ભારતમાં નબળા ચોમાસાની આગાહીને કારણે ગુજરાતની ખેતઉપજ પર કેવી અસર પડશે

અલનિનોની સાથે ઇન્ડિયન ઓસન ડાયાપોલ પોઝિટિવ રહે તો વરસાદ સારો પડી શકે છે. અત્યારે ઇન્ડિયન ઓસન ડાયાપોલ તટસ્થ હોવાથી વરસાદ મ્યાંમાર ને થાઈલેન્ડ તરફ ખેંચાઈ જવાની સંભાવના
અલનિનોની અસર હેઠળ દક્ષિણ પશ્ચિમના વાયરાની દિશા નોર્મલ કરતાં વિપરીત થઈ જાય છે અને હિન્દ મહાસાગર પર જોઈએ તેવું દબાણ ન સર્જાતુ હોવાથી વરસાદ ખેંચાઈ જાય અથવા તો ઓછો પડે છે
કપાસ, મગફળી અને જીરુંના ભાવમાં જબરદસ્ત તેજી જોવા મળી શકે છે. સિંગતેલના ભાવમાં નવા ઊંચા મથાળા જોવા મળી શકે
આ વરસે ભારતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. આ જાહેરાત ખેતી અને અર્થતંત્ર માટે જોખમી સાબિત થઈ શકે છે. જૂનથી સપ્ટેમ્બર 2026ની વરસાદની સીઝનમાં કુલ નોર્મલ વરસાદ કરતાં આઠ ટકા ઓછો વરસાદ પડવાની આગાહી ભારતીય હવામાન ખાતાએ કરી છે.
આમ તો ભારતમાં દક્ષિણ-પશ્ચિમના વાયરા સાથે આવતા ચોમાસામાં સમગ્ર ભારત દેશમાં પડતા કુલ 116 સે.મી. વરસાદમાં 75 ટકાનો ફાળો આપે છે. હવામાનને લગતા ખાતાના સચિવ એમ. રવિચંદ્રને જણાવ્યું હતું કે તે વરસાદ જથ્થાની દ્રષ્ટિએ 87 સે.મીની લાંબા ગાળાની સરેરાશના 92 ટકા જેટલો જ પડવાની સંભાવના છે.
અલ નિનોની શક્યતા ચોમાસા પર વધુ પ્રભાવ પાડે તેવી સંભાવના છે. અલનિનોની અસર હેઠળ ચોમાસું નબળું પડે છે. તેમાં હિન્દ મહાસાગર તરફ આવતા દક્ષિણ-પશ્ચિમના વાયરાની દિશા નોર્મલ કરતાં ઊંધી થઈ જાય છે. તેથી હિન્દ મહાસાગરમાં પડવાનો વરસાદ મ્યાંમાર અને થાઈલેન્ડ તરફ ખેંચાઈ જાય છે. પરંતુ કેટલીકવાર અલ નિનો સાથે ઇન્ડિયન ઓસન ડાયપોલ-પોઝિટિવ રહે તો અલનિનો હોવા છતાંય વરસાદ સારો પડે છે. જોકે આ વરસે ઇન્ડિયન ઓસન ડાયપોલની અસર જોવાની બાકી છે. પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ ઇન્ડિયાન ઓસન ડાયપોલ અત્યારે ન્યુટ્રલ કે પોઝિટિવ હોવાનું જણાય છે.
બીજીતરફ ઈરાન યુદ્ધના કારણે ખેતીના ઇનપુટ ખર્ચ વધતા હોય ત્યારે આ ઓછી વરસાદની આગાહી કૃષિ ક્ષેત્ર માટે ચિંતાજનક છે. ભારતીય હવામાન ખાતાના નિષ્ણાતોની આગાહી સ્કાયમેટ વેધરના હવામાન શાસ્ત્રીઓની 94 ટકા વરસાદ પડવાની આગાહી કરતાં બે ટકા વરસાદ ઓર ઓછો પડવાની છે. ભારતીય હવામાન ખાતાની આગાહી સાચી પડે તો 2018ની સાલ પછી 2026માં ભારતમાં સૌથી ઓછો વરસાદ પડે તેવી સંભાવના જણાઈ રહી છે. 2018ની સાલમાં 91 ટકા વરસાદ પડ્યો હતો.
