મુન્દ્રામાં આયાત-નિકાસકારો મુસીબતમાં: ડીઝલ ન મળતું હોવાથી હજારો કન્ટેઈનર્સ પોર્ટ પર જ અટવાયા

૫૦૦ લિટર ડીઝલની જરૃરિયાત સામે અપાતો માત્ર ૫૦થી ૭૫ લિટરનો જથ્થોઃ અધવચ્ચે અટવાઈ પડતા કન્ટેઈનર્સ
મુન્દ્રા બંદર પર કન્ટેઈનર લેવા અને ગુજરાત કે ભારતના અન્ય વિસ્તારોમાંથી નિકાસ માટેના કન્ટેઈનર્સ મૂકવા જતી ટ્રક્સને જોઈતા ડીઝલના જથ્થામાંથી માંડ ૧૦થી ૧૫ ટકા જથ્થો જ કચ્છ જિલ્લાના પેટ્રોલ પમ્પ્સ પરથી મળતો હોવાથી આયાત અને નિકાસના હજારો કન્ટેઈનર્સ અટવાઈ પડયા છે.છેલ્લા એક મહિનાથી આ પરિસ્થિતિ હોવાને કારણે ગુજરાતના આયાત નિકાસકારોની હાલત પણ કફોડી થઈ ગઈ છે. મુદ્રા બંદરેથી દુબઈ, અમેરિકા, દક્ષિણ આફ્રિકા તથા યુરોપિયન સંઘના દેશોમાં નિકાસના કન્ટેઈનર જાય છે. તેમ જ આ તમામ દેશોમાંથી આયાતના કન્ટેઈનર્સ પણ મુન્દ્રા બંદરે આવે છે.
મુન્દ્રા કસ્ટમ્સ બ્રોકર એસોસિયેશનના મનોજ કોટકે આજે આજે કેન્દ્રના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ ખાતાના મંત્રી હરદીપસિંહ પૂરીને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે. કે આ સપ્લાય ચેઈનને જાળવી રાખવા માટ ેકેન્દ્ર સરકારે આ મામલામાં તત્કાળ દરમિયાન ગીરી કરવાની જરૃર છે. કારણ કે માલની હેરફેર અટકી પડી છે. માત્ર ગુજરાતમાં થતી આયાત નિકાસના કન્સાઈનમેનટ્સ જ નહિ, પરંતુ ઉત્તર ભારત, પંજાબર હરિયાણા, રાજસ્થાન, દિલ્હી અને મધ્ય પ્રદેશથી આવતા કન્ટેઈનર અટકી પડયા છે.
કેન્દ્રિય મંત્રીને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે મુન્દ્રાના પેટ્રોલ પમ્પ પર ટ્રક ચાલકોને અઠવાડિયે એક જ વાર માત્ર ૫૦ લિટર ડીઝલ આપવામાં આવી રહ્યું છે. આ જથ્થો અત્યંત ઓછો છે. પરિણામે ડીઝલ ભરાવવા ટ્રક અને ટ્રેઈલરની ઘણાં દૂર સુધી મોકલવાની ફરજ પડી રહી છે. દૂરના વિસ્તારોમાં આવેલા પેટ્રોલ પમ્પ પર પણ ડીઝલ મળી શકશે કે નહિ તેની ખાતરી હોતી નથી. પરિણામે ઇંધણ બરબાદ થઈ રહ્યું છે. બીજું, વાહનો લઈ જતી વખતે અધવચ્ચે જ ડીઝલ ખલાસ થઈ જતું હોવાથી ટ્રકને રસ્તા પર જ છોડી દેવાની ફરજ પડી રહી છે. પોર્ટની નજીકના વિસ્તારોમાં કે પછી જે મળે તે પાર્કિંગ વિસ્તારમાં વાહન પાર્ક કરીને નીકળી જવાની ટ્રક ચાલકોને ફરજ પડી રહી છે. પરિણામે ટ્રકોની અવરજવરમાં પણ અવરોધો ઊભા થઈ રહ્યા છે.
તેથી જ આયાત અને નિકાસના કન્ટેઈનર્સ અટવાઈ રહ્યા છે. પરિણામે નિકાસકારોની કઠણાઈ વધી રહી છે. આયાતકારોની મુશ્કેલીઓ પણ ઓછી નથી. તેમના માલ પોર્ટ પર જ પડયા રહેતા હોવાથી શિપિંગ કંપનીઓએ આપેલી મુદત કરતાં વધ સમય સુધી કન્ટેઈનર્સ પોર્ટ પર પડી રહેતા હોવાથી ડેમરેજ પેટે દિવસના રૃા. ૨૦,૦૦૦ ચૂકવવાની ફરજ પડી રહી છે. દરેક શિપિંગ કંપનીઓ પોતપોતાની રીતે ડેમરેજ વસૂલી રહી છે. પરિણામે નિકાસકારોની હાલત બગડી રહી છે. આ ચૂકવણી ડૉલરમાં જ કરવી પડતી હોવાથી તેમની હાલાકીમાં પણ વધારો થઈ રહ્યો છે. પરિણામે કસ્ટમ્સ બ્રોકર, ટ્રાન્સપોર્ટર્સ તમામની મજબૂરી વધી રહી છે.
આ સ્થિતિમાં ફેરફાર ન કરવામાં આવે તો તેવા સંજોગોમાં બંદરના કામકાજ પર પણ ગંભીર અસર પડી શકે છે. તેની સીધી અસર સપ્લાય ચેઈન પર પડશે. પરિણામે દેશની આર્થિક પ્રવૃત્તિ પર પ્રભાવ પડી શકે છે. પરિણામે દરેક ટ્રક કે ટ્રેલરને નિયમિત અને પૂરતો ડીઝલ પુરવાઠો ચાલુ કારવાની માગણી પણ કરવામાં આવી છે. પોર્ટ પર આયાત નિકાસના કન્ટેઈનર્સની હેરફેર કરતાં ટ્રકોને અલગ માત્રમાં પૂરતો ડીઝલનો સપ્લાયમળે તેવી વ્યવસ્થા ઊભી કરવાની માગણી કસ્ટમ્સ હાઉસ એજન્ટ્સ તરફથી કરવામાં આવી છે.



