UPI પેમેન્ટ સિસ્ટમના ચાર્જ લાગુ થશે તો ગ્રાહકોને માથે ભાવ વધારાનો બોજ આવી શકે
‘પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ’માં સૂચિત સુધારાને કારણે UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગવાની અટકળો વહેતી થઈ છે, જોકે નિષ્ણાતોનું કહેવું છે કે UPI માટે ‘ઝીરો-MDR’ (કોઈપણ ચાર્જ વિનાની) સિસ્ટમ હાલ પૂરતી યથાવત રહેશે.નાણા મંત્રાલય દ્વારા લોકસભામાં ‘ટેક્સેશન એન્ડ અધર લોઝ (એમેન્ડમેન્ટ) બિલ, 2026’ રજૂ કરવામાં આવ્યું છે, જેનો એક હેતુ ‘પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007’માં સુધારો કરવાનો છે. આ પગલાને કારણે એવી અટકળો ચાલુ થઈ છે કે સરકાર અત્યાર સુધી મફત રહેલી UPI સેવા પર MDR ચાર્જ દાખલ કરવા માંગે છે.
મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) એટલે શું?
MDR એ બેંકો અને પેમેન્ટ પ્રોસેસિંગ કંપનીઓ (જેમ કે Visa અને Mastercard) દ્વારા ગ્રાહકોના ક્રેડિટ કે ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન બદલ વેપારીઓ પાસેથી વસૂલવામાં આવતી ફી છે. ડેબિટ કાર્ડ માટે આ ફી 0.25 ટકાથી 1 ટકા અને ક્રેડિટ કાર્ડ માટે 1 ટકાથી 3 ટકા સુધીની હોય છે. MDR દ્વારા બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ચલાવવા અને તેનું માળખું જાળવી રાખવાનો ખર્ચ મળે છે.
નવા બિલથી MDR નિયમોમાં શું બદલાવ આવી શકે?
ટેક્સેશન એન્ડ અધર લોઝ એમેન્ડમેન્ટ બિલ દ્વારા સરકાર ‘પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007’ ની કલમ 10A માં સુધારો કરવા માંગે છે. આ કલમ બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સને ઇલેક્ટ્રોનિક પેમેન્ટ મોડ્સ પર ગ્રાહકો કે વેપારીઓ પાસેથી ચાર્જ લેતા રોકે છે. હાલમાં રૂપે ડેબિટ કાર્ડ, UPI અને QR કોડ આધારિત UPI ને આ ટેક્સ મુક્તિ મળેલી છે.
હવે જ્યારે નવો ઈન્કમ-ટેક્સ એક્ટ, 2025 અમલમાં આવી ગયો છે, ત્યારે સરકાર જૂના કાયદાના સંદર્ભો હટાવીને ભવિષ્યમાં નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવનારા નોટિફિકેશન દ્વારા ચાર્જમુક્ત પેમેન્ટ મોડ્સ જાહેર કરશે. ભવિષ્યમાં કયા પેમેન્ટ મોડ પર MDR નહીં લાગે તે જાણવા માટે ઇન્કમ ટેક્સ એક્ટના બદલે નાણા મંત્રાલયના નોટિફિકેશનને જોવું પડશે.
હાલમાં UPI ચલાવવાનો ખર્ચ કોણ ભોગવે છે?
હાલમાં આ ખર્ચ મુખ્યત્વે બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સ ભોગવે છે. જોકે, નાના વેપારીઓ સાથે થતા રૂ. 2,000 થી ઓછા ના ટ્રાન્ઝેક્શન (P2M) માટે સરકાર તેમને પ્રોત્સાહન આપે છે. FY27 ના બજેટમાં આ યોજના માટે રૂ. 2,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત, યુપીઆઈનું સંચાલન કરતી સંસ્થા NPCI એ પણ FY25 માં મોટો ખર્ચ કર્યો હતો.
શું બિલ પાસ થયા પછી UPI પર ચાર્જ લાગશે?
આ અંગે હજુ સંપૂર્ણ સ્પષ્ટતા નથી, જેથી વિવિધ અટકળો થઈ રહી છે. સરકારના આ પગલાને બે રીતે જોઈ શકાય છે:
-
નવો ઈન્કમ-ટેક્સ એક્ટ, 2025 અમલમાં આવ્યો હોવાથી આ માત્ર કાયદાકીય શબ્દો અને સંદર્ભો બદલવાની સામાન્ય પ્રક્રિયા હોઈ શકે છે.
-
પેમેન્ટ ક્ષેત્રની કંપનીઓ અને સંસદીય સમિતિએ માંગ કરી હતી કે અત્યારની મફત સિસ્ટમ લાંબા ગાળે ચલાવવી મુશ્કેલ છે અને UPI પર MDR ચાલુ કરવો જોઈએ. તેથી સરકાર ભવિષ્યમાં નોટિફિકેશન દ્વારા MDR વસૂલવાની છૂટ આપી શકે છે.
જોકે, મોટાભાગના કાનૂની નિષ્ણાતો પ્રથમ દ્રષ્ટિકોણ સાથે સહમત છે. નિષ્ણાતો મુજબ, આ માત્ર નવા ઈન્કમ ટેક્સ એક્ટ સાથે સુસંગતતા જાળવવા માટેનો ફેરફાર છે. આ સુધારાથી UPI પર સીધો કોઈ ચાર્જ લાગતો નથી. UPI પર MDR લાગુ કરવા માટે કેન્દ્ર સરકારે અલગથી નવું નોટિફિકેશન બહાર પાડવું પડશે.
શું ગ્રાહકો માટે UPI નો ઉપયોગ કરવો મોંઘો પડશે?
સામાન્ય ગ્રાહકો (તરીકે) ચાર્જ ચૂકવવો પડશે નહીં તેવી પૂરી શક્યતા છે. કાર્ડ પેમેન્ટ સિસ્ટમમાં પણ MDR નો બોજ વેપારીઓ પર જ હોય છે, ગ્રાહકો પર નહીં. સરકાર નાના વેપારીઓને પણ આ ચાર્જમાંથી મુક્ત રાખી શકે છે. જોકે, એવી શક્યતા ખરી કે વેપારીઓ પોતે ચૂકવવા પડતા MDR ચાર્જની ભરપાઈ કરવા માટે વસ્તુઓ કે સેવાઓના ભાવમાં થોડો વધારો કરે, જેનાથી આડકતરી રીતે તેનો બોજ ગ્રાહકો પર આવી શકે છે.
