• 24 August, 2026 - 7:20 AM

સન ફાર્માએ 11 જુદાં જુદાં આઇ ડ્રોપ્સ બજારમાંથી પરત ખેંચી લેવા પડ્યા: કેમિસ્ટો કે પ્રજાને કોઈ જ માહિતી ન અપાઈ?

સન ફાર્માએ જુદાં જુદાં 11 આઇ ડ્રોપ્સ પરત ખેંચવા પડ્યા: અમલીકરણ અને પાલન પર નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી

આંખના ડોક્ટરોએ જૂન મહિનામાં જ અમુક આઇ ડ્રોપ્સ અંગે ચિંતા વ્યક્ત કરી હતી

સન ફાર્માસ્યુટિકલ્સે તાજેતરમાં સ્વેચ્છાએ અમુક આઇ ડ્રોપ્સ પરત ખેંચવાના (રિકોલ) નિર્ણય લેવો પડ્યો છે. પરત ખેંચાયેલી પ્રોડક્ટ્સના અમલીકરણ અને કાયદાકીય પાલન પર પ્રશ્નો ઊભા થયા છે – કારણ કે કેટલાક રિટેલર્સ (દવાના વેપારીઓ) અને નિયામક અધિકારીઓનો દાવો છે કે તેમની પાસે આ રિકોલ અંગેની કોઈ માહિતી ન હતી. સન ફાર્માએ તેના ભાગીદારોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, તેણે “સાવચેતીના પગલે” જુલાઈના મધ્યમાં ૧૧ પ્રકારના આઇ ડ્રોપ્સ સ્વેચ્છાએ પરત ખેંચવાની પ્રક્રિયા શરૂ કરી હતી. પરંતુ એક મહિના પછી પણ, ‘બિઝનેસલાઇન’ સ્થાનિક કેમિસ્ટ પાસેથી પરત ખેંચાયેલી કેટલીક પ્રોડક્ટ્સ ખરીદવામાં સફળ રહ્યું હતું.

દવા નિયામક નિષ્ણાતોનું કહેવું છે કે, જાહેર હિતમાં સપ્લાય ચેઇન અને ગ્રાહકો સુધી પ્રોડક્ટ રિકોલની માહિતી પહોંચાડવા માટે એક ‘રિયલ ટાઇમ’ (તત્કાલિક) સિસ્ટમ હોવી જોઈએ. રિકોલની આ “અધૂરી” અમલવારી અને ત્યારબાદના પાલન તરફ ઈશારો કરતા તેમણે કહ્યું કે, સરકારી કાર્યવાહી એવી હોવી જોઈએ જેથી આ રિકોલ અસરકારક બની શકશે. ઓલ ઈન્ડિયા ડ્રગ્સ કંટ્રોલ ઓફિસર્સ કોન્ફેડરેશનના ઉદય ભાસ્કરે નોંધ્યું હતું કે, આંખના ડોક્ટરોએ જૂનમાં જ કેટલીક આઇ ડ્રોપ્સ સામે ચિંતા વ્યક્ત કરી હતી, જે બાદ જુલાઈમાં કંપનીએ સ્વેચ્છાએ રિકોલ કર્યું હતું.

નિયામક સત્તાવાળાઓ દ્વારા જાહેર ચેતવણીના અભાવ અંગે ભાસ્કરે ધ હિન્દુ બિઝનેસલાઇનને જણાવ્યું હતું કે, જો કોઈ કંપની કોઈ કારણસર કોઈ પ્રોડક્ટ પાછી ખેંચે છે, તો “નિયમનકારોએ તરત જ તેના પાછળના કારણો શોધી કાઢવા જોઈએ અને સંબંધિત ઉત્પાદન એકમ સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ,” જેથી ગ્રાહકો સુધી પહોંચેલી પ્રોડક્ટ સંપૂર્ણપણે પાછી આવી શકે છે. જૂન મહિનામાં, આંખના ડોક્ટરોએ “માઇક્રોબાયોલોજિકલ તારણો” (બેક્ટેરિયા કે ફંગસ સંબંધિત ખામીઓ)ને કારણે “પ્રેડમેટ” (Predmet) આઇ ડ્રોપ્સની કેટલીક બેચનો ઉપયોગ ન કરવાની સલાહ આપી હતી.

