• 8 June, 2026 - 6:02 PM

CBDTએ આવકવેરા રિટર્ન માટે ફરજિયાત સ્ક્રુટિનીની માર્ગદર્શિકા જાહેર કરી, ચેરિટેબલ ટ્ર્સ્ટો પર તવાઈ આવશે

નવી માર્ગદર્શિકામાં એનાલિટિક્સ દ્વારા દર્શાવવામાં આવતા સામાન્ય ડેટા મિસમેચના કેસોને બહાર રાખવામાં આવ્યા

આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2025-26 માટે આવકવેરા રિટર્નની ફરજિયાત સ્ક્રુટિની માટે માર્ગદર્શિકા જાહેર કરીને કરમુક્તિનો દાવો કર્યો હોય પરંતુ જેમનું નોંધણી પ્રમાણપત્ર અથવા મંજૂરી 31 માર્ચ, 2025 સુધીમાં નકારી દેવામાં આવી હોય, રદ કરવામાં આવી હોય અથવા પાછી ખેંચી લેવામાં આવી હોય તેવા ટ્રસ્ટો, સંસ્થાઓ અથવા એકમોના કેસોનો સ્ક્રૂટિનીમાં સમાવેશ કરવામાં આવ્યો છે તદુપરાંત મોટા પ્રમાણમાં વધારાની આવક ધરાવતા કેસો તથા કરચોરી અંગે ચકાસાયેલ માહિતી ધરાવતા કેસોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ જ દરોડા  અને જપ્તીની નિયમિત કાર્યવાહીના કેસો પણ આમાં આવરી લેવામાં આવ્યા છે.

સ્ક્રુટિની માટેની માર્ગદર્શિકા દર વર્ષે આવકવેરા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે જેથી ખાતરી થઈ શકે કે કરદાતાઓ દ્વારા દાખલ કરાયેલા આવકવેરા રિટર્ન તેમની વાસ્તવિક આવકને અનુરૂપ છે. કાયદાકીયજોગવાઈ મુજબ વર્ષ 2025-26 દરમિયાન દાખલ કરાયેલા આવકવેરા રિટર્ન માટે આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 143(2) હેઠળ વિગતવાર સ્ક્રુટિની માટે નોટિસ આપવાની અંતિમ તારીખ 30 જૂન છે, તેમ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ ફરજિયાત સ્ક્રુટિની માટેની માર્ગદર્શિકામાં જણાવ્યું છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે ટ્રસ્ટો, સંસ્થાઓ, એનજીઓ તેમજ સંશોધન અને વિકાસ પ્રવૃત્તિઓ કરતી અને આવકવેરામાં છૂટનો દાવો કરતી સંસ્થાઓ અંગે જણાવ્યું છે કે આવકવેરા અધિનિયમની વિવિધ કલમો જેમ કે 12A, 12AB, 35(1)(ii)/(iia)/(iii), 10(23C)(iv)/(v)/(vi)/(via) હેઠળ નોંધણી અથવા મંજૂરી આપવામાં આવી ન હોય અથવા સક્ષમ સત્તા દ્વારા 31 માર્ચ, 2025 સુધીમાં રદ અથવા પાછી ખેંચી લેવામાં આવી હોય અને તેમ છતાં કરદાતાએ ITR-7માં કરમુક્તિ અથવા કપાતનો દાવો કર્યો હોય તો આવા કેસોની ફરજિયાત સ્ક્રુટિની કરવામાં આવશે. જોકે, જો અપીલ પ્રક્રિયામાં નોંધણી અથવા મંજૂરી પાછી આપવામાં આવી હોય અથવા રદ કરવાનો આદેશ રદ થયો હોય તો આવા કેસોને આ માપદંડ હેઠળ પસંદ કરવામાં આવશે નહીં.

