બોર્ડ ઓફ નોમિનીએ કહ્યું કે રહેઠાણમાં કોમર્શિયલ એક્ટિવિટી થઈ શકે છે
અમદાવાદના શ્યામલ રૉ હાઉસનો વિવાદમાં આશ્ચર્યકારક ચૂકાદો
બોર્ડ ઓફ નોમિનીએ કહ્યું કે રહેઠાણમાં કોમર્શિયલ એક્ટિવિટી થઈ શકે છે
અદિતિ કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટીએ જનરલ ઠરાવ કરી કોમર્શિયલ કરવાની આપેલી છૂટ સામે વિરોધ નોંધાવ્યો
અમદાવાદઃ અમદાવાદ શહેરના શ્યામલ ચાર રસ્તા નજીક આવેલી અદિતિ કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટી-વિભાગ ૧માં આવેલા રહેઠાણ માટેના રૉ હાઉસમાં કોમર્શિયલ એક્ટિવિટી થઈ શકે છે તેવો ચૂકાદો બોર્ડ ઓફ નોમિનીની કોર્ટે આપ્યો છે. આ ચૂકાદામાં દાવો કરનાર પૂર્વાંગ ભટ્ટે રૉ હાઉસ રહેઠાણ માટે હોવાથી તેમાં કોમર્શિયલ એક્ટિવિટી ન થવા દેવાની માગણી કરી કોમર્શિયલ એક્ટિવિટી સામે મનાઈ ફરમાવવા વિનંતી કરતી અરજી કરી હતી.
વાદીવતીથી સચિન ડી. પટેલે દલીલ કરી હતી કે સોસાયટીમાં અમ્યુકોની મંજૂરી વિના જ સમગ્ર બાંધકામ બિન અધિકૃત રીતે કરીને કાયદાનો ભંગ કરવામાં આવ્યો છે. તેથી તે બાંધકામ દૂર કરવાની માગણી કરી હતી. આખું બાંધકામ તોડીને નવેસરથી બાંધકામ કરીને એકમ ઊભું કરવામાં આવ્યું હોવાથી તેની સામે મનાઈ હૂકમ કરવાની માગણી કરવામાં આવી હતી. પ્રતિવાદીએ સહકારી કાયદાની કલમ ૩૦ અને નિયમ ૧૮નો ભંગ કર્યો છે. પ્રતિવાદીઓએ એકબીજાના મેળાપીપણામાં રહેઠાણ વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃત્તિ કરવાની છૂટ આપી છે. તેને માટેનો પ્લાન મંજૂર કરાવ્યા સિવાય તેમાં ફેરફાર કરાવવામાં આવ્યા છે.બિન અધિકૃત બાંધકામ કરવામાં આવ્યા છે.અમ્યુકોએ બીપીએમસી એક્ટની કલમ ૨૬૦(૧) હેઠળ નોટિસ પણ આપી છે.
આ કેસના પ્રતિવાદી મનીષ ઠક્કર વતીથી તેમના વકીલ હિતેષ શાહ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે મનાઈ હુકમની માગણી કરનારને અરજી કે સોગંદનામું કરવાનો અધિકાર જ નથી. તેથી દાવો રદ થવાને પાત્ર છે. સો ફૂટના રોડ પર આવેલી આ સોસાયટીમાં કુલ મળીને ૮૦ રૉ હાઉસ છે અને તેમાંથી ૩૮ રૉ હાઉસમાં કોમર્શિયલ એક્ટિવિટી થઈ રહી છે. કારણ કે આ રોડ પણ કોમર્શિયલ એક્ટિવિટીથી ધમધમી રહ્યો છે. સોસાયટીના ચેરમેન સેક્રેટરી સહિતના સભાસદો તેમના રૉ હાઉસમાં કોમર્શિયલ એક્ટિવિટી કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સોસાયટી પણ કોમર્શિયલ ધોરણે જ વહીવટી ફાળો તેમની પાસેથી વરસોથી વસૂલી રહી છે. આમ વરસોથી આ સોસાયટીમાં કોરાબોરીની સહમતિથીકોમર્શિયલ પ્રવૃત્તિ ચાલી રહી છે. તેને માટે સોસાયટીએ વરસોથી મંજૂરી આપેલી જ છે.
સોસાયટીમાં કોમર્શિયલ એક્ટિવિટી કરવાની છૂટ આપતો ઠરાવ નંબર ૭ ઓગસ્ટ ૨૦૧૪માં થયેલો છે. બીજું, વાદીએ ૨૦૧૦માં પણ બોર્ડ ઓફ નોમિનીમાં કેસ કર્યો હતો. ત્યારબાદ પુર્સીસ આપીને કેસ પાછો ખેંચ્યો હતો. વાદીએ કોમર્શિયલ પ્રવૃત્તિને કારણે તેને થનારા નુકસાનનો અંદાજ આપ્યો જ નથી. પ્રતિવાદીઓની જેમ વાદીઓ પણ રહેઠાણમાં કોમર્શિયલ એક્ટિવિટી કરતાં હોવાનું બહાર આવ્યું છે. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ બોર્ડ ઓફ નોમિનીના સભ્યએ મનાઈ હુકમ આપવાની ના પાડીને વાદીની અરજી કાઢી નાખી છે અને રહેઠાણ માટેના મકાનોમાં કોમર્શિયલ એક્ટિવિટી કરવાની છૂટ આપી છે.
