• 9 September, 2026 - 10:31 AM

બ્રિટને ભારતની કાર્બન ક્રેડિટ સ્કીમને માન્યતા આપી, બેવડા ટેક્સમાંથી મળશે મુક્તિ

બ્રિટને ભારતની કાર્બન ક્રેડિટ સ્કીમને માન્યતા આપી, બેવડા ટેક્સમાંથી મળશે મુક્તિ
 બ્રિટન સરકારના નિર્ણયને પરિણામે  સ્ટીલ ગ્રેડ પ્રોડક્ટ્સના ઉત્પાદકો, એલ્યુમિનિયમ અને ખાતરના ઉત્પાદકો તથાસિમેન્ટ ઉદ્યોગને ખાસ્સો ફાયદો થશે.
ભારતીય નિકાસકારો અને ઉત્પાદકો માટે એક અત્યંત રાહતજનક સમાચાર આવ્યા છે. યુનાઇટેડ કિંગડમ-બ્રિટને તેના ‘કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મેકેનિઝમ’ (CBAM) એટલે કે કાર્બન ટેક્સ વ્યવસ્થા હેઠળ ભારતની કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમને સત્તાવાર રીતે પાત્ર કાર્બન-પ્રાઇસિંગ મિકેનિઝમ તરીકે માન્યતા આપી દીધી છે. યુકે સરકારના આ નિર્ણયથી બ્રિટન ખાતે માલ નિકાસ કરતા ભારતીય વેપારીઓને કાર્બન ઉત્સર્જન પર બેવડો ચાર્જ ચૂકવવામાંથી મુક્તિ મળશે. સરળ શબ્દોમાં કહીએ તો, અત્યાર સુધી એવો ભય હતો કે ભારતીય ઉત્પાદકોએ ભારતમાં ઉત્પાદન દરમિયાન થતા કાર્બન ઉત્સર્જન માટે સ્થાનિક સ્તરે ટેક્સ/ક્રેડિટ ચૂકવવી પડશે અને જ્યારે તે જ સામાન બ્રિટનમાં વેચાશે ત્યારે ત્યાં પણ કાર્બન ટેક્સ ભરવો પડશે.
બ્રિટન સરકાર તરફથી ભારતની સ્કીમને માન્યતા મળતા હવે ભારતમાં ચૂકવવામાં આવેલી કાર્બન કિંમત સામે યુકેના કાર્બન ટેક્સમાં સરભર કરી શકાશે. બીજા શબ્દોમાં કહીએ તો બ્રિટનમાં તેના પર રાહત મળશે. પરિણામે, ભારતીય નિકાસકારો પર બેવડો આર્થિક બોજ આવશે નહીં.  બ્રિટનના આ નિર્ણયથી ખાસ કરીને વધુ કાર્બન ઉત્સર્જન કરતા અને ભારે ઉદ્યોગોને મોટો ફાયદો થશે. આ ઉદ્યોગોમાં સ્ટીલ ગ્રેડ પ્રોડક્ટ્સના, એલ્યુમિનિયમ, ખાતર, સિમેન્ટ ઉદ્યોગને ખાસ્સો ફાયદો થશે.
ક્યારથી લાગુ થશે અને મુક્તિ કેવી રીતે મળશે?
બ્રિટનની સરકાર જાન્યુઆરી 2027 થી તેનો CBAM ટેક્સ પૂર્ણપણે લાગુ કરવાનું ચાલુ કરી દેશે. નિકાસકારોને બ્રિટનમાં તેમના ઉત્પાદનોની નિકાસ કરનારાઓને કેટલી રાહત મળશે તેનો આધાર ભારતમાં તેમણે ખરેખર કેટલી કાર્બન કિંમત ચૂકવી છે તેના પર રહેશે. આ માટે બ્રિટનના નિયમો મુજબ જરૂરી પુરાવા અને વેરિફિકેશન પ્રક્રિયા પૂરી કરવાની રહેશે. દ્વિપક્ષીય ટેકનિકલ વાટાઘાટો અને સતત પ્રયાસો બાદ મળેલી આ સફળતાને કારણે બ્રિટનના બજારમાં ભારતીય પ્રોડક્ટ્સની કિંમતો સ્પર્ધાત્મક રહેશે અને ભારતીય નિકાસ પરનો નાણાકીય બોજ નોંધપાત્ર રીતે ઘટશે.
બ્રિટન દ્વારા ભારતની ‘કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમ’ અને તેના ‘કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મેકેનિઝમ’ હેઠળ માન્યતા આપવાથી ભારતીય ઉદ્યોગોને નાણાકીય, વેપારી અને સ્પર્ધાત્મક એમ ત્રણેય સ્તરે ખૂબ જ મોટો ફાયદો થશે. આ નિર્ણયથી ભારતીય ઉદ્યોગોને થનારા મુખ્ય ફાયદાઓ અને તેના પાછળના કારણોની વિગતવાર સમજણ નીચે મુજબ છે. 