જોકે ભારતમાં સિંચાઈ હેઠળની જમીનનો વિસ્તાર વધી રહ્યો હોવાથી ભારતની કુલ ખેતીને પાત્ર જમીનમાંથી 55 ટકા ખેતીની જમીનના વિસ્તારમાં સિંચાઈના પાણી ઉપલબ્ધ છે. તેથી ઓછા વરસાદની સ્થિતિનો પ્રતિકાર કરવાની ભારતની ક્ષમતા વધી છે. 2018-19માં 9 ટકા ઓછા વરસાદ છતાં ખરીફ મોસમમાં અનાજ ઉત્પાદન 140.47 મિલિયન ટનથી વધીને 141.52 મિલિયન ટન થયું હતું. જોકે રવી મોસમનું ઉત્પાદન થોડું વધારે ઘટીને 144.55 મિલિયન ટનથી 143.69 મિલિયન ટન થયું હતું.
મજબૂત ઉત્પાદનને કારણે ખાદ્ય મોંઘવારી પર અસર પડી નહોતી અને 2018-19માં તે ઘટીને 0.1 ટકા થઈ ગઈ હતી. અલબત્ત 2023માં પણ El Niño નો અનુભવ થયો હતો. 2024માં 94 ટકા વરસાદ પડ્યો હોવા છતાં દાળ અને તેલબિયાં જેવી મુખ્ય પાકોની ઉપજ ઘટી હતી. તેમ જ ભારતના લગભગ તૃતીયાંશ ભાગમાં દુષ્કાળ પડ્યો હતો. પરિણામે ખાદ્ય સામગ્રી મોંઘી થઈ જતાં આમજનતાને માટે મોંઘવારી ખાસ્સી વધી ગઈ હતી. તેથી સરકારે ચોખાના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો અને દાળની ડ્યૂટી-ફ્રી આયાત મંજૂરી આપી હતી.
કૃષિ ક્ષેત્રને માટે નવી નવી ટેક્નોલોજી પૂરી પાડતી કંપનીના નિષ્ણાતોનું કહેવું છે કે ઓછા વરસાદની આગાહી પાક લેવાના આયોજના માટે વધુ મહત્વપૂર્ણ બની જાય છે. ધાન, કપાસ, દાળ અને તેલબિયાં જેવા પાક માટે વરસાદનું વિતરણ અને સમય ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે.
સુપર એલ નીનો
IMD ના ડિરેક્ટર જનરલ એમ. મોહાપાત્રાએ જણાવ્યું કે મોટાભાગના હવામાન મોડેલ દર્શાવે છે કે જૂન પછી અલ નિનો વિકસી શકે છે. આ અલ નિનો ખાસ કરીને ઓગસ્ટ-સપ્ટેમ્બર દરમિયાન ચોમાસાને નબળું પાડી દે છે. વરસાદ સારો લાવવા માટે જવાબદાર ગણાતી લા નિનાની સ્થિતિ અત્યારે તટસ્થ થવાની તરફ પરિવર્તિત થઈ રહી છે. જોકે વિશ્વસ્તરની કેટલીક એજન્સીઓએ આ વર્ષે “સુપર એલ નીનો”ની આગાહી કરી છે. ઇતિહાસમાં 1532, 1578, 1789-93, 1876-78, 1982-83, 1997-98 અને 2014-16 દરમિયાન આવી ઘટનાઓ સર્જાઈ હતી.
1951 પછીના 16 અલ નીનો વર્ષોમાંથી 9 વખત ચોમાસું સામાન્ય કરતાં નબળું રહ્યું છે, જ્યારે 7 વખત સામાન્ય અથવા વધારે વરસાદ પડ્યો હતો. અલ નિનોની અસર હેઠળ સૌથી ઓછો વરસાદ 1972માં પડ્યો હતો. 1972માં માત્ર 78 ટકા વરસાદ પડ્યો હતો.
