• 12 September, 2026 - 9:08 AM

નવી બે લાખ સહકારી સંસ્થાઓ સ્થાપવાના અભિયાનથી ગ્રામીણ અર્થતંત્રને વેગ મળ્યો

નવી બે લાખ સહકારી સંસ્થાઓ સ્થાપવાના અભિયાનથી ગ્રામીણ અર્થતંત્રને વેગ મળ્યો

કેન્દ્રીય સહકાર મંત્રાલય દ્વારા ૨ લાખ નવી સહકારી મંડળીઓની સમીક્ષા કરવામાં આવી

બે લાખ નવી સહકારી મંડળીઓ સ્થાપવાની આ ઝુંબેશ માત્ર સંખ્યાત્મક સુધારો નથી, પરંતુ તે ભારતના ગ્રામીણ આર્થિક માળખાને બદલવાનો એક મોટો પ્રયાસ છે

ભારતીય અર્થતંત્રના પાયારૂપ એવા સહકારી ક્ષેત્રને પાયાના સ્તરને વધુ મજબૂત કરવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વાકાંક્ષી ઝુંબેશ હાથ ધરી છે. દેશભરની દરેક પંચાયતમાં સહકારી માળખું પહોંચાડવાના લક્ષ્યાંક સાથે હાથ ધરાયેલી બે લાખ નવી પ્રાથમિક સહકારી મંડળીઓની સ્થાપનાની યોજનાની પ્રગતિ અંગે કેન્દ્રીય સહકાર મંત્રાલય દ્વારા તાજેતરમાં એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીના નિર્દેશ હેઠળ સહકાર મંત્રાલયે દેશની એવી તમામ ગ્રામ પંચાયતો અને ગામડોમાં જ્યાં હાલમાં પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ, ડેરી અથવા મત્સ્યપાલન સહકારી મંડળીઓ નથી, ત્યાં નવી મંડળીઓ સ્થાપવાની કામગીરી ઝડપી બનાવી છે. આ સમીક્ષા બેઠકમાં વિવિધ રાજ્યો દ્વારા કરવામાં આવેલી કામગીરી, તેન ડેટાબેઝનું મેપિંગ અને મંડળીઓના રજીસ્ટ્રેશનની પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તેમાં ખેડૂતોની આવક વધી રહી હોવાનું, ખેડૂતોને ધિરાણ સરળતાથી મળતું થયું હોવાનું અને ખેડૂતો ફૂડ પ્રોસેસિંગ તરફ ફરીથી વળી રહ્યા હોવાનું અને વેલ્યુ એડિશન તેમના ફોકસમાં આવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

યોજનાનો મુખ્ય હેતુ અને વ્યૂહરચના

દેશની દરેક પંચાયતમાં ઓછામાં ઓછી એક બહુહેતુક પ્રાથમિક કૃષિ સહકારી મંડળી, ડેરી કે મત્સ્યપાલન સહકારી મંડળી કાર્યરત કરવાની નેમ સાથે આ સમગ્ર કવાયતનો આરંભ કરવામાં આવ્યો છે. બીજું, નવી બનનારી પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ માત્ર ખાતર કે બિયારણ આપવા પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ તે જન ઔષધિ કેન્દ્ર, કોમન સર્વિસ સેન્ટર, પેટ્રોલ પંપ, અનાજ સંગ્રહ ક્ષમતા અને એલપીજી વિતરણ જેવી ૩૦થી વધુ વિવિધ સેવાઓ પણ સાથે સાથે ગ્રામીણ વિસ્તારની જનતાને આપશે.

ટેકનોલોજી અને ડિજિટાઇઝેશન

નેશનલ કો-ઓપરેટિવ ડેટાબેઝના આધારે કયા વિસ્તારોમાં મંડળીઓની અછત છે તેનું જીઓ-ટેગિંગ કરીને ચોક્કસ લક્ષ્યાંક સાથે મંડળીઓ નોંધવામાં આવી રહી છે. આ નોંધણી કર્યા પછી ગ્રામીણ સ્તરે આવી રહેલા પરિવર્તનોનું પણ અવલોકન કરવામાં આવી રહ્યું છે.