બેવડા કરબોજમાંથી સંપૂર્ણ મુક્તિ

અત્યાર સુધી એવો ભય હતો કે ભારતીય ઉત્પાદકોએ ભારતમાં ઉત્પાદન દરમિયાન થતા ઉત્સર્જન માટે સ્થાનિક સ્તરે કાર્બન ક્રેડિટ ખરીદવી પડશે અને જ્યારે તે જ માલની બ્રિટનમાં નિકાસ થશે, ત્યારે બ્રિટનની સરકાર પણ તેના પર સી-બામ હેઠળ ફરીથી કાર્બન ટેક્સ વસૂલશે. બ્રિટન સરકારના આ નિર્ણયથી ભારતમાં ચૂકવવામાં આવેલી કાર્બન કિંમત સામે યુકેના કાર્બન ટેક્સમાં સરભર થશે. પરિણામે, નિકાસકારોએ એક જ ઉત્પાદન માટે બે વાર ટેક્સ ચૂકવવો નહીં પડે, જેનાથી કરોડો રૂપિયાની બચત થશે.

બ્રિટનના બજારમાં ભારતીય પ્રોડક્ટ્સની કિંમતો સ્પર્ધાત્મક રહેશે

જો ભારતીય માલ પર વધારાનો સી-બામ ટેક્સ લાગુ પડ્યો હોત તો બ્રિટનના બજારમાં ભારતીય સામાનની કિંમતો વધી જવાની સંભાવના હતી. આમ તેની બજારની સ્પર્ધાત્મકતા તૂટી જવાની શક્યતા વધારે હતી. હવે આ મોરચે રાહત થઈ છે.  ટેક્સમાં રાહત મળવાથી બ્રિટનના બજારમાં ભારતીય સ્ટીલ, સિમેન્ટ અને એન્જિનિયરિંગ સામાનની કિંમતો નીચી અને સ્પર્ધાત્મક રહેશે. આનાથી ચીન કે અન્ય દેશોના સામાન સામે ભારતીય પ્રોડક્ટ્સ સહેલાઈથી ટકી શકશે.

ભારતીય ઉદ્યોગોએ લાભ મેળવવા શું કરવું પડશે

બ્રિટનનો સી-બામનો કાયદો મુખ્યત્વે એવા ઉદ્યોગોને લક્ષ્ય બનાવે છે જેમાં ઉત્પાદન સમયે વધુ કાર્બન ઉત્સર્જન થાય છે. સ્ટીલ, એલ્યુમિનિયમ, અન્ય ધાતુઓ, ખાતર અને સિમેન્ટ સહિતના વધુ કાર્બન ઉત્સર્જન વધુ કરતાં એકમોને તેનો ખાસ્સો ફાયદો મળશે. 
 ટેક્સમાં રાહત મેળવવા માટે ભારતીય સંસ્થાઓએ ભારતના પોતાના કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમમાં નોંધણી કરાવીને કાર્બન ફુટપ્રિન્ટ ઘટાડવી પડશે. તેનાથી ભારતીય કંપનીઓ યુરોપિયન કે બ્રિટિશ સરકારને ટેક્સ આપવાના બદલે, તે નાણાં ભારતમાં જ સ્વચ્છ ઊર્જા એટલે કે સોલાર પાવર, પવન ઉર્જાથી વીજળી પેદા કરવા સહિતના સ્વચ્છ ઉર્જાના નિર્માણ પર ફોકસ કરશે. નવી પર્યાવરણપ્રેમી ટેકનોલોજી અપનાવવામાં રોકશે.

ભવિષ્યના અન્ય આંતરરાષ્ટ્રીય વેપાર કરારો માટે એક મોડેલ

બ્રિટન સિવાય યુરોપિયન યુનિયન (EU) પણ પોતાનો CBAM ટેક્સ લાગુ કરી રહ્યું છે.  બ્રિટન સરકાર તરફથી મળેલી માન્યતા અન્ય ગ્લોબલ પ્લેટફોર્મ્સ પર ભારતની પોઝિશન મજબૂત કરે છે. ભવિષ્યમાં યુરોપિયન યુનિયન અને અન્ય દેશો સાથેના વેપાર કરારોમાં પણ ભારત આ નિર્ણયનો ઉપયોગ ઉદાહરણ તરીકે આપીને પોતાના નિકાસકારો માટે રાહતો મેળવી શકશે. બ્રિટન જાન્યુઆરી 2027 થી આ ટેક્સ સંપૂર્ણપણે અમલી બનાવશે. તેથી ૨૦૨૭ થી ભારતના ભારતીય ભારે ઉદ્યોગો અને નિકાસકારો બ્રિટનના માર્કેટમાં કોઈપણ અન્યાયી કરબોજ વગર તેમનો વેપાર વિસ્તારવામાં સફળ રહેશે.

Read Previous

પર્યાવરણ સંરક્ષણનું કામ કરતી સંસ્થા ચોક્કસ શરતો હેઠળ જીએસટીમાંથી મુક્તિ મેળવવા પાત્ર: હાઈકોર્ટ

Read Next

શું નકલી કે ડુપ્લિકેટ દવાઓ સમયસર પાછી ખેંચાય છે? અધિકારીઓની મિલીભગતથી પ્રજા પર જોખમ

Most Popular