• 10 July, 2026 - 10:53 PM

વિદેશથી થતી આવક રિટર્નમાં નહિ બતાવો તો પકડાઈ જશો

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસનો મોટો નિર્ણયઃ હવે વિદેશી કમાણી અને અસ્કયામતોની વિગતો સીધી AISમાં દેખાશે;

કરદાતાઓએ રિટર્ન ફાઈલ કરતી વખતે રાખવી પડશે ખાસ સાવચેતી

અમદાવાદ: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ કરચોરી રોકવા અને નાણાકીય પારદર્શિતા વધારવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લઈને વિદેશોમાંથી ઓટોમેટિક એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન (AEOI) ફ્રેમવર્ક હેઠળ ભારત સરકારને મળતી તમામ નાણાકીય વિગતો હવે કરદાતાના એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS) – ફોર્મ નંબર ૧૬૮ માં સીધી અપલોડ કરવામાં આવશે. તમારા રિટર્નની તેની સાથે સરખામણી કરવામાં આવશે. સીબીડીટીના આ પગલાથી કરદાતાઓ માટે વિદેશી આવક છુપાવવી અશક્ય બનશે અને આવકવેરા વિભાગની નજરમાં કોઈપણ વિસંગતતા તુરંત આવી જશે.

જોકે CBDTના આ આદેશથી વિદેશી અસ્કયામતો પર કોઈ નવો ટેક્સ લાદવામાં આવ્યો નથી, કે ન તો હાલના રિપોર્ટિંગના નિયમોમાં કોઈ ફેરફાર કરાયો છે. આ માત્ર ડેટા અપલોડિંગની પ્રક્રિયાને સ્વચાલિત અને મજબૂત બનાવવાની ટેકનિકલ વ્યવસ્થા છે. જોકે, આનાથી આવકવેરા વિભાગની વિદેશી નાણાકીય વ્યવહારો પરની પકડ મજબૂત બની જશે. વિદેશી આવક ધરાવતા કરદાતાઓ માટે કરચોરી કરવી કઠિન બની જશે.

ટેક્સ કન્સલ્ટન્ટ પ્રમોદ પોપટનું કહેવું છે કે આવકવેરા કાયદા ૨૦૨૫ની કલમ ૨૩૯ અને આવકવેરા નિયમો, ૨૦૨૬ના નિયમ ૨4૫(૨) હેઠળ સત્તાવાર આદેશ જારી કરીને સીબીડીટીએ ડાયરેક્ટર જનરલ ઓફ ઇન્કમટેક્સ-સિસ્ટમ્સને આ વિગતો અપલોડ કરવાની સત્તા આપી દીધી છે. આ નિયમ મુજબ જે મહિનામાં આવકવેરા વિભાગને વિદેશી માહિતીની આપ-લે કરવા સહમત થયેલા દેશો તરફથી માહિતી મળશે, તેના ૯૦ દિવસની અંદર આ વિગતો કરદાતાના AIS પર ઉપલબ્ધ કરાવવાની રહેશે.

આંતરરાષ્ટ્રીય માહિતી આદાન-પ્રદાન કરાર હેઠળ અન્ય દેશો તરફથી ભારતને મળેલી નીચે મુજબની વિગતો હવે તમારા AIS માં પ્રતિબિંબિત થશે. એક, વિદેશી બેંકોમાં સક્રિય કે નિષ્ક્રિય ખાતાઓ અને તેની વિગતો આવી જશે. બે, દરિયાપાર (ઓવરસીઝ) કરેલા કોઈપણ પ્રકારના નાણાકીય રોકાણોની વિગતો આવી જશે. ત્રણ, વિદેશી શેર કે સિક્યોરિટીઝમાંથી મળેલી ડિવિડન્ડ અથવા વ્યાજની આવકની વિગતો ઇન્કમટેક્સ વિભાગને મળી જશે. ચાર, બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા કર્મચારીઓને અપાતા આરએસયુ-રિસ્ટ્રીક્ટેડ સ્ટોક યુનિટ્સ અને કર્મચારીઓને આપવામાં આવતા સ્ટોક ઓનરશીપ પ્લાનની વિગતો-ESOP આવકવેરા ખાતાને મળી જશે. પાંચ, ઓટોમેટિક એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન ફ્રેમવર્ક અંતર્ગત રિપોર્ટ કરવા પાત્ર અન્ય તમામ નાણાકીય અસ્કયામતો અને આવકની માહિતી મળી જશે.