ચોમાસુ ભારતના અર્થતંત્રના વિકાસ માટે મહત્વનું
દક્ષિણ-પશ્ચિમ માન્સૂન ભારતની આર્થિક વૃદ્ધિ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. સારો ખરીફ પાક ગ્રામિણ અર્થતંત્રને મજબૂત બનાવે છે અને ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, ટ્રેક્ટર, ઓટોમોબાઈલ, જ્વેલરી અને ઈલેક્ટ્રોનિક્સ જેવી વસ્તુઓની ડિમાન્ડમાં વધારો કરે છે. આ વર્ષે ઓછા વરસાદની આગાહી એવા સમયે આવી છે કે જ્યારે ઈરાન યુદ્ધના કારણે ખાતર, કૃષિ ઇનપુટ અને ઈંધણના ખર્ચમાં વધારો થયો છે.
જોકે વરસાદની વધઘટ માટે જવાબદાર ગણાતા ઈન્ડિયન ઓસન ડાયાપોલની વર્તમાન સ્થિતિ તટસ્થ છે. પરંતુ સીઝનના અંતે સકારાત્મક બની શકે છે, આઈઓડી પોઝિટીવ બને તો ચોમાસા માટે અનુકૂળ ગણાય છે.
હવામાન ખાતું 96થી 104 ટકા વરસાદના સામાન્ય વરસાદ ગણે છે.90થી 95 ટકા વરસાદને સામાન્ય કરતાં ઓછો વરસાદ ગણે છે. 105થી 110 ટકા વરસાદને સામાન્ય કરતાં વધુ વરસાદ ગણે છે. તેમ જ 110 ટકાથી વધુ વરસાદને અતિવૃષ્ટિ ગણે છે. 90 ટકાથી ઓછા વરસાદ પડે તો તેને દુષ્કાળની સ્થિતિ ગણવામાં આવે છે. આ વખતે આપણે 92 ટકા વરસાદની સંભાવના સાથે દુષ્કાળની સ્થિતિની નજીક આવી જઈએ તેવી સંભાવના છે.
સ્કાયમેટનના હવામાન શાસ્ત્રીઓની આગાહી મુજબ ભારતમાં જૂનમાં 101 ટકા, જુલાઈમાં 95 ટકા, ઓગસ્ટમાં 92 ટકા અને સપ્ટેમ્બરમાં 89 ટકા વરસાદ રહેવાની સંભાવના છે. દક્ષિણ ભારતમાં સામાન્ય, પૂર્વ અને ઉત્તર-પૂર્વમાં વધુ પરંતુ મધ્ય અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં ઓછો વરસાદ રહેવાની શક્યતા છે. મુંબઈ શહેર અને ગુજરાત-રાજસ્થાન પશ્ચિમ ભારતમાં આવે છે. તેથી દુષ્કાળની અસર આ વિસ્તારોમાં વધુ થવાની સંભાવના રહેલી છે. 2025ના વર્ષમાં ચોમાસું સામાન્ય કરતાં વધુ સારુ રહ્યું હતું. આમ 2025ના વર્ષમાં દેશમાં 108 ટકા વરસાદ પડ્યો હતો. 2025માં ભારતીય હવામાન કચેરીએ પહેલા 105 ટકા અને ત્યારબાદ 106 ટકા વરસાદ પડવાની આગાહી કરી હતી.
ગુજરાતમાં કયા પાક પર અસર પડી શકે
ગુજરાતમાં ઓછા વરસાદની અસર કપાસની ખેતી પર પડી શકે છે. કપાસની વાવણીમાં વિલંબ થવાની શક્યતા રહેલી છે. કપાસના બીજનું અંકુરણ ઓછું થઈ શકે છે. તેમાં બોલડ્રોપની તકલીફ વધી શકે છે. તદુપરાંત પિંક બૉલવર્મનો પ્રકોપ વધી શકે છે. એક એકરે સામાન્ય રીતે 800થી 1000 કિલો કપાસના ઉતારા આવે છે. ઓછા વરસાદને કારણે ઉતારા પણ ઘટીને એકરદીઠ 500થી 700 કિલોના તળિયે આવી શકે છે. આમ કપાસનું ઉત્પાદન ઘટતા કપાસના ભાવ ઊંચકાઈ જવાની સંભાવના રહેલી છે. તેની ટેક્સટાઈલના વીવિંગ અને નિટિંગ ઉદ્યોગ પર તથા રેડીમેડ ગારમેન્ટના ઉદ્યોગ પર અસર પડી શકે છે. ઓછા વરસાદની સમસ્યાને કારણે આ વરસે કપાસની ખેતી થોડી જોખમી બની રહેવાની સંભાવના રહેલી છે.