‘બિઝનેસલાઇન’ એ ઓલ ઈન્ડિયા ઓપ્થેલ્મોલોજિકલ સોસાયટીની આ સલાહ અંગે અને આરોગ્ય મંત્રાલયનો સંપર્ક કરીને જાણવાનો પ્રયાસ કર્યો હતો કે શું આ પરત ખેંચાયેલા ૧૧ આઇ ડ્રોપ્સ પર કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી હતી કે નહીં. હાલ તેમના જવાબની રાહ જોવાઈ રહી છે. સન ફાર્માના પ્રવક્તાએ આ અંગે જણાવ્યું હતું કે, “સન ફાર્મામાં અમે દર્દીઓની સુરક્ષાને ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ. તકેદારીના ભાગરૂપે, અમે સ્વેચ્છાએ આંખની કેટલીક પ્રોડક્ટ્સ પરત ખેંચી લીધી છે અને કેન્દ્રીય તેમજ રાજ્યના નિયામક અધિકારીઓને તેની જાણ કરી છે. અમે આરોગ્ય નિષ્ણાતો, હોસ્પિટલો અને સંબંધિત અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને તમામ જરૂરી કાયદાકીય પગલાં લીધા છે. દર્દીઓ અને આરોગ્ય નિષ્ણાતોના પ્રશ્નોના નિવારણ માટે એક હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે.”

પરત ખેંચાયેલી આઇ પ્રોડક્ટ્સની યાદી

  • ડેપોપ્રેડ 2ML (Depopred 2ML)

  • બ્રિનોલર – BKC ફ્રી (Brinolar – BKC Free)

  • બ્રિન્ઝોટિમ આઇ ડ્રોપ્સ 5ML BKC ફ્રી (Brinzotim Eye Drops 5ML BKC Free)

  • લોટેપ્રેડ 5ML (Lotepred 5ML)

  • લોટેપ્રેડ 1% આઇ ડ્રોપ્સ 5ML (Lotepred 1% Eye Drops 5ML)

  • લોટેપ્રેડ LS 0.2% E/D 5ML (Lotepred LS 0.2%E/D5ML)

  • લોટેપ્રેડ T (Lotepred T)

  • નેપાલેક્ટ OD આઇ ડ્રોપ્સ 3ML (Nepalact OD Eye Drops 3ML)

  • નેપાલેક્ટ-Z (Nepalact-Z)

  • ટોબા-F (Toba-F)

  • નેપાલેક્ટ E/D 5ML (Nepalact E/D 5ML)

રિયલ ટાઇમ રિકોલ મેસેજિંગ

ટીમલીઝ રેગટેકના સહ-સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઋષિ અગ્રવાલે આ “અધૂરા અભિગમ” તરફ આંગળી ચિંધતા કહ્યું કે, “માહિતીનો પ્રવાહ અને અમલીકરણ ખૂબ જ વેરવિખેર અને નબળું છે.” તેમણે ઉમેર્યું કે જ્યારે ફૂડ ડિલિવરી એપ અને એરલાઇન કંપનીઓ ગ્રાહકોને રિયલ ટાઇમમાં જાણ કરી શકે છે, તો ચોક્કસપણે ફાર્મા કંપનીઓ અને નિયામક સત્તાવાળાઓ પણ ફોન પર મેસેજ દ્વારા સમગ્ર સિસ્ટમ અને ગ્રાહકો સુધી રિકોલની માહિતી પહોંચાડી શકવા જોઈએ.

તેમણે જણાવ્યું કે, રિકોલ સ્વેચ્છિક હોય કે ડ્રગ નિયામક દ્વારા ફરજિયાત બનાવાયેલું હોય, નાણાકીય અસર અને લોજિસ્ટિક્સને ધ્યાનમાં રાખીને ચોક્કસ સમય આપવો જોઈએ, પરંતુ જો તેનાથી આરોગ્ય કે જીવનને તાત્કાલિક જોખમ હોય તો તેને તુરંત જ બંધ કરી દેવું જોઈએ. અને કંપનીઓ દ્વારા થતી ભૂલો કે નિયમભંગ બદલ સજા કે પરિણામ પણ હોવા જોઈએ. 

તેમણે કહ્યું કે, “મુખ્ય સમસ્યા માહિતીનો અભાવ છે.” તેમણે નિયામક સત્તાવાળાઓ અને કંપનીઓને વિનંતી કરી કે દેશમાં ગમે ત્યાં સપ્લાય ચેઇન અને રિકોલ અંગેની સંપૂર્ણ ડિજિટલ માહિતી ઉપલબ્ધ હોવી જોઈએ. આ પ્રકારની સિસ્ટમ એક “રેગ્યુલેટરી મેમરી” બનાવે છે, જે અગાઉ બ્લેકલિસ્ટ થયેલી અને નવી ઓળખ સાથે ફરી આવતી ધૂર્ત કંપનીઓને ઓળખવામાં મદદ પણ કરે છે.

Read Previous

આજે ખૂલી રહેલો સિમ્બાયોટેક ફાર્માલેબનો આઈપીઓ: ઇન્વેસ્ટર્સે અરજી કરવી કે નહીં?

Read Next

આજે બજારમાં શું કરશો?

Most Popular