• 14 May, 2026 - 11:42 AM

ભારતે ૩૦ સપ્ટેમ્બર સુધી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો

  • દેશમાં ખાંડનો પુરવઠો જાળવી રાખવા નિર્ણય લેવામાં આવ્યોઃ ખાંડની અછત ન સર્જાય તે માટે આગોતરા પગલાં લીધા
  • વૈશ્વિક સ્તરે બ્રાઝિલ અને ભારતમાં ઉત્પાદન ઘટવાની શક્યતાને કારણે ખાંડના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા ૧૩ મેના રોજ જારી કરાયેલા આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જો મુદત વધારવામાં ન આવે તો આ પ્રતિબંધ ૩૦ સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે. કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી ખાંડની નિકાસ પર રોક લગાવી દીધી છે.

વૈશ્વિક બજારમાં ખાંડના ભાવ વધી રહ્યા હોવાથી ભારતીય ખાંડની નિકાસ આકર્ષક બની હતી, જેને રોકીને સરકાર સ્થાનિક બજારમાં ભાવ નિયંત્રિત કરવા માંગે છે. વર્ષ ૨૦૨૫-૨૬ની સીઝન માટે સરકારે ૧.૫૯ મિલિયન ટન નિકાસની મંજૂરી આપી હતી, જેમાંથી માર્ચ અંત સુધીમાં ૦.૫૩ મિલિયન ટન ખાંડ વિદેશ મોકલવામાં આવી હતી.  ઉદ્યોગના સૂત્રો મુજબ, અત્યાર સુધીમાં અંદાજે ૦.૭૫ મિલિયન ટન ખાંડની નિકાસ થઈ ચૂકી છે. આ પ્રતિબંધથી સરકાર લગભગ ૦.૨ મિલિયન ટન ખાંડ બચાવી શકશે.

જોકે, આ પ્રતિબંધમાં યુએસએ અને યુરોપિયન યુનિયનને અપાતા ક્વોટા, તેમ જ એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ થતી નિકાસને મુક્તિ આપવામાં આવી છે. જે શિપમેન્ટ ૧૩ મે પહેલા લોડ થઈ ચૂક્યા છે અથવા પોર્ટ પર આવી ગયા છે તેમને મંજૂરી મળશે. આ ઉપરાંત, અન્ય દેશોની રાજદ્વારી વિનંતીઓ પર પણ નિકાસને પરવાનગી મળી શકે છે.

વૈશ્વિક સ્તરે બ્રાઝિલ અને ભારતમાં ઉત્પાદન ઘટવાની શક્યતાને કારણે ખાંડના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ૨૦૨૫-૨૬ની સીઝનમાં ભારતનું ખાંડનું કુલ ઉત્પાદન ૨૮ મિલિયન ટન રહેવાનો અંદાજ છે, જે દેશના વાર્ષિક વપરાશ જેટલું જ છે.

 

 

Read Previous

શું સોના-ચાંદી પરની કસ્ટમ્સ ડ્યુટીમાં વધારો ભારતનું ઈમ્પોર્ટ બિલ ઘટાડશે?

Most Popular