દેશમાં થઈ રહેલી વિધાનસભાઓની ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં લિટરે રૂ.25–28 પ્રતિ લિટરનો વધારો થઈ શકે

ઉદ્યોગને આપવામાં આવતા સીએનજી અને ઘરઘરના રસોડામાં સપ્લાય કરવામાં આવતા પાઈપ્ડ નેચરલ ગેસ-પીએનજીના ભાવમાં પણ વધારો આવી શકે છે
હાલના સમયમાં રિટેલ ફ્યુઅલના ભાવમાં રાખવામાં આવેલી સ્થિરતા લાંબા ગાળે ટકી શકે તેવી નથી, કારણ કે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) મોટાપાયે નુકસાન સહન કરી રહી છે. બીજી તરફ હોર્મુઝની ખાડી ખૂલી નથી. એકાદ જહાજ 40 લાખ બેરલ ક્રૂડ ઓઈલ લઈને કદાચ આવી શકે છે. પરંતુ તે લાંબા ગાળા માટે ચાલી શકે તેમ નથી.ઉદ્યોગને આપવામાં આવતા સીએનજી અને ઘરઘરના રસોડામાં સપ્લાય કરવામાં આવતા પાઈપ્ડ નેચરલ ગેસ-પીએનજીના ભાવમાં પણ વધારો આવી શકે છે. ગુજરાતમાં પીએનજીના ભાવમાં નાનો વધારો આવી ચૂક્યો છે. આ જ રીતે વાહન અને ઉદ્યોગમાં વપરાતા સીએનજીના ભાવમાં પણ વધારો આવી ચૂક્યો છે.
પરિણામે ચારથી પાંચ રાજ્યની ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણી સંપન્ન થઈ ગયા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં લિટરદીઠ રૂ. 25–28 સુધીનો વધારો થઈ શકે છે. તેનું મુખ્ય કારણ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો છે. અત્યારે ક્રૂડ ઓઈલના બેરલદીઠ ભાવ 120 ડૉલરની આસપાસ છે. અમેરિકા-ઇરાન વચ્ચેના યુદ્ધને કારણે પશ્ચિમ એશિયાના દેશોની સ્થિતિને કારણે ક્રૂડ ઓઈલના ભાવ નીચા આવવાની ટૂંકા ગાળામાં કોઈ જ સંભાવના જણાતી નથી.
હોર્મુઝની ખાડી સહિતના અગત્યની ઓઈલ ટ્રાન્સપોર્ટ રૂટમાં વિક્ષેપ આવતાં સપ્લાય પર અસર પડી રહી છે. તેથી જ ક્રૂડ ઓઈલના ભાવમાં અસ્થિરતા જોવા મળી રહી છે. થોડા સમય માટે તણાવમાં ઘટાડો થયો હતો, પરંતુ ફરી વધતા તણાવને કારણે બજારમાં અનિશ્ચિતતા વધી છે. હાલમાં ક્રૂડ ઓઈલના ફ્યુચર્સ અને વાસ્તવિક માર્કેટ વચ્ચે અંતર વધતું જઈ રહ્યું છે. ક્રૂડના ભાવ વધારાને કારણે પેટ્રોલ-ડીઝલ અને ગેસના સેક્ટરની કંપનીઓ પર આર્થિક દબાણ વધી રહ્યું છે. આ આર્થિક નુકસાની આ કંપનીઓ લાંબા સમય સુધી સહન કરી શકે તેમ જ નથી.
હજુ સુધી ભાવમાં વધારો કેમ નથી થયો?
વિશ્વભરના વધતા ખર્ચ છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી સ્થિર રાખવામાં આવ્યા છે. વિશ્લેષકો માને છે કે ચાલી રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોંઘવારી નિયંત્રણ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ક્રૂડના ભાવ વધતા ભારતનો આયાત ખર્ચ વધી ગયો છે. તેની સામે આયાતના વોલ્યુમમાં 13–15 ટકાનો ઘટાડો થયો હોવાનો અંદાજ છે. બીજીતરફ દેશની ક્રૂડ ઓઈલની દૈનિક આયાત ખર્ચ 19થી 21 કરોડ ડોલર જેટલો વધી ગયો છે.
રિફાઈનરી કંપનીઓ માટે આ અસર વધુ ગંભીર છે. ક્રૂડના બેરલદીઠ વધેલા ખર્ચને ગ્રાહકો પર ન નાખવાના કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીને માથે મહિને અંદાજે રૂ. 27,000 કરોડ જેટલો વધારાનો બોજ આવી રહ્યો છે. જોકે તેમને રાહત આપવા માટે સરકારે કેટલાક પગલાં લીધા છે. આ પગલાંઓમાં લિટરદીઠ એક્સાઈઝમાં રૂ. 10ની એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે. તેમ જ એક્સપોર્ટ પર વિન્ડફોલ ટેક્સ ફરી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે સરકારના આ પગલાં માત્ર આંશિક રાહત આપે તેવા જ છે.
ચૂંટણી પછી શું થશે?
એપ્રિલના અંત સુધીમાં ચૂંટણી પૂર્ણ થવાની છે. ત્યારબાદ ફ્યુઅલના ભાવમાં સુધારો (વધારો) થઈ શકે છે. હાલના ક્રૂડના ભાવને ધ્યાનમાં લેતાં રૂ. 25–28 પ્રતિ લિટરનો વધારો જરૂરી બની શકે છે. જોકે એક સામટો ભાવ વધારો થવાની શક્યતા ઓછી છે. મોંઘવારીને ધ્યાનમાં રાખીને આ વધારો તબક્કાવાર થઈ શકે છે.
પેટ્રોલ-ડીઝલના હાલના ભાવ
સરકારની નીતિને કારણે હાલમાં દેશના મોટા શહેરોમાં ફ્યુઅલના ભાવ સ્થિર છે.
- દિલ્હી: પેટ્રોલ રૂ. 94.77, ડીઝલ રૂ. 87.67 પ્રતિ લિટર
- મુંબઈ: પેટ્રોલ રૂ. 103.49, ડીઝલ રૂ. 90.03 પ્રતિ લિટર
- બેંગલુરુ, હૈદરાબાદ, કોલકાતા જેવા શહેરોમાં પેટ્રોલ રૂ.100થી ઉપર છે
ભારતમાં ફ્યુઅલના ભાવને શું અસર કરે છે?
ભારતમાં ફ્યુઅલના ભાવ પર અનેક પરિબળો અસર કરે છે. વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવની પેટ્રોલ-ડીઝલ તથા સીએનજી અને પીએનજીના ભાવ પર અસર પડે છે. તદુપરાંત રૂપિયા-ડોલર વિનિમય દરની અસર પણ પડે છે. રૂપિયો નબળો પડે તો આયાત ખર્ચ વધી જાય છે. તેમ જ કેન્દ્ર અને રાજ્ય સરકારના ટેક્સ પણ બોજ વધારે છે. તેની અસર હેઠળ દરેક વસ્તુઓની હેરફેર કરવાના ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો થઈ જાય છે. તેથી દરેક વસ્તુઓ મોંઘી થાય છે. ભારત મોટાભાગે ક્રૂડ ઓઈલ આયાત પર નિર્ભર છે, તેથી વૈશ્વિક ભાવમાં વધારો સીધો સ્થાનિક ભાવ પર અસર કરે છે.



