જીવન વીમા નિગમ તેના શેરહોલ્ડર્સને એક જેમ એકના પ્રમાણમાં બોનસ શેર્સ આપશે

રેકોર્ડ ડેટ હવે પછી જાહેર કરવામાં આવશે, નવા એલોટ કરવામાં આવનારા શેર્સનું મૂલ્ય રૂ. 6325 કરોડનું થશે. બજારમાં લિક્વિડિટીમાં વધારો થશે.
જીવન વીમા નિગમે તેના શેરધારકોને એક જેમ એકના પ્રમાણમાં બોનસ શેર્સ આપવાના નિર્ણયને મંજૂરી આપી દીધી હોવાના જાહેરાત કરી છે. લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ સોમવારે પોતાના રિઝર્વ અને સરપ્લસને કેપિટલાઈઝ કરીને 1:1 બોનસ શેર ઈશ્યૂને મંજૂરી આપી દીધી છે.
સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી માહિતી અનુસાર, કંપનીના બોર્ડે દરેક હાલના શેરહોલ્ડરને એક શેર સામે રૂ.10 નો સંપૂર્ણ ચૂકવાયેલો એક વધારાનો શેર આપવાનો નિર્ણય કર્યો છે. જે રેકોર્ડ તારીખ મુજબ લાગુ પડશે.
બોનસ ઈશ્યૂ હેઠળ 632 કરોડથી વધુ નવા શેરની ફાળવણી કરવામાં આવશે. નવા શેર્સનું મૂલ્ય લગભગ રૂ. 6,325 કરોડ જેટલું છે. બોનસના આ ઈશ્યૂ માટેના નાણાંનો 31 ડિસેમ્બર 2025 સુધી ઉપલબ્ધ રહેલા રિઝર્વ અને સરપ્લસમાંથી ખર્ચ કરવામાં આવશે.આ ઈશ્યૂ પછી જીવન વીમા નિગમની ચૂકવાયેલ મૂડી-પેઈડ અફ કેપિટલ રૂ. 6,325 કરોડથી વધીને રૂ.12,650 કરોડ થઈ જશે અને તેના કુલ શેરોની સંખ્યા 1,264 કરોડથી વધુ થઈ જશે.
કંપનીએ જણાવ્યું કે આ બોનસ શેર તેના રિઝર્વમાંથી જારી કરવામાં આવશે, જે ડિસેમ્બર 2025ના અંતે રૂ.14.64 લાખ કરોડથી વધુનું હતું. જોકે, આ ઈશ્યૂ માટે શેરહોલ્ડરોની મંજૂરી આવશ્યક રહેશે. જીવન વીમા નિગમના બોર્ડની મંજૂરીથી લગભગ બે મહિનાની અંદર એટલે કે સંભવતઃ 12 જૂન 2026 સુધીમાં બોનસ શેર રોકાણકારોના ખાતામાં જમા થઈ જશે.
આ પગલું રિટેલ રોકાણકારોની ભાગીદારી વધારવા અને શેરમાં ટ્રેડિંગ લિક્વિડિટી સુધારવા માટે લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
જીવન વીમા નિગમના શેર મે 2022માં નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા પર શેરદીઠ રૂ. 875.45ના ભાવથી લિસ્ટ થયા હતા. આમ તેના ઈશ્યૂ પ્રાઈસ કરતાં લગભગ 8 ટકા ઓછા ભાવે તેનું લિસ્ટિંગ થયું હતું.