ગુજરાતમાં મગફળી અને સિંગતેલનું ઉત્પાદન ઘટતા ભાવ શકે
ગુજરાતના મુખ્ય પાકમાંનો એક મગફળીનો પાક છે. તેમાંય ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે મગફળીની ખેતી અત્યંત મહત્વપૂર્ણ છે. મગફળીની વાવણી કરતી વખતે જમીનમાં ભેજ ઓછો જોવા મળી શકે છે. બીજું મગફળીમાં દાણા બેસવાને સમયે વરસાદ ઓછો પડે તો મગફળીનું ઉત્પાદન ઘટી શકે છે. મગફળીમાંથી નીકળતા તેલની માત્રા ઘટી શકે છે. મગફળીના તેલ એટલે કે સિંગતેલનું ઉત્પાદન ઘટે તો તેના ભાવ એકદમ ઊંચકાઈ જવાની સંભાવના રહેલી છે. એક એકર જમીનમાં સામાન્ય રીતે 10થી 12 ક્વિન્ટલ એટલે કે 1000થી 1200 કિલો મગફળી નીકળે છે. ઓછો વરસાદ પડે તો મગફળીની એકરદીઠ ઉપજ 700થી 800 કિલો સુધી નીચે આવી શકે છે. આ સંજોગોમાં ઓણસાલ મગફળીનો પાક લેવો પણ થોડો જોખમી બની શકે છે.
રવી પાકમાં જીરુની ખેતી પર અસર પડી શકે
ઉત્તર ગુજરાતમાં લેવાતા રવી પાકમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં જીરુનો પાક ખાસ્સો લેવામાં આવે છે. રવી પાક હોવાથી તેનું ઉત્પાદન પણ ઓછું જ થવાની શક્યતા જણાઈ રહી છે. ચોમાસાના આરંભમાં જ ભેજ ઓછો પડે તેવી સંભાવના વચ્ચે ચોમાસાના અંત પછીના એક કે દોઢ મહિના બાદ પાક લેવાનો આવે ત્યારે જમીનના ભેજની સમસ્યા વધુ વકરી જવાની સંભાવના રહેલી છે. તેથી રવી પાક ઓછો આવી શકે છે. પરિણામે ખેડૂતોએ ખેતીને સાચવવા માટે સિંચાઈના પાણી મેળવવા માટે વધારાનો ખર્ચ કરવો પડશે. એક એકરમાં સામાન્ય રીતે પાંચ ક્વિન્ટલની આસપાસ જીરું ઉગે છે. પરંતુ ઓછા વરસાદને કારણે જીરુંના ઉતારા ઘટીને ત્રણથી સાડા ત્રણ કે ચાર ક્વિન્ટલ સુધી આવી જવાની સંભાવના રહેલી છે. આમ રસોઈઘરમાં રોજ વપરાતું જીરું પણ ઓણસાલ મોંઘું પડી શકે છે. છતાં જીરુંના પાક સામે મધ્યમ જોખમ હોવાનું ખેતીના જાણકારો કહે છે.
કઠોળનું ઉત્પાદન પણ ઘટી જતાં મોંઘા થાય કે આયાત કરી ભાવને વધતા રોકવા પડે
ભૂતકાળમાં પણ ઓછો વરસાદ પડતાં કઠોળ અને તુવેરદાળ સહિની દાળોનું ઉત્પાદન ઘટી ગયું હતું. આ વરસે ઓછા વરસાદની આગાહી હોવાથી તુવેર દાળ અને કઠોળની વાવણીમાં વિલંબ થઈ શકે છે. તેના બીજ અંકુરિત થવાની પ્રક્રિયામાં તકલીફ આવી શકે છે. બીજાંકુરણ ઓછું તતાં ઉપજમાં 20થી 30 ટકાનો ઘટાડો આવી જવાની સંભાવના રહેલી છે. તુવેરદાળ અને કઠોળની ખેતી જોખમી બની શકે છે. મગ પણ રોકડીયો પાક છે. તે 60 દિવસમમાં તૈયાર થઈ જાય છે. તેના થકી રૂ. 7000થી રૂ. 10000ની આવક થઈ શકે છે.
