• 5 July, 2026 - 11:18 PM

દવાના વેચાણ અને તેની કિંમતના રેકોર્ડ હવે સાત વર્ષ સુધી સાચવી રાખવો ફરજિયાત કર્યો

દવાના ભાવ નિયંત્રણ (DPCO) નિયમોમાં મોટો ફેરફાર: જાણો દવા કંપનીઓ, કેમિસ્ટ અને ગ્રાહકો પર શું થશે અસર

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યૂટિકલ્સે જૂન ૨૦૨૬ના અંતથી દવાની કિંમતોના નિયમન સંબંધિત કાયદામાં મહત્વના સુધારા અમલમાં મૂકવામાં આવ્યા છે. દવાની અલગ મહત્તમ કિંમત નક્કી કરવા અને ઓવરચાર્જિંગ (વધુ કિંમત વસૂલવા) ના કિસ્સામાં દંડનીય જવાબદારી નક્કી કરતા આ સુધારાથી સમગ્ર ફાર્મા સેક્ટરના સમીકરણો બદલાશે. આ ફેરફારો દવા બનાવતી કંપનીઓ, ડિસ્ટ્રિબ્યુટર્સ, કેમિસ્ટ (મેડિકલ સ્ટોર્સ) અને અંતિમ ગ્રાહકો પર સીધી અસર કરશે.

દવા ઉત્પાદક કંપનીઓ પર વહીવટી બોજમાં વધારો અને ૭ વર્ષ સુધી રેકોર્ડ રાખવાની કડક જોગવાઈ

એક, નવા સુધારા મુજબ હવે દવા ઉત્પાદકોએ ફોર્મ્યુલેશન યુનિટ્સ, પેક્સ તેમજ દરેક સક્રિય ફાર્માસ્યુટિકલ સામગ્રી અથવા બલ્ક ડ્રગ્સ (ભલે તે ઉત્પાદિત હોય કે આયાત કરેલી હોય) ના વેચાણના તમામ દસ્તાવેજો ઓછામાં ઓછા ૭ નાણાકીય વર્ષ સુધી સુરક્ષિત અને વ્યવસ્થિત રાખવા પડશે. વળી, જો કંપની સામે કોઈ કાનૂની કાર્યવાહી પેન્ડિંગ હશે, તો કેસનો આખરી નિકાલ ન આવે ત્યાં સુધી આ રેકોર્ડ સાચવવો પડશે. આ સુધારાથી ફાર્મા કંપનીઓ પર કમ્પ્લાયન્સ અને ઓડિટનું વહીવટી ભારણ ઘણું વધી જશે, કારણ કે સહેજ પણ બેદરકારી બદલ કાનૂની જોગવાઈઓનો સામનો કરવો પડી શકે છે.

નવી ફોર્મ્યુલા અને સ્પેશિયલ પેકેજિંગ ધરાવતી પ્રોડક્ટ્સ માટે કંપનીઓને ભાવ નિર્ધારણમાં રાહત

સરકારે પેરાગ્રાફ ૧૧(૩) માં સુધારો કરીને માત્ર ઈન્જેક્શન કે ઈનહેલેશનના મર્યાદિત નામો હટાવી દીધા છે. હવે લિક્વિડ, ગેસ કે અન્ય કોઈ પણ સ્વરૂપની દવા હોય, જો કંપની તેના પેકેજિંગના પ્રકાર, પેકના કદ, દર્દીઓ માટે ડોઝની સરળતા કે થેરાપ્યુટિક રેશનલ (ચોક્કસ તબીબી તર્ક) ના આધારે અલગ કિંમત ઈચ્છે, તો સરકાર સમક્ષ અરજી કરી શકે છે. ઇન્ડિયન ફાર્માકોપિયાના ધોરણોને આધીન રહીને સરકાર આવી દવાઓ માટે અલગ મહત્તમ કે રિટેલ કિંમત નક્કી કરી આપશે. આ સુધારાથી નવીનતમ અને ગ્રાહક-લક્ષી પેકેજિંગ બનાવતી કંપનીઓને પોતાના ઉત્પાદનનું વ્યાજબી મૂલ્ય મેળવવાની તક મળશે.

નવી દવા લોન્ચ કરનારી અન્ય કંપનીઓને પ્રાઇસ અપ્રૂવલમાંથી મુક્તિ અને સમયની બચત

અત્યાર સુધી આવશ્યક દવાઓની રાષ્ટ્રીય યાદીમાં સામેલ દવાઓની નવી કેટેગરી લોન્ચ કરવા માટે પૂર્વ મંજૂરી લેવી પડતી હતી. હવે નિયમ એવો કરાયો છે કે કોઈ નવી દવાની રિટેલ કિંમત નક્કી થયાના ૧૨ મહિનાની અંદર જો અન્ય કોઈ પણ ચાલુ ઉત્પાદક કંપની તે જ દવા લોન્ચ કરે, તો તેણે કિંમતની પૂર્વ મંજૂરી માટે અલગથી લાંબી અરજી કરવાની જરૂર રહેશે નહીં. કંપનીએ માત્ર લોન્ચિંગના એક મહિનાની અંદર નવા ‘ફોર્મ-૧એ’નાા માધ્યમથી સરકારને વિગતો સબમિટ કરવાની રહેશે. આનાથી બજારમાં અન્ય બ્રાન્ડ્સની નવી દવાઓ ઝડપથી ઉપલબ્ધ બનશે, જોકે નિયમના પાલનમાં ભૂલ કરવા બદલ ભારે વ્યાજ અને દંડની જોગવાઈ પણ રાખવામાં આવી છે.

