• 10 September, 2026 - 2:49 PM

જીએસટી વૃદ્ધિ દરમાં કોઈ ગરબડ નથીઃ CBICનો પલટવાર

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની આવકમાં સરકાર બતાવે છે તેવો વધારો થયો ન હોવાનો પૂર્વ નાણાં સચિવ સુભાષ ગર્ગનો આક્ષેપ 

સેસને પણ ગણતરીમાં ઉમેરવામાં આવે, તો ૫ મહિનાનો ગ્રોસ જીએસટી ગ્રોથ ઘટીને ૪.૦૮ ટકા અને નેટ ગ્રોથ માત્ર ૧.૩૦ ટકા જ રહી જાય છે.

નવી દિલ્હી: ભૂતપૂર્વ નાણા સચિવ સુભાષચંદ્ર ગર્ગ દ્વારા ઓગસ્ટ મહિનાના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના કુલ કલેક્શનના વૃદ્ધિ દર અંગે કરાયેલા દાવાને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ-સીબીઆઈસીએ સ્પષ્ટપણે ફગાવી દીધો છે. સુભાષ ગર્ગે આક્ષેપ કર્યો હતો કે સરકારે તેના ગણતરીમાંથી ‘કોમ્પેન્સેશન સેસ’ (વળતર સેસ) ને બાદ કરીને જીએસટી ગ્રોથ રેટને વધારીને દર્શાવ્યો છે. તેમના આ આક્ષેપના જવાબમાં સીબીઆઈસીએ વળતી સ્પષ્ટતા કરી છે કે સેસ કાયદાકીય રીતે બંધ થઈ ગયો હોવાથી તેની સરખામણી કરવી એ ‘સફરજન અને નારંગીની સરખામણી’ કરવા સમાન અને ગેરમાર્ગે પણ દોરનારું છે.

સુભાષ ગર્ગનો આક્ષેપ શું હતો?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં પૂર્વ નાણા સચિવ સુભાષ ગર્ગે દાવો કર્યો હતો કે, ઓગસ્ટમાં ૨ લાખ કરોડ રૂપિયાનું ગ્રોસ જીએસટી કલેક્શન દર્શાવીને સરકારે ૧૪.૮ ટકા અને છેલ્લા ૫ મહિનામાં ૧૧ ટકા વૃદ્ધિ દરનો દાવો કર્યો છે. પરંતુ સરકારે ૨૦૨૫-૨૬ના જીએસટી સેસને શાંતિથી બાદ કરી દીધો છે. જો સેસને પણ ગણતરીમાં ઉમેરવામાં આવે, તો ૫ મહિનાનો ગ્રોસ જીએસટી ગ્રોથ ઘટીને ૪.૦૮ ટકા અને નેટ ગ્રોથ માત્ર ૧.૩૦ ટકા જ રહી જાય છે.

સેસ શા માટે બાદ કરાયો?

CBIC એ સુભાષ ગર્ગના દાવાને સંપૂર્ણપણે નકારી કાઢતા જણાવ્યું હતું કે જીએસટી કાઉન્સિલના નિર્ણય મુજબ, ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫થી તમાકુ અને સંબંધિત ઉત્પાદનો સિવાયની તમામ વસ્તુઓ પરનો કોમ્પેન્સેશન સેસ બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧ ફેબ્રુઆરી ૨૦૨૬થી તમાકુ પરનો સેસ પણ દૂર કરાયો હતો. કોઈપણ વૃદ્ધિ દર ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે બંને બાજુ એકસરખા કર પાયાની સરખામણી થાય. જે લેવી (ટેક્સ) કાયદાકીય રીતે અસ્તિત્વમાં જ નથી, તેને ગણતરીમાં રાખવી તાર્કિક કે ગાણિતિક રીતે યોગ્ય નથી. નવેમ્બર ૨૦૨૫થી જ જીએસટી મહેસૂલના આંકડાઓમાં કોમ્પેન્સેશન સેસને અલગ કોષ્ટકમાં દર્શાવવામાં આવે છે અને વર્ષ-દર-વર્ષની વૃદ્ધિની ગણતરી CGST, SGST અને IGSTના આધારે જ કરવામાં આવી છે.

ઓગસ્ટ મહિનાનું જીએસટી કલેક્શન

ઓગસ્ટ મહિના દરમિયાન ગ્રોસ જીએસટી કલેક્શન ૧૪.૮ ટકા વધીને આશરે રૂ. ૨ લાખ કરોડ પર પહોંચ્યું છે. તેમાં આંતરિક વહેવારો ૯.૩ ટકા વધીને રૂ. ૧.૩૭ લાખ કરોડથી વધુના થયા છે. બીજીતરફ આયાત ૨૯ ટકા વધીને રૂ. ૬૨,૬૦૪ કરોડની થઈ છે. સીજીએસટીની આવક રૂ. ૩૮,૪૧૩ કરોડ થઈ છે. એસજીએસટીનું કલેક્શન રૂ. ૪૬,૩૧૬ કરોડનું થયું છે. તેની સાથે જ આઈજીએસટીનું કલેક્શન રૂ. ૧.૧૫ લાખ કરોડથી વધુનું થયું છે. 

Read Previous

આજે શેરબજારમાં શું કરશો?

Read Next

આજે ઇન્ટ્રાડે નિફ્ટીમાં શું થઈ શકે?

Most Popular