અમેરિકાનો ‘ફોર્સ્ડ-લેબર’ ટેરિફ પ્લાન ભારતની ટેક્સટાઈલ, દવાઓની નિકાસ પર અવળી અસર કરશે
- ભારત-ગુજરાતના કાપડ અને કપડાંના ઉદ્યોગ માટે એક ખાસ ‘ક્વોટા મિકેનિઝમ’ લાગુ કરવાના પ્રસ્તાવ હેઠળ ટેરિફના બોજને ઘટાડી શકાશે
- નવી જોગવાઈ અંગે આગામી છ જુલાઈ સુધી પ્રતિભાવ આપી શકાશે. સ્ટેક હોલ્ડર પોતાના અભિપ્રાયો મોકલી શકશે
વૈશ્વિક સ્તરે ‘ફોર્સ્ડ લેબર’ (જબરદસ્તીના મજૂરીકામ) સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેલા દેશો સામે અમેરિકા નવી ટેરિફ (આયાત જકાત) લાદશે. અમેરિકા 60 દેશો પર 12.5 ટકા સુધીની વધારાની આયાત જકાત લાદવાની તૈયારી કરી રહ્યું છે, કારણ કે આ દેશો જબરદસ્તીના મજૂરીકામથી બનેલી વસ્તુઓની આયાત રોકવામાં નિષ્ફળ રહ્યા છે.
જે દેશો પર આ સંદર્ભમાં આંશિક પ્રતિબંધો લાદવામાં આવેલા છે અથવા જે દેશોએ સહકાર આપવાનું વચન આપ્યું છે તેમના પર આ ક્ષતિ માટે દસ ટકા દંડ લાદવામાં આવશે. બીજીતરફ જે દેશો પાસે ફોર્સ્ડ લેબરની આયાત રોકવા માટે કોઈ કાયદો કે પ્રતિબંધ નથી તેમની પાસેથી 12.5 ટકા વસૂલવામાં આવશે.
ટેક્સટાઈલ સેક્ટર પર અસર પડશે
અમેરિકાની આ જોગવાઈની ભારત પર ખાસ્સી અસર પડશે. અમેરિકા દ્વારા પ્રસ્તાવિત ‘ફોર્સ્ડ-લેબર’ (જબરદસ્તીના મજૂરીકામ) ટેરિફ પ્લાન ભારતીય નિકાસ માટે ગંભીર પડકાર બની શકે છે. ટેક્સટાઈલ અને એપેરલ (તૈયાર કપડાં) માટે એક અલગ ‘વોલ્યુમ-આધારિત’ મિકેનિઝમ પ્રસ્તાવિત કર્યું છે. પરિણામે તેમને માટે ક્વોટા મિકેનિઝમ અમલમાં આવશે. તમામ કાપડ ઉત્પાદનો પર એકસાથે ભારે ટેરિફ લાદવાને બદલે અમેરિકાની સરકાર એક મર્યાદિત જથ્થો નક્કી કરી શકે છે. આ જથ્થો અમેરિકાના બજારમાં ઓછી જકાત સાથે અમેરિકામાં પ્રવેશ કરી શકે છે. તદુપરાંત સપ્લાય ચેઈનને લાગનારા આંચકાની અસર ઓછી કરવાનું પણ આયોજન કરવામાં આવશે. અમેરિકા જાણે છે કે તેના ટેક્સટાઈલ બજારનો મોટો હિસ્સો ભારત જેવા દેશો પર નિર્ભર છે. જો એકાએક 12.5 ટકા ટેરિફ લાગુ કરી દે તો અમેરિકામાં પણ કપડાંના ભાવ વધી જાય અને સપ્લાય ચેઈન ખોરવાઈ જાય. તેથી, આ મિકેનિઝમ દ્વારા ટેરિફનો આઘાત હળવો કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જોકે આ ‘ક્વોટા’ કેટલો હશે અને તેના નિયમો શું હશે, તે ભારતીય ઉત્પાદકો માટે નિર્ણાયક રહેશે. જો ક્વોટા ઓછો હોય, તો ઉત્પાદકોએ ક્વોટા બહારના માલ માટે 12.5 ટકા વધુ જકાત ચૂકવવી પડશે.
જેમ્સ એન્ડ જ્વેલરી
ભારતની અમેરિકામાં થતી નિકાસમાં ફોર્સ્ડ લેબરનો મુદ્દો માત્ર ટેક્સટાઈલ પૂરતો મર્યાદિત નથી. રત્ન અને આભૂષણો-જેમ્સ એન્ડ જ્વેલરીના ઉદ્યોગ પર પણ તેની અસર પડી શકે છે. : હીરા અને ઘરેણાંના પ્રોસેસિંગમાં મજૂરીના ધોરણો અંગે અમેરિકા કડક તપાસ કરી શકે છે.