કોના પર કેવી અને કેટલી અસર પડશે?

આ પરિપત્રની સીધી અસર એવા તમામ ભારતીય રહેવાસીઓ પર પડશે જેમની પાસે વિદેશમાં કોઈ સંપત્તિ છે અથવા ત્યાંથી કમાણી થાય છે:

વર્ગ / ક્ષેત્ર વ્યવહારિક અસર (Impact)
ટેકનોલોજી અને બહુ રાષ્ટ્રીય કંપનીના કર્મચારીઓ જે કર્મચારીઓને વૈશ્વિક કંપનીઓ તરફથી RSU કે ESOP મળે છે, તેમની તમામ વિગતો હવે આઈટી વિભાગ પાસે લાઈવ હશે. તેઓ આ વિગતો છુપાવી શકશે નહીં.
હાઈ નેટવર્થ ઈન્ડિવિડ્યુઅલ્સ HNIs) જેઓ વિદેશી બજારોમાં રોકાણ કરે છે અથવા વિદેશી બેંક ખાતા ધરાવે છે, તેમના માટે પારદર્શિતા ફરજિયાત બનશે. અઘોષિત સંપત્તિ પકડાઈ જવાનું જોખમ ખૂબ વધી જશે.
આવકવેરા વિભાગ (IT Dept) ટેક્સ ઓથોરિટી માટે ડેટા મેળવવો અને કરચોરી પકડવી અત્યંત સરળ બનશે. ડેટા ઓટો-પોપ્યુલેટ થવાના કારણે મેન્યુઅલ તપાસની જરૂરિયાત ઘટશે.

કરદાતાઓએ આ બાબતોની ખાસ કાળજી રાખવી

જો તમે વિદેશી આવક કે અસ્કયામતો ધરાવો છો, તો આ વર્ષથી રિટર્ન ફાઈલ કરતી વખતે સામાન્ય ભૂલ પણ ભારે પડી શકે છે.

  1. શિડ્યુલ એફએ-ફોરેન એસેટ્સ્નીની ચકાસણી થવાની હોવાથી તમારા ITR માં આવેલ ‘શિડ્યુલ એફએ’માં તમામ વિદેશી અસ્કયામતોની સાચી, સંપૂર્ણ અને સચોટ માહિતી જાહેર કરવી જ પડશે.
  2. વિદેશી આવકનું યોગ્ય જાહેરાત કરી દેવી પડશે. વિદેશમાંથી મળતા ડિવિડન્ડ, વ્યાજ કે અન્ય કમાણીને સંબંધિત ફોરેન સોર્સ ઇન્કમ શિડ્યુલમાં ચોક્કસ દર્શાવવી જ પડશે.
  3. એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ-AIS અને ઇન્કમટેક્સ રિટર્ન-ITRની વિગતોની સરખામણી કરી લેવી હિતાવહ ગણાશે. રિટર્ન સબમિટ કરતા પહેલાં તમારા AIS ફોર્મમાં દર્શાવેલી વિદેશી આવકની રકમ અને તમારા રિટર્નની રકમ એકબીજા સાથે સંપૂર્ણપણે મેચ થવી જોઈએ.
  4. સ્ક્રુટિની અને નોટિસથી બચવામાં જ લાભ છે અન્યથા મોટી તકલીપ આવી જશે. જો એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટમાં દર્શાવેલ વિદેશી ડેટા અને તમારા ફાઈલ કરેલા ઇન્કમટેક્સ રિટર્ન વચ્ચે કોઈપણ પ્રકારની વિસંગતતા કે મિસમેચ જણાશે, તો આવકવેરા વિભાગ તુરંત જ સ્ક્રુટિની નોટિસ મોકલી આપશે.

Read Previous

કેન્દ્ર સરકારે ચાર્જરના ભાગો અને બેટરી મશીનરી પરની કસ્ટમ્સ ડ્યુટી નાબૂદ કરી દીધી

Read Next

એનસીયુઆઈની ચૂંટણીમાં દિલીપ સંઘાણીની એન્ટ્રીથી સહકારી વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમ

Most Popular