દેશભરની કેમિસ્ટ શોપ્સ અને ફાર્મસીઓમાં CCTV સિસ્ટમ ફરજિયાત કરવાનો સરકારનો પ્રસ્તાવ
અમદાવાદઃ ભારત સરકાર અને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન-સીડીએસસીઓએ દેશની દરેક ફાર્મસી અને મેડિકલ સ્ટોર્સમાં ૬ થી ૮ CCTV કેમેરા, DVR/NVR અને ઈન્ટરનેટ આધારિત સર્વેલન્સ સિસ્ટમ લગાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયનો હેતુ દવાની દુકાનોમાં થતી ગેરરીતિઓ અટકાવવાનો અને પારદર્શિતા લાવવાનો છે, પરંતુ દેશના દવા વિક્રેતાઓના સૌથી મોટા મંડળ ‘ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ’ (AIOCD) એ આ નિર્ણય સામે સખત વાંધો ઉઠાવ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ ડ્રાફ્ટ નોટિફિકેશન આઠમી સપ્ટેમ્બર 2026ના બહાર પાડીને ફાર્મસી અને કેમિસ્ટ એસોસિયેશનના મંતવ્યો રજૂ કરવા માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આમાં હાલમાં માત્ર એક મુસદ્દો જ છે. સરકારે જાહેર જનતા અને ફાર્મા ક્ષેત્રના હિતધારકો પાસેથી સૂચનો અને વાંધાઓ મંગાવવા માટે 30 દિવસનો સમય આપ્યો છે. તેમના સૂચનો મળ્યા પછી સૂચનો ધ્યાને લઇને ફાઇનલ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. ડુપ્લિકેટ દવાના વેપારનો વિવાદ પણ તાજેતરના ભૂતકાળમાં થયો જ છે. ટોરેન્ટ પાવરે હસ્તગત કરેલી જે.બી. કેમિકલ્લની હૃદયરોગ અને બ્લડ પ્રેશરની ટેબ્લેટ નિકાર્ડિયાનો ડુપ્લિકેટ બેચ બજારમાં મૂકવામાં આવ્યો હતો.
સરકારના આ નિર્ણય પાછળના કારણો
શેડ્યૂલ X અને શેડ્યૂલ H/H1 હેઠળ આવતી એન્ટિબાયોટિક્સ, નાર્કોટિક્સ અને માનસિક રોગોની દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાતી અટકાવવાના ધ્યેય સાથે આ પગલું લેવામાં આવી રહ્યું છે. તેની સાથે જ બજારમાં આવતી નકલી-સ્પુરિયસ કે અપ્રમાણિત દવાઓના સપ્લાય ચેઈન ટ્રેકિંગને સરળ બનાવવાનો પણ સરકારનો ઇરાદો છે. કાયદા મુજબ મેડિકલ સ્ટોર પર ક્વોલિફાઈડ રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટની હાજરી ફરજિયાત હોય છે. સર્વેલન્સથી ફાર્માસિસ્ટ ગેરહાજર રહીને માત્ર લાયસન્સ ભાડે આપતા હોવાની પ્રવૃત્તિઓ બંધ થશે. સરકારના આ પગલાંથી દવાઓના બિલિંગ વગર થતા રોકડ વેચાણ અને ટેક્સ ચોરી પર અંકુશ મેળવવો પણ સરળ બની શકે છે.
કેમિસ્ટ એસોસિએશનના વિરોધના મુખ્ય કારણો
આ નિર્ણય સામે ‘ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ’ (AIOCD) એ સરકારને આ નીતિ પર પુનર્વિચાર કરવા અપીલ કરી છે. નાની અને મધ્યમ કદની ફાર્મસીઓ માટે ૬ થી ૮ CCTV કેમેરા, DVR/NVR સિસ્ટમ, હાર્ડ ડિસ્ક સ્ટોરેજ, વાયરિંગ અને ઈન્ટરનેટ કનેક્ટિવિટીનો પ્રારંભિક ખર્ચ રૂ. ૫૦,૦૦૦ થી રૂ. ૧,૦૦૦,૦૦૦ સુધીનો થઈ શકે છે. ઉપરાંત માસિક મેન્ટેનન્સ અને વીજળીનો ખર્ચ પણ અલગથી આવશે.
ગ્રામીણ વિસ્તારોમાં વ્યવહારિક સમસ્યાઓ
ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં વારંવાર વીજળી જતી રહેવાની સમસ્યા નડી શકે છે. નબળું ઈન્ટરનેટ કનેક્શન અને ટેકનિશિયનોની અપ્રાપ્યતાને કારણે સતત રિકોર્ડિંગ ચાલુ રાખવું અશક્ય છે. મેડિકલ સ્ટોર પર આવતા દર્દીઓ પોતાની ખાનગી બીમારીઓ કે સંવેદનશીલ દવાઓ ખરીદતી વખતે કેમેરાની નજરમાં અસ્વસ્થતા અનુભવી શકે છે. નાના ફોર્મેટમાં કામ કરતા વેપારીઓ માટે આ ટેકનિકલ નિયમનું સહેજ પણ ઉલ્લંઘન લાયસન્સ રદ થવા કે ડ્રગ ઈન્સ્પેક્ટરો દ્વારા શોષણનું કારણ બની શકે છે.
વેપાર અને નિયંત્રણ પર કેવી અસર પડશે?
સરકારના આ પગલાંથી દવા બજારનું અનઓર્ગેનાઈઝ્ડ સેક્ટર સંપૂર્ણ રીતે ઓર્ગેનાઈઝ્ડ બનશે. બિલ વગર કે પ્રિસ્ક્રિપ્શન વગર દવા આપવાની પ્રથા બંધ થશે. મોટી ફાર્મસી ચેઈન્સ એટલે કે એપોલો, ૧mg માટે આ ખર્ચ નજીવો છે, પરંતુ ગામડાં કે નાના ટાઉનના સ્વતંત્ર કેમિસ્ટ માટે નફાનું માર્જિન ઓછું હોવાથી તેમના માટે આ ખર્ચ ઉઠાવવો મુશ્કેલ બનશે. ડ્રગ કંટ્રોલર અને સરકારી સંસ્થાઓ સેન્ટ્રલ કે સ્ટેટ લેવલે ડેટા એક્સેસ કરીને કોઈપણ શંકાસ્પદ મેડિકલ સ્ટોરનું રિયલ-ટાઈમ કે ભૂતકાળનું મોનિટરિંગ કરી શકશે.
આઈઓસીડીના પ્રમુખ શું કહે છે
“દેશભરના લાખો કેમિસ્ટ દરરોજ આશરે ૧૪૦ કરોડ નાગરિકો સુધી સુરક્ષિત રીતે દવા પહોંચાડે છે. ગંભીર ગેરરીતિઓના કિસ્સા અત્યંત મર્યાદિત છે. દરેક નાની ફાર્મસી પર રૂ. ૫૦,૦૦૦થી રૂ. ૧ લાખ સુધીનો સીસીટીવી અને DVR/NVR નો આર્થિક બોજ લાદવો વ્યાજબી નથી. જો સરકાર જાહેર સુરક્ષા માટે આ સિસ્ટમ અનિવાર્ય ગણતી હોય, તો સરકારે જ તેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્ટેનન્સ પૂરું પાડવું જોઈએ અથવા આ નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ.”
— જે. એસ. શિંદે (પ્રમુખ) અને રાજીવ સિંઘલ (મહામંત્રી), ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ (AIOCD)
સરકારનો આ પ્રસ્તાવ દેશમાં નશીલી દવાઓના દૂષણને ડામવા અને હેલ્થકેર ક્ષેત્રે સુધારો લાવવાની દિશામાં એક મોટું પગલું છે. પરંતુ, વાસ્તવિક જમીની પરિસ્થિતિ અને નાના વેપારીઓની આર્થિક મર્યાદાઓને ધ્યાનમાં રાખીને જો સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સબ્સિડી આપે અથવા માત્ર ચોક્કસ (જેમ કે શેડ્યૂલ X) દવાઓ વેચતા મોટા સ્ટોર્સ માટે તબક્કાવાર આ નિયમ લાગુ કરે, તો આ નીતિ વધુ વ્યવહારુ પણ બની શકે છે.