બાજરીના પાક પર પડનારી અસર
દુષ્કાળના સમયમાં પણ અસ્તિત્વ ટકાવી રાખવામાં સફળ રહેતો હોય તો તે બાજરીનો છોડ છે. બાજરીના પાકને ઓછો વરસાદ હોય તો પણ ચાલી જાય છે. હા, ઓછા વરસાદને કારણે તેની ઉપજમાં થોડો ઘટાડો આવી શકે છે. એક એકર જમીનમાં સામાન્ય રીતે 8થી 10 ક્વિન્ટલ એટલે કે 800થી 1000 કિલો બાજરી ઉગે છે. પરંતુ ઓછા વરસાદને કારણે તેની ઉપજ ઘટીને 600થી 800 કિલો સુધી આવી શકે છે. તેમ છતાંય દુષ્કાળના આ સંભવિત વર્ષમાં બાજરીને ખેતી કરવી સલામત ગણી શકાય તેમ છે. બાજરીનો પાક 70થી 80 દિવસમાં તૈયાર થઈ જાય છે. તેના થકી રૂ. 8,000થી રૂ.12,000ની આવક થઈ શકે છે.
મકાઈને ખેતી વધુ જોખમી
મકાઈના પાકને પાણી વધુ જોઈતું હોવાથી દુષ્કાળ પડે તો તેના ઉત્પાદન પર ખાસ્સી અસર પડી શકે છે. આ સ્થિતિમાં મકાનો પાક લેવો બહુ જ જોખમી ગણી શકાય તેમ છે, કારણ કે ઓછા વરસાદને કારણે મકાઈના છોડનો વિકાસ સીમિત થઈ જાય છે.
ગુજરાતની ખેતી પર અસરથી ખેડૂતની આવક 20થી 40 ટકા ઘટી શકે
સમગ્રતયા ગુજરાતની ખેતીના વાત કરવામાં આવે તો ખરીફ મોસમમાં કેત ઉપજમાં 15થી 30 ટકાનો ઘટાડો આવી શકે છે. ખેડૂતની આવકમાં 20થી 40 ટકાનો ઘટાડો આવી શકે છે. તેમ જ સિંચાઈના ખર્ચમાં 25થી 50 ટકાનો વધારો આવી શકે છે. અમેરિકા અને ઇઝરાયલે સાથે મળીને ઇરાન સામે છેડેલા યુદ્ધને કારણે રાસાયણિક ખાતર અને દવાનો ખર્ચ તો આ પહેલા જ વધી ગયો છે. પશુપાલકોને તકલીફ પણ વધી શકે છે. વરસાદને અભાવે ચારાનું ઉત્પાદન ઘટે તો ગાયભેંસને આપવાનો ચારો મોંઘા થઈ શકે છે. વરસાદના અભાવને કારણે કદાચ તેમના પશુઓની જરૂરિયાતથી બહુ વધારે ચારો ન ઉગાડી શકે તેવી પણ સંભાવન રહેલી છે.
કઈ કોમોડિટીમાં શું થાય
કપાસના ભાવ વધશે
મગફળી-તેલના ભાવ વધશે
દાળ-કઠોળ મોંઘા થઈ જશે
પશુચારાની પણ અછત ઊભી થઈ શકે છે
ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સની ગ્રામીણ વિસ્તારની ડિમાન્ડમાં ઘટાડો આવી શકે
ખેડૂતો અલગ પાકની ખેતી કરે
સંભવતઃ દુષ્કાળના આ વર્ષમાં ખેડૂતો અન્ય પાકને બદલે ઓછા વરસાદમાં ટકી શકે તેવી બાજરી, તલ અને મગની મગ-મઠની ખેતી કરે તો તે તેમને માટે વધુ સલામત ગણાશે. ખેડૂતોએ આ વરસે કપાસની ખેતી કરવાથી દૂર રહેવાનો વિકલ્પ પસંદ કરવો જોઈએ એમ કૃષિ ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે.
