• 4 February, 2026 - 12:34 PM

યુરોપિયન સંઘે ભારતના ઉત્પાદનોને આપેલા શૂન્ય ટકા ડ્યૂટીથી આયાત કરવાની સ્કીમ રદ કરી

ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થાય તે પહેલા જ ભારતને મોટી અસર પડે તેવાં પગલાંની જાહેરાત કરી, પરંતુ વાણિજ્ય મંત્રાલય કહે છે ભારતની નિકાસ પર અસર નહિ પડે

અમદાવાદઃ યુરોપિયન સંઘના દેશો સાથે એટલે કે EU-ભારત વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની જાહેરાતો થવાના થોડા જ દિવસો બાકી છે ત્યારે યુરોપિયન સંઘના દેશોએ GSP (જનરલાઇઝ્ડ સ્કીમ ઑફ પ્રેફરન્સિસ) હેઠળ નિકાસ લાભો સ્થગિત કરી દેવાની જાહેરાત કરતાં ભારતના નિકાસકારોનો મોટો આંચકો લાગવાની સંભાવના વધી ગઈ છે. જોકે ભારતના વાણિજ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે યુરોપિયન સંઘના દેશોના આ નિર્ણયથી 27 દેશોના બ્લોકમાં ભારતીય નિકાસ પર કોઈ જ અવળી અસર પડશે નહીં.

જીએસટી એક્સપોર્ટ બેનિફિટમાં વિકાસશીલ દેશોમાંથી વિકસિત દેશોમાં કરવામાં આવતી આયાત પર શૂન્ય કસ્ટમ્સ ડ્યૂટી લગાડવામાં આવે છે. પરિણામે વિકાસશીલ દેશોની નિકાસ વધું સ્પર્ધાત્મક બની જાય છે. તેમ જ વિકાસશીલ દેશોના ઉત્પાદનો સરળતાથી વિકસિત દેશોના બજારમાં એન્ટ્રી લઈ શકે છે. તેનાથી ભારતમાંથી યુરોપિયન સંઘના દેશોમાં થતી નિકાસને વેગ મળતો હતો. ભારતના ઔદ્યોગિકરણને પણ વેગ મળતો હતો. તેમ જ અર્થતંત્રમાં વિવિધતા આવતી હતી.

આ વ્યવસ્થા હેઠળ યુરોપિયન સંઘના દેશોએ ઘણી બધી વસ્તુઓ પર શૂન્ય ટકા ટેરિફ-આયાત ડ્યૂટી લેવાનું નક્કી કરી દીધું હતું. નિકાસકારોના નફાના માર્જિનમાં આ વ્યવસ્થાને કારણે સુધારો થતો હતો. ઓરિજિન ઓફ કંટ્રીના નિયમનું પાલન કરતાં લગભગ તમામ ગુડ્સને આ વ્યવસ્થા હેઠળ લાભ મળતો હતો. આ નિયમ હેઠળ માત્ર ને માત્ર ભારતમાં બનેલી ચીજવસ્તુઓ પર શૂન્ય આયાત ડ્યૂટી લેવામાં આવતી હતી.

ભારત ફ્રી ટ્રેડની સમજૂતી ફાઈનલ કરવાની અણી પર છે ત્યારે યુરોપિયન સંઘના દેશોની શૂન્ય ટકા આયાત ડ્યૂટીના લાભ પાછા ખેંચી લેવાની જાહેરાત આવી છે. જાહેરાત મુજબના ફેરફાર જાન્યુઆરી 2026થી ડિસેમ્બર 2028 સુધી ડ્યૂટી મુક્તિના લાભ પાછા ખેંચી લેવાની જોગવાઈ લાગુ કરવાની જાહેરાત કરી છે. ભારત ઉપરાંત ઈન્ડોનેશિયા અને કેન્યા માટે પણ નવી જાહેરાત લાગુ કરવામાં આવશે.

ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવે પ્રસ્તુત જાહેરાતને EUના બજારમાં ભારત પ્રોડક્ટ્ની એન્ટ્રી સામેના મોટા ઝટકા તરીકે ઓળખાવ્યો છે. જીટીઆરઈના નિષ્ણાતોનું કહેવું છે કે GSP (જનરલાઇઝ્ડ સ્કીમ ઑફ પ્રેફરન્સિસ) લાભો સ્થગિત થવાથી ભારતની 87 ટકા નિકાસ પર હવે ઊંચો આયાત શુલ્ક ચૂકવવો પડશે. હવે ફક્ત અંદાજે 13 ટકા નિકાસ હેઠળના કૃષિ અને ચામડાના ઉત્પાદનનોની જ ડ્યૂટી મુક્ત નિકાસ કરી શકાશે.

વાણિજ્ય મંત્રાલયે અસર ઓછી ગણાવી

પરંતુ વાણિજ્ય મંત્રાલયે આગ્રહ કર્યો છે કે આ ફેરફારથી યુરોપિયન યુનિયન માટેની ભારતીય નિકાસ પર કોઈ મોટી અસર થશે નહીં. 27 દેશોના જૂથે 2016થી ખનિજ, કેમિકલ્સ અને ટેક્સટાઇલ્સ જેવા ઉત્પાદનો માટે ભારત પર GSP ટેરિફને પ્રાધાન્ય આપવાનું ધીમે ધીમે સ્થગિત કર્યું છે. પહેલી ડિસેમ્બર 2025ના રોજ બહાર પાડવામાં આવેલા નિયમો મુજબ એ જ યાદી વિસ્તરાવવામાં આવી હતી.

આગામી સપ્તાહે ભારત-EU FTA?

સરકારના સ્ત્રોતોનું કહેવું છે કે બંને દેશો મંગળવારે લાંબા સમયથી ચાલતી વાતચીતના સમાપનની જાહેરાત કરવાની અપેક્ષા છે. આ જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશન પ્રમુખ ઉર્સુલા વોન ડર લેયન સાથેની બેઠક બાદ થઈ શકે છે. ત્રણેય નેતાઓ 25 થી 28 જાન્યુઆરી દરમિયાન ભારતની મુલાકાત દરમિયાન ભારત-EU સમિટનું સહ અધ્યક્ષપદ સંભાળશે. આ અંગેની વાતચીત પૂર્ણ થયા પછી આ વેપાર કરારને ઔપચારિક સ્વરૂપ આપવું પડશે. ત્યારબાદ યુરોપિયન પાર્લામેન્ટ દ્વારા તેની માન્યતા આપવામાં આવશે. કરાર અમલમાં મૂકવામાં આવે તે પહેલાં ઓછામાં ઓછું એક વર્ષ લાગી શકે છે. નવ વર્ષના વિરામ બાદ 2022માં ફરીથી વાતચીત શરૂ કરવામાં આવી હતી.

 

Read Previous

NCUIમાં વહીવટદારની નિમણૂંક થતાં સાંઘાણીએ વહેલી ચૂંટણીની માગણી કરી

Read Next

H-1B વિઝા માટે અરજી કરનારાઓને 2027 સુધી મંજૂરી નહિ મળે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular