RBIએ બેન્ક ઓફ બરોડાને નિયમોના ઉલ્લંઘન બદલ રૂ. ૬૩.૬૦ લાખનો દંડ ફટકાર્યો
લોન ખાતાઓમાં ગ્રાહકો સાથે કરાર કરાયેલા વ્યાજ દર કરતાં વધુ વ્યાજ વસૂલ્યું
અમદાવાદઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નિયમોનું ઉલ્લંઘન કરનાર બેન્ક ઓફ બરોડોના રૂ. 63.60 લાખનો દંડ કર્યો છે. રિઝર્વ બેન્કે ૩૦મી જૂન, ૨૦૨૬ના રોજ જાહેર કરેલા એક આદેશમાં બેન્ક ઓફ બરોડાને કેટલાક મહત્વપૂર્ણ નિર્દેશોનું પાલન ન કરવા બદલ આ પગલું ભરવામાં આવ્યું છે.
રિઝર્વ બેંકે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ની વિવિધ કલમો હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને દંડ ફટકાર્યો છે. કલમ ૪૭-એ(૧)(સી) ની સાથે વાંચવામાં આવતી કલમ ૪૬(૪)(આઈ) અને કલમ ૫૧(૧) હેઠળ આ નાણાકીય પેનલ્ટી કરવામાં આવી છે.
આરબીઆઈ દ્વારા ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધીની નાણાકીય સ્થિતિના આધારે કરવામાં આવેલા વૈધાનિક નિરીક્ષણ દરમિયાન બેંકની મુખ્ય બે બેદરકારીઓ સામે આવી હતી: એક, બેન્કે કેટલાક લોન ખાતાઓમાં ગ્રાહકો સાથે કરાર કરાયેલા વ્યાજ દર કરતાં વધુ વ્યાજ વસૂલ્યું હતું. બે, કેવાયસી નિયમોની અવહેલના કરીને બેન્કે કેટલાક ગ્રાહકોના કેવાયસી રેકોર્ડ્સ નિયત સમયમર્યાદામાં સેન્ટ્રલ કેવાયસી રેકોર્ડ્સ રજિસ્ટ્રી પર અપલોડ કરવામાં નિષ્ફળ રહી હતી.
આ ક્ષતિઓ સામે આવ્યા બાદ રિઝર્વ બેન્કે બરોડા બેન્કને કારણ દર્શક નોટિસ આપી હતી. બેંક તરફથી મળેલા લેખિત જવાબો, વધારાના દસ્તાવેજો અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન રજૂ કરાયેલી દલીલોની ઝીણવટભરી તપાસ કર્યા બાદ પણ આરબીઆઈએ બેન્ક પરના આરોપો સાચા હોવાનું માન્યું હતું અને આ દંડ ફટકાર્યો હતો.
આ કાર્યવાહી માત્ર નિયમનકારી પાલનમાં રહેલી ખામીઓને કારણે કરવામાં આવી છે. આ દંડથી બેન્ક અને તેના ગ્રાહકો વચ્ચેના કોઈપણ વ્યવહાર કે કરારની માન્યતા પર કોઈ અસર પડશે નહીં. આ દંડ સિવાય પણ આરબીઆઈ ભવિષ્યમાં બેન્ક સામે અન્ય કોઈ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર છે.
