કાપડ માર્કેટના વેપારીઓ માલ ખરીદનારનો જીએસટી નંબર ને વેપારની રકમ અપલોડ કરી ફ્રોડથી બચી શકશે

કાપડ માર્કેટમાં ફ્રોડ અટકાવવા વેપારીઓએ માલ ખરીદનારનો નંબર ને રકમ મહાજનમાં અપલોડ કરવી પડશે
મસ્કતી કાપડ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગત નવી સિસ્ટમ વિકસાવીને વેપારીઓને ફ્રોડથી બચાવવા અને બહારના વેપારીઓ ઓવર બાયિંગ ન કરે તેની પર નજર રાખવા સિસ્ટમ ડેવલપ કરી રહ્યા છે.
અમદાવાદઃ કાપડ માર્કેટમાં થઈ રહેલા ફ્રોડ અટકાવવા માટે મહાજનનું સભ્યપદ વેપારીઓએ એજન્ટ કે વેપારીને માલ વેચ્યો હોય તેનો જીએસટી નંબર અને તેની રકમ મહાજનના પોર્ટલમાં અપલોડ કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ વ્યવસ્થાને કારણે એક જ જીએસટી નંબર ધારકે વધુ પડતી ખરીદી કરી હશે તો તેની મહાજનને ખબર પડી જશે. તેને નવો માલ વેચનાર વેેપારીને તેનો એલર્ટ આપી દેવામાં આવશે.
મસ્કતી કાપડ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતનું કહેવું છે કે મહાજનનું સભ્યપદ ધરાવતા વેપારી જે પાર્ટીને માલની ડિલીવરી કરે તે પાર્ટીનો જીએસટી નંબર અને એમાઉન્ટ-રકમ આપવાની રહેશે. આ બાબત મહાજનના રેકોર્ડમાં જળવાઈ રહેશે. તેમ જ તેમને જ્યારે પણ પેમેન્ટ આવી જાય ત્યારે તેની પણ મહાજનના પોર્ટલ પર જાણ કરવાની આવશે. તેને માટે સંદતર અલગ જ વેબસાઈટ ઊભી કરવામાં આવી રહી છે. આ વેબસાઈટ પર ડેટા એકત્રિત થશે. આ સાઈટ પર વેચાણની માહિતી અપલોડ કરવા માટે ખરીદનાર પાર્ટીના જીએસટી નંબર સાથેની વિગતો અપલોડ કરવી પડશે. તેને માટે મહાજનના સભાસદોને એક વોટ્સએપ નંબર આપવામાં આવશે. આ વોટ્સએપ પર ડેટા અપલોડ કરવાનો રહેશે. વૉટ્સએપ પરથી પોર્ટલ પર ડેટા અપલોડ કરવામાં આવશે.
માહિતી અપલોડ થયા પછી જે તે વેચનાર વેપારીએ જે જીએસટી નંબર ધારકને માલ આપ્યો હશે તે વેપારીએ કે ખરીદનારે બજારમાંથી જે તે તારીખ સુધીમાં કેટલો માલ ખરીદ્યો છે અને તેને કેટલી ડિલીવરી કરવામાં આવી છે તેની વિગતો મળી શકશે. તેમ જ તેણે કેટલું પેમેન્ટ કરી દીધું છે તેની વિગત પણ વેચનાર પાર્ટીને મળી જશે. હા, તેને માલ વેચનાર પાર્ટીએ તે વિગતો પોર્ટલની સાઈટ પર મોકલેલી હોવી જોઈએ. તેમ જ જીએસટી નંબર ધારકનું કેટલું પેમેન્ટ બાકી છે તેની વિગતો મહાજનના મેેમ્બર હોય તેવા વેપારીને પહોંચાડવામાં આવશે. હા, તેને માટે મહાજનનું સભ્યપદ હોવું જોઈએ અને તે વેપારીએ પોતાનો નંબર પોર્ટલ પર રજિસ્ટર કરાવેલો હોવો જરૂરી છે. રજિસ્ટર્ડ નંબર પર જ સવાલ જવાબ થઈ શકશે. રજિસ્ટર્ડ નંબર સિવાયના નંબર પર કોઈ જ માહિતીની આપ-લે કરવામાં આવશે નહિ. હા, એક જ જીએસટી નંબર પર છેલ્લા ત્રણ કે છ માસમાં કેટલા રૂપિયાના સોદા થયા છે અને કેટલા પેમેન્ટ આવ્યા છે તેની વિગતો વેપાર કરવા ઇચ્છતા વેપારીને મળી શકશે. આમ એક જીએસટી નંબરધારકે કાપડ માર્કેટના મેમ્બર વેપારીઓ પાસેથી રૂ. 25કરોડની ખરીદી કરી હોય અને તેનું પેમેન્ટ બાકી હશે તો નવો વેપારીને આપોઆપ જ એલર્ટ મળી જશે. આ રીતે નવા વેપારી તેની સાથે વેપાર કરીને છેતરાતા અટકી શકશે.
હા, વેપારીના સોદાની વિગતો બધે ન પહોંચી જાય તે માટે સેન્ટ્રલાઈઝ ટીમ તૈયાર કરીને અલગથી કંપનીને આ કામગીરી સોંપવામાં આવશે. આ એજન્સી મસ્કતી કાપડ મહાજનના પ્રમુખની દેખરેખ હેઠળ જ કામ કરશે, એમ મસ્કતી કાપડ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું હતું. સમગ્ર કામગીરી સ્વતંત્ર એજન્સીને સોંપવામાં આવશે. માર્કેટના સભાસદોને તેની જાણકારી મળશે નહિ. માત્ર એક એજન્સી તેમને માટે આ કામગીરી કરી રહી હોવાની જ જાણકારી હશે. તે એજન્સીનો પરિચય આપવામાં આવશે નહિ. વેપારીને ફોન પર માગેલી માહિતી પણ સમજી વિચારીને પછી જ આપવામાં આવશે. સોદા કરનારા વેપારીની અંગત માહિતી લીક ન થાય તેની પૂરતી કાળજી લેવામાં આવશે. આ સમગ્ર કવાયતનો મૂળ હેતુ કોઈ એક પાર્ટી માર્કેટમાંથી વધુ પડતી ખરીદી કરીને પોબારા ન ગણી જાય તેની તકેદારી રાખવાનો જ છે.
માર્કેટમાં પહેલા સોદા કરીને નિયમિત પેમેન્ટ આપે છે. ત્યારબાદ એકાએક બેચાર જણ પાસે મોટી રકમનો માલ ખરીદીને નવ દો ગ્યારાહ થઈ જનારા સામે વેપારીઓને રક્ષણ મળશે. એક જ બજારમાંથી ખરીદનાર તેની ક્ષમતા કરતાં વધુ માલ ન ખરીદી લે તેની આ વ્યવસ્થા હેઠળ કાળજી લેવામાં આવશે. માલ વેચનારને તે કોઈની ક્ષમતા બહાર માલ આપી નથી રહ્યો તેને માટે એલર્ટ મળી જશે. આમ વેપારીઓ છેતરાતા બચી જશે. જેને માલ ડિલીવરી કરી તેને માથે બજારના કેટલા પૈસા ચૂકવવાની જવાબદારી છે તેની વિગતો દરેક વેપારીઓને સરળતાથી મળી જ જશે.