વાવણી કેવી રીતે કરવી જોઈએ
જૂન મહિનામાં પહેલા વરસાદ પછી ખેડૂતોએ તરત વાવણી ન કરવી જોઈએ. બેથી ત્રણ સારા વરસાદ પડી જાય તે પછી જ વાવણી કરવી જોઈએ. અન્યથા બિયારણ ફેઈલ જવાની સંભાવના રહેલી છે. ખેડૂતોએ ઓછા વરસાદની સ્થિતિમાં આંતરપાક તરીકે વચ્ચે બીજા પાક પણ લેવા જોઈએ. કપાસની સાથે મગનો પાક લઈ શકે છે. મગફળીના જ ખેતરમાં વચ્ચે તલની વાવણી કરી શકે છે. ટપક સિંચાઈ વરસાદની અછતના કાળમાં ઉત્તમ ગણાય છે. ટપક સિંચાઈ કે માઈક્રો સ્પ્રેયરનો ઉપયોગ કરીને ખેતી કરી શકે છે. તેમ જ મલ્ચિંગ વધારીને જમીનમાંનો ભેજ સાચવી રાખવાની કવાયત કરીને ઊભા પાકને પાણીની ખેંચ ન પડે તેની તકેદારી રાખી શકે છે. ખેત તલાવડી બનાવીને વરસાદી પાણીનો સંચય કરવાનું આયોજન અત્યારથી જ કરવું જોઈએ. રાસાયણિક ખાતરને બદલે જીવામૃત કે ગોબરમાંથી બનાવેલું કુદરતી ખાતર ઉપયોગમાં લેવું જોઈએ. તેમ જ રાસાયણિક જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાને બદલે લીમડાં, સીતાફળ સહિતના દસેક વૃક્ષના પાનને ગૌમૂત્રમાં પલાળીને આથો આવવા દઈને પછી તૈયાર કરેલું જીવામૃતનો છંટકાવ કરવો જોઈએ.
અમદાવાદ જિલ્લાની જમીન મધ્યમ કાળી માટીવાળી જમીન છે. વરસાદની અનિયમિતતાનું જોખમ તેને વધુ પડતું નડી શકે છે. તેમ જ અમદાવાદ જિલ્લામાં ડાંગરનો પાક ખાસ્સો લેવાય છે. તેથી ડાંગરની ખેતી કરવી કે કેમ તે વિચાર માગી લે તેવો વિષય છે. આ વરસે લેવા જેવા શ્રેષ્ઠ પાકમાં બાજરી, મગ, તલ અને ગવારનો પાક લઈ શકાય છે. તેમ જ કપાસ અને મકાઈ જેવા પાક લેવાનું ટાળી શકાય છે.
તલની ખેતી
એક એકર જમીનમાં 1થી 1.2 ક્વિન્ટલ તલનું ઉત્પાદન થાય છે. તેના થકી રૂ. 8,000–12,000ની આવક થઈ શકે છે. ગવારનો પાક લેનારાઓને ઔદ્યોગિક વપરાશકારોનું માર્કેટ પણ મળી શકે છે. એક એકરમાં બેથી ત્રણ ક્વિન્ટલનું ઉત્પાદન થાય છે. તેના થકી રૂ. 6000થી માંડીને રૂ. 9000 સુધીની આવક થઈ શકે છે. શાકભાજીમાં ભીંડા, તુરીયા અને દૂધીની કેતી કરીને સ્થાનિક બજારમાં તેનું સીધું વેચાણ કરીને રૂ. 10,000થી રૂ. 20,000ની આવક કરી શકે છે. તેની ઓર્ગેનિક ખેતી કરવાથી ઉપજના વધુ સારા ભાવ બજારમાં મળી શકે છે. ખેતી કરવા માટેનો ખર્ચ પણ ઓછો આવે છે. ઓછા વરસાદની સીઝનમાં પણ તેના થકી આવક કરી શકાય છે.