પ્રામાણિક કંપનીઓની નાણાકીય જવાબદારી મર્યાદિત થઈ, ઓવરચાર્જિંગની વ્યાખ્યા વધુ સ્પષ્ટ બની

કંપનીઓ માટે સૌથી મોટી રાહત પેરાગ્રાફ ૧૪(૨) ના સુધારામાં છે. જો ભૂતકાળમાં કંપની સરકારી કિંમતોના સુધારાનું નિયમિત પાલન કરતી આવી હોય, અને માર્કેટમાં કોઈ ચોક્કસ ડિસ્ટ્રિબ્યુટર કે રિટેલર વધુ કિંમત વસૂલતો પકડાય, તો ઓવરચાર્જિંગ માટેની ઉત્પાદક કંપનીની જવાબદારી માત્ર તે પકડાયેલા સ્ટોકના જથ્થા પૂરતી જ મર્યાદિત રહેશે. આ સુધારો પ્રામાણિક કંપનીઓને બજારના મધ્યસ્થીઓની ભૂલો અથવા કાળાબજારીના લીધે થતા મોટા આર્થિક દંડ અને કાનૂની સકંજામાંથી મુક્તિ અપાવશે.

કેમિસ્ટ, ડિસ્ટ્રિબ્યુટર્સ અને સ્ટોકિસ્ટ્સ પર કિંમતના કડક પાલનની સીધી તલવાર

છૂટક અને જથ્થાબંધ દવા વેપારીઓ એટલે કે કેમિસ્ટ અને ડિસ્ટ્રીબ્યુટર્સ પર આ નિયમની સીધી અને મોટી અસર પડશે. જો કોઈ ચોક્કસ બેચની દવા સરકારી મહત્તમ કિંમત અને સ્થાનિક ટેક્સ કરતાં વધુ કિંમતે વેચાતી પકડાશે, તો ઓવરચાર્જ થયેલી રકમની ગણતરી માત્ર તે ચોક્કસ રિટેલર કે ડિસ્ટ્રિબ્યુટર પાસે ઉપલબ્ધ સ્ટોકના આધારે જ કરવામાં આવશે. કંપનીઓએ કિંમત સુધારાની માહિતી આપવા માટે નોટિફિકેશનના બે અઠવાડિયામાં બે રાષ્ટ્રીય અખબારોમાં જાહેરાત આપવી, ફોર્મ V કે VI માં પૂરક કિંમત યાદી મોકલવી અને પોતાની વેબસાઇટ પર ‘DPCO મેટર્સ’ સેક્શનમાં વિગતો મૂકવી ફરજિયાત કરી છે. આથી કેમિસ્ટો એવો બહાનો નહીં કાઢી શકે કે તેમને નવી કિંમતોની ખબર નહોતી. નિયમભંગ કરનાર વેપારીઓ સીધા કાનૂની સકંજામાં આવશે.

છૂટક દવા ખરીદનાર સામાન્ય ગ્રાહકોને ભાવમાં પારદર્શિતા અને છેતરામણીમાંથી મુક્તિ

અંતિમ ગ્રાહક એટલે કે દર્દીઓ અને છૂટક દવા ખરીદનારાઓ માટે આ સુધારો ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. કંપનીઓ માટે રાષ્ટ્રીય અખબારોમાં સુધારેલા ભાવોની જાહેરાત આપવી અને વેબસાઇટના હોમપેજ પર જ ભાવ દર્શાવવા ફરજિયાત કરાયા હોવાથી ગ્રાહકો માટે દવાની સાચી કિંમત જાણવી સરળ બનશે. વધુમાં, માર્કેટમાં અગાઉની બાર મહિનાની નક્કી કરાયેલી મહત્તમ કિંમત કરતાં વધુ ભાવે નવી દવા લોન્ચ કરવા પર પ્રતિબંધ (પેરા ૧૫(૬)) મુકાયો હોવાથી કંપનીઓ ગ્રાહકો પાસેથી મનસ્વી રીતે ઊંચા ભાવો વસૂલી શકશે નહીં. પરિણામે ગ્રાહકોને વાજબી ભાવે દવાઓ ઉપલબ્ધ બનશે અને ઓવરપ્રાઇસિંગની છેતરામણી અટકશે.

Read Previous

વેદાંતા એલ્યુમિનિયમના શેરના ભાવમાં ૨૨ ટકા ના ઉછાળાની મજબૂત તક; ટૂંકા અને લાંબા ગાળામાં શેરની ચાલ કેવી રહેવાની સંભાવનાને જાણો

Read Next

વિદેશી યુનિવર્સિટીઓ ભારતમાં સ્થાનિક ફેકલ્ટી બેઝ કરી રહી છે

Most Popular