CBDTએ નિયમો જાહેર થતાં આવકવેરાના બાકી લેણાં માટે કરદાતાઓની અટકાયત કે ધરપકડ નહીં કરી શકાય

ટીડીએસ જમા કરાવવામાં વિલંબ અથવા હિસાબી ભૂલ
એક નાના વેપારીથી ટેકનિકલ ખામી કે નાણાકીય અગવડતાને કારણે સમયસર ટીડીએસની રકમ સરકારમાં જમા કરાવી શકાઈ ન હતી અથવા હિસાબી ચોપડાં રજૂ કરવામાં વિલંબ થયો હતો. આ સ્થિતિમાં જૂના નિયમો હેઠળ આવકવેરા અધિકારીઓ કરદાતા સામે કડક કાર્યવાહી કરીને અટકાયત કે ધરપકડની પ્રક્રિયા હાથ ધરી શકતા હતા. કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭ ના ‘ડિક્રિમિનાલાઈઝેશન’ અને નવા રૂલ ૨૨૫ મુજબ, હવે આવી ટેકનિકલ કે ક્ષુલ્લક ભૂલો માટે વેપારીની ધરપકડ કે જેલની સજા થશે નહીં. માત્ર નિયમ મુજબ વ્યાજ કે નાણાકીય દંડ ભરીને મામલો ઉકેલી શકાશે.
કરદાતાના અચાનક અવસાનના કિસ્સામાં વારસદારોને મુક્તિ
એક કરદાતા પર ભૂતકાળની મોટી આવકવેરાની આકારણી બાકી હતી, અને તે રકમની વસૂલાત થાય તે પહેલાં જ તેમનું અચાનક અવસાન થાય છે. આ સ્થિતિમાં જૂના નિયમ હેઠળ કરદાતાના મૃત્યુ બાદ વસૂલાત અધિકારીઓ કાનૂની વારસદારો પર માનસિક દબાણ લાવતા અને કડક કાનૂની પગલાં કે અટકાયતની ધમકીનો સામનો કરવો પડતો હતો. નવા નોટિફિકેશન મુજબ, કરદાતાના અવસાનના કિસ્સામાં કાનૂની વારસદારો સામે કોઈ પણ પ્રકારની વ્યક્તિગત અટકાયત કે કડક કાર્યવાહી કરી શકાશે નહીં. વસૂલાતની પ્રક્રિયા માત્ર કરદાતાની છોડેલી મિલકતના સીમિત સીમાડામાં જ કાયદાકીય રીતે થશે.
બાકી ટેક્સ લેણાંની વસૂલાત પ્રક્રિયા
કોઈ બિઝનેસમાં મોટું નુકસાન થવાને કારણે કરદાતા પોતાની કરોડો રૂપિયાની આવકવેરાની બાકી નીકળતી રકમ ભરી શકવામાં અસમર્થ રહે છે. ટેક્સ રિકવરી ઓફિસર પાસે કરદાતાની મિલકત જપ્ત કરવા ઉપરાંત તેની ધરપકડ કરીને સિવિલ જેલમાં મોકલવાની સત્તા હતી. નવા નિયમથી રાહત મળશે. પહેલી ૧ એપ્રિલ ૨૦૨૬ થી પૂર્વવર્તી અસરથી આ સત્તાઓ નાબૂદ કરાઈ છે. હવે ટેક્સ વિભાગ રિકવરી માટે કરદાતાની વ્યક્તિગત ધરપકડ કરી શકશે નહીં. વસૂલાત માત્ર “પ્રોપર્ટી-બેઝ્ડ” રહેશે, એટલે કે કાયદા મુજબ મિલકત જપ્ત કરીને કે તેનું વેચાણ કરીને જ હવે ટેક્સ વસૂલ પણ કરી શકાશે.
