RBIએ વૉલેટ માટેના નિયમો કડક કર્યા રૂ. 2 લાખ લિમિટ કરી

પેમેન્ટ ઓપરેટર્સને હવે પરમેનન્ટ લાઇસન્સ મળશે. તેમણે લાઈસન્સ વારંવાર રિન્યુ કરાવવા પડશે નહિ.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પ્રીપેઇડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ માટેના નિયમોમાં મોટાપાયે ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો છે. ડ્રાફ્ટ પ્રપોઝલની જાહેરાત કરી દીધી છે. ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં સુરક્ષા મજબૂત કરવાનું તેમ જ સમગ્ર વહેવારોમાં એકરૂપતા લાવવા માટે અને ગ્રાહકોનું સંરક્ષણ વધારવા માટે આ નિયમો લાવવામાં આવ્યા છે. નવા મુસદ્દા અંગે 22મી મે સુધીમાં પ્રતિભાવ આપવા અને સૂચનો કરવાની મહેતલ આપવામાં આવી છે. ત્યારબાદ 2021ની સાલમાં તૈયાર કરેલા નિયમો દૂર કરીને નવા નિયમો અમલમાં મૂકી દેવામાં આવશે.
પ્રીપેઈડ ઇન્સ્ટ્રુમેન્ટ્સના સેક્ટરમાં પ્રવેશ કરવા માગતી નોન બેન્કિંગ કંપનીઓએ ઓછામાં ઓછી રૂ. 5 કરોડની મૂડી બતાવવી પડશે. આ મૂડી ત્રણ વર્ષમાં વધઆરીને રૂ. 15 કરોડ સુધી લઈ જવાની રહેશે. પેમેન્ટ ઓપરેટર્સને હવે પરમેનન્ટ લાઇસન્સ મળશે. તેમણે લાઈસન્સ વારંવાર રિન્યુ કરાવવા પડશે નહિ. જોકે તેમાં ટ્રાન્ઝેક્શનની લિમિટ મૂકવામાં આવી છે. તેને માટે નવા નિયમો પણ તૈયાર કરવામાં આવ્યા છે.
સંપૂર્ણ કેવાયસી ધરાવનાર પ્રીપેઈડ પેમેન્ટ ઇન્સ્ટ્રૂમેન્ટ્સ ધરાવનારાઓ મહત્તમ રૂ. 2 લાખનું મહત્તમ બેલેન્સ રાખવું પડશે.
તેમની માસિક ડેબિટ લિમિટ રૂ. 2 લાખની રહેશે. પી ટુ પી ટ્રાન્સફરની લિમિટ રૂ. 25,000 પ્રતિ માસની રાખવામાં આવી છે. તેમ જ રોકડ લોડિંગની લિમિટ રૂ.10,000ની રાખવામાં આવી છે. ઓછા કેવાયસી ધરાવનારાઓ માટેની બેલેન્સ લિમિટ રૂ.10,000ની રાખવામાં આવી છે. તેમને ફંડ ટ્રાન્સફર અથવા કેશ વિથડ્રૉલની મંજૂરી મળશે નહિ.
UPI ઇન્ટરઓપરેબિલિટી પર ભાર
સંપૂર્ણ કેવાયસી ધરાવનાર વૉલેટને માટે રિઝર્વ બેન્કે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ-યુપીઆઈ સાથે કે પછી કાર્ડ નેટવર્ક સાથે જોડવાનું ફરજિયાત બનાવ્યું છે, જેથી અલગ-અલગ પ્લેટફોર્મ વચ્ચે સરળ ટ્રાન્ઝેક્શન શક્ય બની શકશે. પરિણામે તેમની સુવિધાનો ઉપયોગ કરનારાઓને વધુ સુવિધા મળશે અને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ વધુ મજબૂત બનશે. જોકે તેનો આંતરરાષ્ટ્રીય સ્તરે એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં પેમેન્ટ કરવા માટે ઉપયોગ કરવાની હજી મંજૂરી આપવામાં આવી નથી.
ગ્રાહક સુરક્ષા વધારી
સેવા લેનારાઓને તમામ ચાર્જ અને શરતો સ્પષ્ટ જણાવવી ફરજિયાત કરવામાં આવી છે. આમ હિડન ચાર્જ ન રહે તેવી શક્યતા છે. તેમની ફરિયાદ નિવારણ માટેની મજબૂત વ્યવસ્થા રાખવી પડશે. રિઝર્વ બેન્કનો ઓમ્બ્ડુસમાનનો વિભાગ તેમની સામેની ફરિયાદ હેન્ડલ કરશે. રિફંડની રકમ તરત જ પીપીઆઈમાં જમા કરાવવી પડશે. જો તે લિમિટને પાર કરે તો પણ રિફંડ આપી દેવું પડશે.
કામકાજ કરવા માટેના નિયમો
પીપીઆઈ ઇશ્યૂ કરનાર નોન-બેન્ક કંપનીએ બેન્કમાં એસ્ક્રો એકાઉન્ટ રાખવું પડશે. તેમાં દૈનિક બેલેન્સ મેચિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. નિષ્ક્રિય એકાઉન્ટ માટે પણ નિયમ કરવામાં આવ્યા છે. એક વર્ષ સુધી ઉપયોગ ન થાય તો એકાઉન્ટ ડિએક્ટિવેટ થશે. તેમાંની બાકી રકમ મૂળ ખાતામાં ટ્રાન્સફર થશે.
નવા નિયમોને કારણે વૉલેટ અને પ્રીપેઇડ કાર્ડ વધુ સુરક્ષિત બનશે. ફ્રોડ અને ગેરવપરાશ પર નિયંત્રણ વધશે. વપરાશકારના વહેવારો વધુ પારદર્શક બનશે. તેમની સુરક્ષામાં વધારો થશે. ડિજિટલ પેમેન્ટ કરવાની સિસ્ટમ અને તેની સાથે સંકળાયેલી અન્ય સિસ્ટમ્સ વધુ મજબૂત બનશે.



