેમ, અને જોડાયેલા લેણદારો પરિણામને પ્રભાવિત કરી રહ્યા છે કે કેમ તે જાણ્યા વિના પુનઃચુકવણી યોજના પર મતદાન થવું જોઈએ નહીં.
પુનઃચુકવણી યોજના અને બેન્કરપ્સી વચ્ચેની પસંદગી અલગ-અલગ પરિણામો લાવી શકે છે. પુનઃચુકવણી યોજના હેઠળ, લેણદારોને ચોક્કસ સંતોષકારક સમયગાળા દરમિયાન ગેરંટર પાસેથી ચુકવણીઓ મળે છે અને જો ભવિષ્યની આવક બેન્કરપ્સી દ્વારા સંપત્તિ વેચવા કરતાં વધુ સારી વસૂલાત આપતી હોય તો તેઓ તેને વધુ પસંદ કરી શકે છે. જો પ્લાન વ્યવહારુ ન હોય, તો બેન્કરપ્સી ગેરંટરની સંપત્તિમાંથી નાણાં વસૂલ કરવાનો બીજો રસ્તો પૂરો પાડે છે. નવા પ્રસ્તાવો કોર્પોરેટ ઇન્સોલ્વન્સીમાં ઉપલબ્ધ સુરક્ષા પગલાંને પર્સનલ-ગેરંટર કેસોમાં લાવવાનો પ્રયાસ કરે છે. મૂલ્યાંકનની જરૂરિયાત લેણદારોને પુનઃચુકવણી યોજનાની સરખામણી ગેરંટરની સંપત્તિના વાસ્તવિક મૂલ્ય સાથે કરવા અને સંભવિત લીકેજને ઓળખવાની મંજૂરી આપશે. આઈબીબીઆઈએ ૩ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી આ પ્રસ્તાવો પર જાહેર ટિપ્પણીઓ આમંત્રિત કરી છે.

Read Previous

ખેતી પદ્ધતિમાં પરિવર્તન લાવીને ગુજરાતના ખેડૂતો માટે કાર્બન ક્રેડિટ મેળવી શકશે 

Read Next

મગફળી અને તલ સહિતના તેલીબિયાં નિકાસમાં ભારત મોખરે

Most Popular