ગ્રામીણ રોજગારી અને આવકમાં વધારો

કૃષિ સાથે પૂરક વ્યવસાયો જેવા કે પશુપાલન અને મત્સ્યપાલનને સહકારી માળખા સાથે જોડવામાં આવી રહ્યા છે. તેને પરિણામે વચેટિયાઓની ભૂમિકા ઘટી રહી છે. નાના તથા સીમાંત ખેડૂતોને તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ મળવા માંડ્યા છે. આ સિવાય ગ્રામીણ યુવાનોને મંડળીઓ મારફતે સ્થાનિક સ્તરે જ રોજગારીની નવી તકો મળશે. બીજું, બેંકિંગ સુવિધાઓથી વંચિત એવા અંતરિયાળ વિસ્તારોમાં નવી પ્રાથમિક કૃષિ સહકારી સંસ્થાઓના માધ્યમથી  સંસ્થાકીય ધિરાણ પહોંચાડવામાં આવી રહ્યું છે. તેની સીધી અસર ગ્રામીણ અર્થતંત્ર પર પડતી જોવા મળી રહી છે. સૌ પ્રથમ તો ખેડૂતોએ શાહુકારો પાસે ઊંચા વ્યાજે નાણાં લેવાની જરૂર ઓછી થઈ રહી છે. પરિણામે ગ્રામીણ જનતાના માથે પરના દેવામાં ઘટાડો થવા માંડ્યો છે.

સહકારી ક્ષેત્રનું વ્યવસાયિકરણ અને પારદર્શિતા

તમામ નવી મંડળીઓને કોમ્પ્યુટરાઈઝ્ડ સોફ્ટવેર સાથે જોડવામાં આવી રહી છે. મંડળીઓના વહીવટમાં સગાંવાદ અને નાણાકીય ગેરરીતિઓ અટકવાનો આરંભ થઈ ગયો છે. પરિણામે સહકારી સંસ્થાઓમાં થાપણ મૂકતા થાપણદારોનો વિશ્વાસ પુનઃસ્થાપિત થવા માંડ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં નવી મંડળીઓના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે, જ્યારે અમુક પૂર્વોત્તર રાજ્યોમાં માળખાકીય સુવિધાઓનો અભાવ હોવાથી ઝડપ ધીમી છે.

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ નવી રાષ્ટ્રીય સહકાર નીતિ જાહેર કરવા જઈ રહી છે, જે આ ૨ લાખ નવી મંડળીઓને કાનૂની અને નાણાકીય ટેકો પૂરો પાડશે. તાલીમ અને ક્ષમતા નિર્માણ કરશે. નેશનલ કાઉન્સિલ ફોર કોઓપરેટિવ ટ્રેનિંગ આ નવી મંડળીઓના સંચાલકો અને સભ્યોને પ્રોફેશનલ ટ્રેનિંગ આપવાનું કાર્ય પણ સમાંતરપણે ચલાવી રહી છે. કેન્દ્રીય સહકાર મંત્રાલયની બે લાખ નવી સહકારી મંડળીઓ સ્થાપવાની આ ઝુંબેશ માત્ર સંખ્યાત્મક સુધારો નથી, પરંતુ તે ભારતના ગ્રામીણ આર્થિક માળખાને બદલવાનો એક મોટો પ્રયાસ છે. જો આ યોજનાનું અમલીકરણ પારદર્શી રીતે થશે, તો તે ‘સહકારથી સમૃદ્ધિ’ ના મંત્રને સાચા અર્થમાં સાકાર કરશે.

Read Previous

હવે સરકાર પ્રીમિયમ ટ્રેનમાં નાફેડ મારફતે ભોજન પીરસવાની સુવિધા ઊભી કરશે: ઓર્ગેનિક ફૂડને પ્રોત્સાહન આપશે

Read Next

NAFCUBની વાર્ષિક સામાન્ય સભામાં ડાયરેક્ટર્સની ૧૦ વર્ષની મર્યાદાના નિયમનો સખત વિરોધ

Most Popular