• 19 September, 2026 - 7:05 AM

યુપીઆઈ પેમેન્ટ પર જીએસટીની વીમા, મ્યુચ્યુઅલ ફંડને ઓટીટીના પેમેન્ટ પર કોઈ અસર નહિ પડે

યુપીઆઈ પેમેન્ટ પર જીએસટીની વીમા, મ્યુચ્યુઅલ ફંડને ઓટીટીના પેમેન્ટ પર કોઈ અસર નહિ પડે
અમદાવાદઃ ૧૫ ઓક્ટોબર ૨૦૨૬થી રૂ. ૨,૦૦૦થી વધુ રકમના યુપીઆઈ-યુનિફાઈડ ઇન્ટરફેસ પેમેન્ટના ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લાદવાના નિર્ણય છતાં, વીમા ક્ષેત્ર, મ્યુચ્યુઅલ ફંડ અને ઓટીટી સબ્સ્ક્રિપ્શન ધરાવતા ગ્રાહકો કે રોકાણકારો પર તેની કોઈ નકારાત્મક અસર પડશે નહીં. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની સ્પષ્ટતા અનુસાર, યુપીઆઈ ઓટો-પે કે ઓટોમેટેડ રિકરિંગ મેન્ડેટ દ્વારા થતી તમામ કપાત પર કોઈ જ એમડીઆર લાગશે નહીં. આ ઉપરાંત વન-ટાઈમ કે મન્યુઅલ પેમેન્ટ માટે પણ વીમા અને મ્યુચ્યુઅલ ફંડ સેક્ટરને વિશેષ રાહત દરોનો લાભ આપવામાં આવ્યો છે, જેના કારણે ગ્રાહકો અને કંપનીઓ બંને માટે ડિજિટલ ટ્રાન્ઝેક્શન પ્રોત્સાહક બની રહેશે.
મ્યુચ્યુઅલ ફંડ સેક્ટર 
ઓટો-પે કે પછી મેન્ડેટ દ્વારા ચાલતી દર મહિનાની એસઆઈપી પર ઝીરો એમડીઆર રહેશે, જેથી ઓટોમેટિક રોકાણ સંપૂર્ણ ફ્રી રહેશે. વન-ટાઈમ લમ્પસમ રોકાણ માટે પણ સામાન્ય ૦.૪ ટકાના બદલે માત્ર ૦.૦૨ ટકા, મહત્તમ રૂ. ૩૦૦ ની મર્યાદા સાથેનો વિશેષ રાહત દર રખાયો છે.
એકમસામટુ મોટું રોકાણ કરતી વખતે મેન્યુઅલ પેમેન્ટ કરનાર ગ્રાહક કે ફંડ હાઉસ માટે મામૂલી વધારાનો ચાર્જ થશે. જો કોઈ રોકાણકાર દર મહિને રૂ. ૫,૦૦૦ ની એસઆઈપી ઓટોપે દ્વારા કરે છે, તો તેને રૂ. ૦ ચાર્જ લાગશે. પરંતુ જો તે મન્યુઅલ રીતે રૂ. ૧,૦,૦૦,૦૦૦નું લમ્પસમ રોકાણ એકસાથે યુપીઆઈથી કરે છે, તો તેના પર ૦.૦૨% મુજબ મહત્તમ રૂ. ૩૦૦ નો એમડીઆર લાગશે.
વીમા ક્ષેત્ર
વીમાના પ્રીમિયમ સામાન્ય રીતે રૂ. ૨,૦૦૦થી વધુના અને વાર્ષિક કે અર્ધવાર્ષિક હોય છે. ટકાવારીના બદલે ફ્લેટ રૂ. ૫ નો એમડીઆર દર રાખવામાં આવ્યો છે, જેથી મોટી રકમના પ્રીમિયમ પર મોટો ખર્ચ નહીં થાય. વન-ટાઈમ મન્યુઅલ પેમેન્ટ વખતે વીમા કંપનીઓએ પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. ૫ ની નિશ્ચિત ફી ચૂકવવી પડશે. જો કોઈ પોલિસીધારક રૂ. ૫૦,૦૦૦ નું વાર્ષિક પ્રીમિયમ વન-ટાઈમ યુપીઆઈથી ભરે છે, તો ૦.૪ ટકા જે રૂ. ૨૦૦ થાય છે તેના બદલે માત્ર ફ્લેટ રૂ. ૫ નો જ એમડીઆર લાગશે. જો આ જ પ્રીમિયમ ઓટો-પે મેન્ડેટથી કપાશે તો રૂ. ૦ ચાર્જ રહેશે.
ઓટીટી સબ્સ્ક્રિપ્શન અને યુટિલિટી બિલ્સ 
નેટફ્લિક્સ, પ્રાઇમ કે ડિઝની પ્લસ જેવા ઓટીટી પ્લેટફોર્મના માસિક કે વાર્ષિક પ્લાન અને વીજળી-પાણીના બિલ મોટાભાગે રિકરિંગ મેન્ડેટ (ઓટોપે) થી ચાલતા હોવાથી સંપૂર્ણપણે એમડીઆર મુક્ત રહેશે. જો ગ્રાહક મેન્યુઅલ રીતે ઓટોપે વગર રૂ. ૨,૦૦૦થી વધુનો વાર્ષિક ઓટીટી પ્લાન વન-ટાઈમ પેમેન્ટથી ખરીદશે, તો વેપારી-પ્લેટફોર્મે ૦.૪ ટકા ચાર્જ ભોગવવો પડશે. ગ્રાહક રૂ. ૨,૪૯૯ નો વાર્ષિક ઓટીટી પ્લાન યુપીઆઈ ઓટોપેથી સબ્સ્ક્રાઇબ કરે છે તો કોઈ ચાર્જ લાગશે નહીં, પરંતુ જો વન-ટાઈમ પેમેન્ટ કરશે તો કંપનીએ રૂ. ૯.૯૯ (૦.૪%) એમડીઆર આપવો પડશે.

Read Previous

નવા કપાસની આવક શરૂ થઈ ગઈ, બજારમાં મંદીનો સૂર

Most Popular