ખેતી અને પ્રોસેસ્ડ ફૂડ પર પણ તેની અસર પડી શકે છે. તેમાંય ખાસ કરીને મસાલા, ચોખા, અને દરિયાઈ ખોરાકના પ્રોસેસિંગ યુનિટ્સમાં મજૂર કાયદાઓના પાલન અંગે અમેરિકા સવાલ ઉઠાવી શકે છે. તે જ રીતે ચામડાંની બનાવટોના ઉદ્યોગ પર પણ તેની અસર પડી શકે છે. ફૂટવેર અને ચામડાના સામાનના ઉત્પાદનમાં પણ મજૂરીની સ્થિતિની તપાસ થઈ શકે છે.
દવાના ઉત્પાદકો પર પણ અસર પડશે
દવા બનાવતી ફાર્માસ્યુટિકલ કંપનીઓએ દવાઓના પેકેજિંગ કે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ્સ (API) બનાવતી ફેક્ટરીઓમાં મજૂર ધોરણોનું પાલન થવું અનિવાર્ય બનશે. તેની ભારતીય ઉત્પાદનોની સ્પર્ધાત્મકતા પર અસર પડશે. આ ટેરિફ પ્લાન ભારતીય ઉત્પાદનોની સ્પર્ધાત્મકતાને નકારાત્મક રીતે પ્રભાવિત કરી શકે છે.
પરિણામે તેમની બજાર કિંમતમાં વધારો થશે. જો ભારત 12.5 ટકા વધારાની જકાત હેઠળ આવે તો ભારતીય માલ અમેરિકન બજારમાં 12.5 ટકા મોંઘો થઈ જશે. પરિણામે, વિયેતનામ, બાંગ્લાદેશ કે મેક્સિકો જેવા દેશોના માલની સામે ભારતીય પ્રોડક્ટ્સ મોંઘી સાબિત થશે. ઓપરેશનલ ખર્ચ પણ વધી જશે. હવે નિકાસકારોએ સાબિત કરવું પડશે કે તેમનો માલ ‘ફોર્સ્ડ લેબર’ મુક્ત છે. આ માટે ઓડિટ, ડોક્યુમેન્ટેશન અને પ્રમાણપત્રો મેળવવાનો ખર્ચ વધશે, જે નાની અને મધ્યમ કંપનીઓ-એમએસએમઈને ભારે પડી શકે છે. તેઓ બજાર ગુમાવની શકે છે. ઘણી આંતરરાષ્ટ્રીય કંપનીઓ તેમના સપ્લાય ચેઈનમાં જોખમ ટાળવા માટે ભારતને બદલે અન્ય દેશોને પસંદ કરી શકે છે, જે ‘મેક ઇન ઇન્ડિયા’ માટે મોટો ઝટકો હોઈ શકે છે.
સમગ્રતયા વાત કરીએ તો ભારતે તાત્કાલિક ધોરણે મજૂર કાયદાઓના પાલન માટે મજબૂત ‘ટ્રેસેબિલિટી’ સિસ્ટમ વિકસાવવી પડશે. જો આપણે એ સાબિત કરી શકીએ કે ભારતીય ઉત્પાદનો નૈતિક માર્ગે બન્યા છે, તો જ આપણે આ 12.5 ટકાના ટેરિફના બોજથી બચી શકીશું.
અમેરિકાએ ભારતનો સમાવેશ જે 54 દેશોમાં કર્યો છે તેમના પર 12.5 ટકાની વધારાની જકાત લાગવાની શક્યતા છે. કારણ કે ભારત પાસે આ અંગે અત્યારે કોઈ સ્પષ્ટ પ્રતિબંધ કે પછી તેને માટે જરૂરી માળખું જ નથી. ભારત અને ગુજરાતના ટેક્સટાઈલ સેક્ટર પર પણ તેની અસર પડશે.
શા માટે આ પગલું લેવાઈ રહ્યું છે?
અમેરિકાનું કહેવું છે કે જબરદસ્તીના મજૂરીકામથી બનેલી સસ્તી વસ્તુઓ અમેરિકન બજારમાં આવવાથી અમેરિકન કામદારો અને નૈતિક રીતે કામ કરતી કંપનીઓને અન્યાય થાય છે અને સ્પર્ધાત્મક બજારમાં અસંતુલન પેદા થાય છે. USTR દ્વારા જુલાઈ 2026 માં આ અંગે સત્તાવાર સુનાવણી કરવામાં આવશે.
આ અંગે લેખિત કોમેન્ટ્સ સબમિટ કરવાની છેલ્લી તારીખ 6 જુલાઈ, 2026 છે. આ અહેવાલ એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકા અને ભારત વચ્ચે વેપાર સંબંધિત મહત્વની વાતચીત ચાલી રહી છે. ભારત સરકાર એકપક્ષીય ટેરિફને બદલે વાટાઘાટો દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવા આગ્રહ કરી રહી છે.




