• 6 July, 2026 - 9:31 AM

ઓર્ગેનિક ખેતીના પ્રમાણપત્રના નિયમોમાં ફેરફાર: હવે પ્રાદેશિક પરિષદો માત્ર એક જ રાજ્યમાં કામગીરી કરી શકશે

અમદાવાદઃ કેન્દ્ર સરકારે પાર્ટિસિપેટરી ગેરંટી સિસ્ટમ (Participatory Guarantee System – PGS) હેઠળ ઓર્ગેનિક અને કુદરતી ખેતી માટેની પ્રમાણપત્ર (સર્ટિફિકેશન) વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. નવા નિયમો મુજબ હવે પ્રાદેશિક પરિષદ-રિજનલ કાઉન્સિલ્સને માત્ર એક જ રાજ્યની અંદર કામગીરી કરવાની મંજૂરી રહેશે. નવા નિયમો અનુસાર, ઓર્ગેનિક તેમજ કુદરતી ખેતીના પ્રમાણપત્ર માટે કાર્યરત તમામ રીજનલ કાઉન્સિલ્સને તેમના ફાળવાયેલા એક રાજ્યની અંદર જ પ્રમાણપત્ર સંબંધિત તમામ કામગીરી કરવાની રહેશે.

રીજનલ કાઉન્સિલ્સને હવે તેમના ફાળવાયેલા રાજ્યની બહાર સર્ટિફિકેશનનું કોઈપણ કામ કરવાની મંજૂરી રહેશે નહીં. થોડા અઠવાડિયા પહેલાં જાહેર કરાયેલા સત્તાવાર આદેશમાં જણાવાયું છે કે હવે પછી કરવામાં આવનાર કોઈપણ નવા કરાર અથવા સમજૂતીને રાજ્ય બહાર કામગીરી વધારવા માટે માન્યતા આપવામાં આવશે નહીં. સરકાર સંચાલિત પાર્ટિસિપેટરી ગેરંટી સિસ્ટમ (PGS) નાના અને સીમાંત ખેડૂતો માટે વિશ્વાસ આધારિત અને પરસ્પર સમીક્ષા (Peer Review) પર આધારિત સર્ટિફિકેશન વ્યવસ્થા છે. આ પદ્ધતિ હેઠળ ખેડૂતો એકબીજાના ઓર્ગેનિક ઉત્પાદનની ચકાસણી અને પ્રમાણિત કરે છે.

આ વ્યવસ્થામાં રીજનલ કાઉન્સિલ્સ સ્થાનિક સ્તરે માર્ગદર્શન, ચકાસણી અને પ્રમાણપત્ર પ્રક્રિયાનું મુખ્ય કેન્દ્ર તરીકે કાર્ય કરે છે. નવા નિયમો મુજબ હવે કોઈપણ રીજનલ કાઉન્સિલને તેને ફાળવાયેલ રાજ્ય બદલવાની મંજૂરી પણ આપવામાં આવશે નહીં. જો કે, હાલમાં એકથી વધુ રાજ્યોમાં કામગીરી કરતી રીજનલ કાઉન્સિલ્સ માટે PGS સચિવાલય દ્વારા સંક્રમણ (ટ્રાન્ઝિશન) માટે સમય આપવામાં આવ્યો છે.

પ્રથમ તબક્કામાં વિવિધ રાજ્યોમાં કાર્યરત સ્થાનિક ખેડૂત જૂથોને રાજ્ય આધારિત રીજનલ કાઉન્સિલ્સ હેઠળ સ્થાનાંતરિત કરવાની પ્રક્રિયા 30 એપ્રિલ, 2027 સુધી પૂર્ણ કરવાની યોજના છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, આવી કાઉન્સિલ્સ તેમના ફાળવાયેલા રાજ્યની બહાર પહેલાથી નોંધાયેલા સ્થાનિક ખેડૂત જૂથો માટે સર્ટિફિકેશનની કામગીરી ચાલુ રાખી શકશે, પરંતુ તેઓ તેમના નિયત કાર્યક્ષેત્રની બહાર કોઈ નવા ખેડૂત જૂથની નોંધણી કરી શકશે નહીં. આ સંક્રમણ સમયગાળો 31 માર્ચ, 2026 પહેલાં રાજ્ય સરકારો અને રીજનલ કાઉન્સિલ્સ વચ્ચે થયેલા મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) અથવા અન્ય કરારોના આધારે નક્કી કરવામાં આવશે.

અમલીકરણના પ્રથમ તબક્કામાં વિવિધ રાજ્યોમાં કાર્યરત સ્થાનિક ખેડૂત જૂથોને રાજ્ય આધારિત રીજનલ કાઉન્સિલ્સ હેઠળ સ્થાનાંતરિત કરવાની પ્રક્રિયા 30 એપ્રિલ, 2027 સુધી પૂર્ણ કરવાની યોજના છે. રીજનલ કાઉન્સિલ્સને તેમની હાલની કામગીરીની સમીક્ષા કરીને નવા રાજ્ય આધારિત માળખા મુજબ જરૂરી ફેરફારો કરવા સૂચના આપવામાં આવી છે. PGS સચિવાલયે તમામ સંબંધિત સંસ્થાઓને સંક્રમણ પ્રક્રિયાનું આયોજન વહેલી તકે શરૂ કરવા પણ જણાવ્યું છે, જેથી સર્ટિફિકેશનની કામગીરી અને ખેડૂતોની ભાગીદારી પર ઓછામાં ઓછી અસર થાય.

કેન્દ્ર સરકારના આ સુધારાનો મુખ્ય હેતુ ઓર્ગેનિક અને કુદરતી ખેતીના પ્રમાણપત્રમાં ગુણવત્તા નિયંત્રણ વધુ મજબૂત બનાવવું, જવાબદારી વધારવી અને સ્થાનિક સ્તરે ખેડૂતોને વધુ અસરકારક સહયોગ પૂરો પાડવાનો છે. જોકે, આ ક્ષેત્ર સાથે સંકળાયેલા કેટલાક હિતધારકોએ ચિંતા વ્યક્ત કરી છે કે નવા નિયમોને કારણે કેટલીક રાજ્ય સરકાર સંચાલિત સંસ્થાઓ માન્યતા વ્યવસ્થાની બહાર રહી શકે છે.

Read Previous

બુલિયન સંકેતો: આગળ મજબૂત અવરોધ, તેજીવાળા ટ્રેડર્સ નફો બુક કરી શકે

Most Popular