વાહનો-ઉદ્યોગોમાં વપરાતા સીએનજી અને રસોડામાં વપરાતા પીએનજીના ભાવમાં વધારો

ઉદ્યોગોને આપવામાં આવતા સીએનજીના ભાવમાં વધારો કર્યો અને વપરાશની ક્વોન્ટિટીમાં ઘટાડો કરી દેવામાં આવ્યો
ગુજરાતવાસીઓના ઘરના રસોડામાં વપરાતા પીએનજીના ભાવમાં સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીઠ રૂ. 2નો વધારો કરી દેવામાં આવ્યો
અમદાવાદઃ અમેરિકા અને ઇઝરાયલે મળીને ઈરાન પર કરેલા આક્રમણને પરિણામે ક્રૂડનો સપ્લાય ખોરવાઈ જવાની ઘટનાને પરિણામે આજે ગુજરાતની તમામ સીએનજી કંપનીઓએ કોમ્પ્રેસ્ડ નેચરલગેસના કિલોદીઠ ભાવમાં રૂ. ૧.૫૦નો ત્રીજી એપ્રિલ 2026થી વધારો કરી દીધો છે. પરિણામે વાહન ચલાવનારાઓને સીએનજી મોંઘો પડશે. ગુજરાતમાં 20 લાખની આસપાસ પેસેન્જર વેહિકલ અને ઓટો રિક્ષાઓ સીએનજીનો ઉપયોગ કરે છે.
આ સાથે જ બીજી એપ્રિલ 2026થી ગુજરાતના ઘણાં રસોડોમાં રાંધણગેસ તરીકે વપરાતા પીએનજી-પાઈપ્ડ નેચરલ ગેસના ભાવમાં સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીઠ રૂ. 2નો વધારો કરી દેવામાં આવ્યો છે. પીએનજી અને સીએનજીનો ભાવ તમામ સપ્લાયર કંપનીઓએ કર્યો હોવાથી સમગ્ર ગુજરાતના વિસ્તારોમાં તેની અસર જોવા મળી છે.
ઓટો રિક્ષા અને મોટરમાં વપરાતા સીએનજીનો કિલોદીઠ ભાવ રૂ. 82.27થી રૂ. ૧.૫૦ વધારીને રૂ. ૮૩.૭૭ કરી દેવામાં આવ્યો છે. ત્રીજી એપ્રિલથી આ વધારો અમલમાં મૂકવામાં આવ્યો છે. છેલ્લા બે માસમાં સીએનજીના ભાવમાં બીજીવાર વધારો કરવામાં આવ્યો છે. વડોદરાના સીએનજી વપરાશકારો માટે કિલોદીઠ ભાવ રૂ. ૮૨.૧૦ અને નવસારીમાં કિલોદીઠ ભાવ રૂ. ૮૪.૪૫નો થશે. ઇરાનના યુદ્ધને કારણે ક્રૂડનો સપ્લાય ખોરવાઈ જતાં સીએનજીના ભાવ વધાારવાની ફરજ પડી છે. જોકે વાસ્તવમાં આવેલા ભાવ વધારામાંથી માત્ર ૩૩ ટકા વધારો જ ગ્રાહકોને માથે નાખવામાં આવ્યો હોવાનું સપ્લાયર કંપનીઓના સૂત્રોનું કહેવું છે.
ગુજરાતના ઉદ્યોગોને આપવામાં આવતા સીએનજીના સપ્લાયના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પહેલી એપ્રિલથી કરવામાં આવેલા વધારા મુજબ એમજીઓ પ્લાનમાં પહેલી એપ્રિલ પહેલા એમએમબીટીયુના રૂ. ૧૪૮૨.૬૦ લેવાતા હતા તે પહેલી એપ્રિલ ૨૦૨૬થી વધારીને એમએમબીટીયુંના રૂ. ૧૫૯૪.૬૦ કરી દેવામાં આવ્યા છે. તેમ નોન એમજીઓ પ્લાનમાં એમએમબીટીયુ દીઠ રૂ. ૧૫૩૮.૬૦ના ભાવ હતા તે પહેલી એપ્રિલ ૨૦૨૬થી વધારીને એમએમબીટીયુ દીઠ રૂ. ૧૬૫૦.૬૦ કરી દેવામાં આવ્યા છે. ઉદ્યોગ દ્વારા તેમને મળવાપાત્ર સપ્લાયથી વધારાનો સીએનજી વાપરે તો તેમની પાસેથી એમએમબીટીયું દીઠ રૂ. ૨૩૫૦.૬૦ વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે. પહેલી એપ્રિલ ૨૦૨૬ પહેલા આ જ ગેસ એમએમબીટીયુ દીઠ તેમને રૂ. ૨૩૨૨.૬૦ના ભાવે મળતો હતો.
જોકે ઉદ્યોગોનું કહેવું છે કે તેમણે બુક કરાવેલા ગેસ વપરાશના જથ્થાના આશરે ૩૩ ટકા જેટલો જ સપ્લાય તેમને મળી રહ્યો છે. અત્યાર સુધી ઉદ્યોગ દ્વારા છેલ્લા છ મહિના દરમિયાન ઉપયોગમાં લેવામાં આવેલા સીએનજીના જથ્થાના ૬૫ ટકા જેટલો સપ્લાય આપતા હતા. હવે તે ઘટાડીને ૫૫ ટકા કરી દીધો છે. સમગ્રતયા બુકિંગ ક્વોન્ટિટીના ૩૩ ટકાની આસપાસ જ ગેસનો સપ્લાય મળીરહ્યો છે.



