• 9 September, 2026 - 10:31 AM

પર્યાવરણ સંરક્ષણનું કામ કરતી સંસ્થા ચોક્કસ શરતો હેઠળ જીએસટીમાંથી મુક્તિ મેળવવા પાત્ર: હાઈકોર્ટ

પર્યાવરણ સંરક્ષણનું કામ કરતી સંસ્થા ચોક્કસ શરતો હેઠળ જીએસટીમાંથી મુક્તિ મેળવવા પાત્ર: હાઈકોર્ટ
હાઈકોર્ટે જીએસટી વિભાગ દ્વારા નરોડા એન્વાયરો પ્રોજેક્ટ્સ લિમિટેડને પાઠવવામાં આવેલી શો-કોઝ નોટિસને સંપૂર્ણપણે રદબાતલ ઠેરવી
અમદાવાદ:  હાઈકોર્ટે જીએસટી વિભાગ દ્વારા નરોડા એન્વાયરો પ્રોજેક્ટ્સ લિમિટેડને પાઠવવામાં આવેલી શો-કોઝ નોટિસને સંપૂર્ણપણે રદબાતલ ઠેરવી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જો સંસ્થા પ્રામાણિકપણે ટેક્સ મુક્તિનો દાવો કરતી હોય તો તેને કરચોરી કે માહિતી છુપાવવાનો ગુનો ગણી શકાય નહીં. ઈન્કમ ટેક્સ એક્ટ હેઠળ ચેરિટેબલ ટ્રસ્ટ અથવા સંસ્થા તરીકે રજિસ્ટર્ડ હોય અને પર્યાવરણ સંરક્ષણની પ્રવૃત્તિ સાથે સંકળાયેલી હોય તેવી સંસ્થાઓને GST કાયદા હેઠળ ટેક્સમાંથી મુક્તિ મળે છે તેવો એક મહત્વનો ચુકાદો ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે. આ ચુકાદો ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એ. એસ. સુપેહિયા અને જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીની બેંચ દ્વારા આપવામાં આવ્યો છે.
ગુજરાત હાઈકોર્ટે ઠરાવ્યું છે કે ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 12AA હેઠળ નોંધાયેલી અને પર્યાવરણની જાળવણી જેવી પરમાર્થી પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓને કેન્દ્ર સરકારના નોટિફિકેશન નંબર 12/2017 અનુસાર GST ભરવામાંથી મુક્તિ મળે છે. આવી સંસ્થાઓ પર જીએસટી એક્ટની કલમ 74 હેઠળ ટેક્સ ચોરી, માહિતી છુપાવવા કે ફ્રોડના આરોપ લગાવીને નોટિસ પાઠવી શકાય નહીં. વેપારી કે સંસ્થા તરફથી કોઈ ભૂલ થઈ હોય તો પણ જો તેમાં કરચોરી કરવાનો કોઈ બદઆશય-ખરાબ ઇરાદો ન હોવાથી તેની સામે કડક કાર્યવાહી કરી શકાય જ નહીં. આ નોટિસના સંદર્ભમાં શૈલેશ પટવારીને અંગત દંડ પણ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે આ દંડ કાઢી નાખ્યો છે.
નરોડા એન્વાયરો પ્રોજેક્ટ્સ લિમિટેડ ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટ અને પ્રદૂષણ નિયંત્રણ માટે કામ કરે છે અને ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 12AA હેઠળ રજિસ્ટર્ડ છે. જીએસટી અમલમાં આવ્યા બાદ (01 જુલાઈ 2017) સંસ્થાએ ચેરિટેબલ એક્ટિવિટીના નોટિફિકેશન આધારે જીએસટી ચૂકવ્યો નહોતો. જોકે, જીએસટી વિભાગે 23 નવેમ્બર 2022ના રોજ સંસ્થાના પરિસરમાં સર્ચ હાથ ધરીને એવો દાવો કર્યો હતો કે સંસ્થાએ પ્રોસેસિંગ ફી લઈને સેવાઓ આપી હોવાથી તે જીએસટીને પાત્ર છે. ત્યારબાદ જીએસટી વિભાગે 01 જુલાઈ 2017 થી 12 મે 2022 સુધીના સમયગાળા માટે કરોડો રૂપિયાનો ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી વસૂલવા કલમ 74 હેઠળ કારણદર્શક નોટિસ પાઠવી હતી. આ નોટિસ સામે સંસ્થાએ હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.
આ ચુકાદાથી પર્યાવરણ સંરક્ષણ, નદીઓ, જંગલો અને વન્યજીવોના જતન માટે કામ કરતી અને ઈન્કમ ટેક્સ હેઠળ 12AA નું રજિસ્ટ્રેશન ધરાવતી તમામ સંસ્થાઓને સીધો લાભ મળશે. તેમને ટેક્સ બોજમાંથી રાહત મળી જશે. આ કેટેગરીમાં આવતી તમામ સંસ્થાઓને જૂના સમયગાળાના કરોડો રૂપિયાના જીએસટી દાવો અને દંડમાંથી મુક્તિ મળશે. જીએસટી વિભાગ દ્વારા 9 ટકા કે અન્ય દરે પછાડવામાં આવતી ટેક્સની માંગ સામે આ રક્ષણ આપશે. જીએસટી સત્તાવાળાઓ દ્વારા કલમ 74 હેઠળ આડેધડ કરાતી દંડકીય કાર્યવાહી અને સર્ચ પછી અપાતી નોટિસો સામે પર્યાવરણીય સંસ્થાઓને કાનૂની સુરક્ષા પણ મળથી થશે.

Read Previous

કાનોહર ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (Kanohar Electricals Ltd.) ના IPOમાં રોકાણ કરાય કે નહિ

Read Next

બ્રિટને ભારતની કાર્બન ક્રેડિટ સ્કીમને માન્યતા આપી, બેવડા ટેક્સમાંથી મળશે મુક્તિ

Most Popular