• 10 September, 2026 - 2:47 PM

પાંચ દિવસના સપ્તાહની માગણી સાથે બેન્ક કર્મચારીઓ આવતીકાલે દેશવ્યાપી હડતાલ પર 

પાંચ દિવસના સપ્તાહની માગણી સાથે બેન્ક કર્મચારીઓ આવતીકાલે દેશવ્યાપી હડતાલ પર 

અમદાવાદ: અઠવાડિયામાં ૫ દિવસના કામકાજની વ્યવસ્થાની અમલવારીની મુખ્ય માગણી સાથે દેશભરના બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓ આવતી કાલે ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ એક દિવસીય દેશવ્યાપી હડતાલ પાડવામાં આવશે. ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશન (IBA) અને યુનિયનો વચ્ચે થયેલા કરાર મુજબ બાકીના તમામ શનિવારોને રજા જાહેર કરવાની પ્રતિબદ્ધતા રજૂ કરવામાં આવી હતી, જેને હજુ સુધી નાણા મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. આ કરાર અને પ્રતિબદ્ધતાનું પાલન કરીને ૫ દિવસનું વર્કિંગ તુરંત અમલી બનાવવામાં આવે તેને માટે જ ૧૧મી સપ્ટેમ્બરે હડતાલ પાડવામાં આવશે. 
બેન્ક યુનિયનો દ્વારા તેમની વાજબી માગણીઓ સંતોષવામાં નહીં આવે તો તબક્કાવાર આંદોલન વધુ તીવ્ર બનાવવાની ઘોષણા કરવામાં આવી છે. 11મી સપ્ટેમ્બરે ૨૦૨૬ની એક દિવસની હડતાલ પછી પણ સરકાર સક્રિય નહિ થાય અને તેમની માગણી ન સ્વીકારે તો ૨૮, ૨૯ અને ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨૬ ત્રણ દિવસની હડતાલ પાડવામાં આવશે. ત્યારબાદ પણ બેન્ક કર્મચારીઓની માગણી સ્વીકારવામાં ન આે તો ૨૬મી ઓક્ટોબર, ૨૦૨૬થી અનિશ્ચિત મુદતની હડતાલ પાડવામાં આવશે. 

હડતલાને સાત મુખ્ય બેન્ક યુનિયનોનું સમર્થન

આ દેશવ્યાપી આંદોલન અને હડતાલમાં દેશના ૭ મુખ્ય બેન્ક યુનિયનો જોડાશે. તેમાં AIBEA-ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઇઝ એસોસિએશન, 
AIBOC-ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ કન્ફેડરેશન, NCBE-નેશનલ કોન્ફેડરેશન ઓફ બેન્ક એમ્પ્લોઇઝ, BEFI-બેન્ક એમ્પ્લોઇઝ ફેડરેશન ઓફ ઇન્ડિયા, INBOC-ઇન્ડિયન નેશનલ બેન્ક ઓફિસર્સ કોન્ફેડરેશન, INBEF-ઇન્ડિયન નેશનલ બેન્ક એમ્પ્લોઇઝ ફેડરેશન અને AIBOA-ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ એસોસિએશનનો સમાવેશ થાય છે. 
વર્ષ ૨૦૧૫નો કરાર
ભૂતકાળમાં સોમવારથી શનિવાર સુધી બેન્કોમાં કામકાજ થતું હતું. મે, ૨૦૧૫માં થયેલી સમજૂતી મુજબ દર મહિનાના બીજા અને ચોથા શનિવારે રજા જાહેર કરવામાં આવી હતી, જ્યારે બાકીના શનિવારોને પૂર્ણ કામકાજના દિવસો બનાવવામાં આવ્યા હતા. તેની સાથે જ આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં તમામ શનિવારોને રજા જાહેર કરવા પ્રયાસ કરાશે. નવેમ્બર ૨૦૨૦ના કરારમાં આ મુદ્દે વધુ સકારાત્મક ચર્ચા કરી ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી હતી. માર્ચ ૨૦૨૪ના વેતન સુધારણા કરારમાં ઇન્ડિયન બેન્કર્સ એસોસિયેશન અને બેન્ક મેનેજમેન્ટે તમામ શનિવારે રજા રાખવાની માગણી સ્વીકારી હતી. આ બદલ યુનિયનોએ સોમવારથી શુક્રવાર સુધી દરરોજ 40 મિનિટ વધારાનું કામકાજ કરવાની વ્યવસ્થા દાખલ કરવાની વાત માટે સંમતિ આપી હતી.

નાણા મંત્રાલયમાં ૨ વર્ષથી પેન્ડિંગ:

આ કરાર મંજૂરી માટે ભારત સરકારના નાણા મંત્રાલયને મોકલવામાં આવ્યો છે. પરંતુ ૨ વર્ષ કરતાં વધુ સમય વિતી જવા છતાં આ મામલો હજુ પણ નાણા મંત્રાલય સમક્ષ અટકેલો છે.  યુનિયનોનું સ્પષ્ટ કહેવું છે કે સોમવારથી શુક્રવાર રોજના ૪૦ મિનિટ કામનો સમય વધારવામાં આવનાર હોવાથી ગ્રાહકો માટેના કામકાજના કલાકોમાં કોઈ ઘટાડો થશે નહીં. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, RBI, LIC, GIC, નાબાર્ડ (NABARD), ખાનગી કંપનીઓ, શેરબજાર, મની માર્કેટ અને ફોરેક્સ માર્કેટમાં પહેલેથી જ અઠવાડિયામાં ૫ દિવસનું વર્કિંગ અમલમાં છે. કોરોના મહામારી જેવા કપરા સમયમાં પણ બેન્ક કર્મચારીઓ અને અફસરોએ શ્રેષ્ઠ સેવાઓ આપી છે. વર્તમાન સમયમાં કામનું ભૌતિક અને માનસિક તણાવ ખૂબ વધ્યું છે. કર્મચારીઓમાં ‘વર્ક-લાઇફ બેલેન્સ’ જળવાઈ રહે તે માટે બાકીના શનિવારોને રજા જાહેર કરી ૫ દિવસનું કામકાજ લાગુ કરવું એ યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સની સંપૂર્ણ વ્યાજબી અને ન્યાયિક માગણી છે.

ગુજરાતમાં હડતાલની વ્યાપક અસર:

આ હડતાલને કારણે ગુજરાત રાજ્યના બેન્કિંગ ક્ષેત્ર પર ભારે અસર જોવા મળશે. રાજ્યભરમાં અંદાજે ૧૫,૦૦૦ કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહારો અટવાઈ જવાની ભીતિ છે.  ગુજરાતની તમામ નાની-મોટી મળીને આશરે ૫,૪૦૦ બેન્ક શાખાઓના તાળા વાગશે. ગુજરાતના ૭૫,૦૦૦થી વધુ બેન્ક કર્મચારીઓ અને ઓફિસરો હડતાલમાં પ્રત્યક્ષ રીતે સહભાગી થશે.

Read Previous

એક્ઝિક્યુટિવ ટેકનિકલ રિપોર્ટ: નિફ્ટી સ્પોટ એનાલિસિસ

Read Next

આજે શેરબજારમાં શું કરશો?

Most Popular