આ ઉપરાંત, અગાઉના આકારણી વર્ષમાં કાયદાકીય અથવા તથ્ય આધારિત પુનરાવર્તિત મુદ્દે રૂ. 50 લાખથી વધુનો ઉમેરો થયેલો હોય અને તે અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ અને પુણે જેવા આઠ મેટ્રો શહેરોમાં લાગુ પડતો હોય અથવા અન્ય શહેરોમાં રૂ. 20 લાખથી વધુનો ઉમેરો થયેલો હોય અને તે અંતિમ બની ગયો હોય તેવા કેસોની પણ ફરજિયાત સ્ક્રુટિની કરવામાં આવશે.

તે જ રીતે, કાયદા અમલીકરણ એજન્સીઓ, ગુપ્તચર સંસ્થાઓ અથવા નિયમનકારી સંસ્થાઓ પાસેથી કરચોરી અંગે પ્રાપ્ત થયેલી ચોક્કસ અને ચકાસાયેલ માહિતી ધરાવતા કેસોની પણ સ્ક્રુટિની કરવામાં આવશે. સીબીડીટીએ સ્પષ્ટતા કરી છે કે ઓટોમેટેડ ડેટા એનાલિટિક્સ, એન્યુલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ-AIS, સ્ટેટમેન્ટ ઓફ ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન-SFT, નોન ફાઈલર્સ મોનિટરિંગ સિસ્ટમ્સ-NMS અથવા સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટર-ટીડીએસ (CPC-TDS) દ્વારા દર્શાવવામાં આવેલા સામાન્ય અનુપાલન સંબંધિત કેસોમાં કરચોરીના માપદંડોમાં તે આવી જતા હોય તો જ તેમને સ્ક્રૂટિની માટે પસંદ કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય કરવેરા સંબંધિત કેસોમાં પણ ફરજિયાત સ્ક્રુટિની માટે આ જ માર્ગદર્શિકા લાગુ પડશે. જોકે આવા કેસો ફેસલેસ આકારણી પ્રણાલીની બહાર રહેશે અને તેમનો નિકાલ ઇન્ટરનેશનલ ટેક્સેશન અને સેન્ટ્રલ સર્કલ દ્વારા કરવામાં આવશે, એમ સીબીડીટીએ જણાવ્યું છે. અગાઉના વર્ષોની જેમ આ વર્ષની માર્ગદર્શિકા પણ વ્યાપક સ્ક્રુટિનીને બદલે જોખમ આધારિત અને લક્ષિત આકારણી તરફ આગળ વધવાનું દર્શાવે છે. આ વર્ષની વ્યવસ્થા કરદાતાઓ માટે વધુ અનુકૂળ છે કારણ કે એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ અથવા એનાલિટિક્સ દ્વારા દર્શાવવામાં આવેલા સામાન્ય ડેટા મિસમેચના કેસોને કરચોરીના વિશ્વસનીય પુરાવા વિના સ્ક્રુટિની માટે પસંદ કરવામાં આવશે નહીં. આ પ્રકારના કેસોમાં મિસમેચના કેસોને મર્યાદિત સ્ક્રુટિની હેઠળ લેવામાં આવી શકે છે.

નાણાકીય વર્ષ 2026-27 માટે સીબીડીટીએ રૂ. 26.97 લાખ કરોડના પ્રત્યક્ષ કર વસૂલાતનું લક્ષ્ય નક્કી કર્યું છે. જેમાંથી રૂ. 12.31 લાખ કરોડ કોર્પોરેટ ટેક્સમાંથી, રૂ. 13.92 લાખ કરોડ આવકવેરામાંથી અને રૂ. 73,700 કરોડ સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સમાંથી મળવાની અપેક્ષા છે. વિભાગે વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન પ્રત્યક્ષ કર વસૂલાતમાં સુધારો કરવા માટે યોજના પણ જાહેર કરી છે અને નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન કમિશનર ઇન્કમટેક્સ (અપીલ્સ) દ્વારા સંપૂર્ણપણે સમર્થિત થયેલી રૂ. 2.57 લાખ કરોડની બાકી માંગણીઓને વસૂલ કરી શકાય છે.

 

Read Previous

સોશિયલ મિડીયા પર શેરબજારની ટીપ્સ, ગેરંટીડ રિટર્નના દાવા કરનારાઓથી ચેતતા રહો

Most Popular