જાન્યુઆરી અને ઓગસ્ટ 2026 વચ્ચે અમદાવાદના દક્ષિણ ઝોનમાં 152 ગેરકાયદે બાંધકામ ઊભા કરી દીધા
જાન્યુઆરી અને ઓગસ્ટ 2026 વચ્ચે અમદાવાદના દક્ષિણ ઝોનમાં 152 ગેરકાયદે બાંધકામ ઊભા કરી દીધા
નારોલ, શાહવાડી, વટવા, દાણીલીમડા, બહેરામપુરા સહિતના વિસ્તારોમાં બેફામ થઈ રહેલા ગેરકાયદે બાંધકામો
ચાર માળિયા ગેરકાયદે ફ્લેટ બાંધી દેવામાં આવ્યા અને રૉ હાઊસ ઊભા કરી દેવામાં આવ્યા હોવા છતાં અમ્યુકોનું એસ્ટેટ ડિપાર્ટમેન્ટ નિષ્ક્રિય
અમદાવાદઃ એક તરફ સરકાર ગેરકાયદે બાંધકામ હોવાને નામે ગરીબોના ઝૂપડાં તોડી રહી છે, ત્યારે બીજીતરફ અમદાવાદના દક્ષિણ ઝોનમાં જાન્યુઆરી 2026થી ઓગસ્ટ 2026 સુધીમાં 148થી વધુ ગેરકાયદે બાંધકામ થઈ ગયા છે. આ ગેરકાયદે બાંધકામમાં ચાર માળના ફ્લેટ્સનો પણ સમાવેશ થાય છે અને ત્રણ માળના મકાન પર ગેરકાયદે ચોથો માળ પણ ચણી દેવામાં આવ્યો છે. અમ્યુકોના અધિકારીઓ આ મામલે કુંભકર્ણની નિદ્રામાં હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે આ બાંધકામ પાછળ કેટલાક કોર્પોરેટરનો ટેકો હોવાની શક્યતાને પણ નકારી શકાતી નથી. તેથી પણ એસ્ટેટ ડિપાર્ટમેન્ટનું મૌન હોવાની શક્યતા રહેલી છે.
ગેરકાયદે ફ્લેટની સ્કીમ
ખોખરા-મહેમદાવાદ-ઘોડાસરની ટીપીમાં ગુડ શેફર્ડ સ્કૂલનું બાંધકામ ગેરકાયદેસર થયું છે. દાણી લીમડા બહેરામપુરામાં મસ્જિદ-એ-કરીમ પાસે બારથી પંદર ગેરકાયદે રૉ હાઉસ બાંધી દેવામાં આવ્યા છે. દાણીલીમડામાં જ નાગમણી નગરમાં ગેરકાયદેસર ફ્લેટ અને રૉ હાઉસ બાંધી દેવામાં આવ્યા છે. દાણીલીમડા ઈસ્ટમાં પાઈલન પ્લોટ નંબર 29 પર ગેરકાયદેસર રૉ હાઉસ બાંધી દેવામાં આવ્યા છે. દાણીલીમડા નર્થમાં ફાઈનલ પ્લોટ નંબર 55 પી ઉપર ફ્લેટની સ્કીમ બાંધી દેવામાં આવી છે. આ જ વિસ્તારમાં ટીપી 38-1માં ચિરોગ પાર્ક સોસાસટી પાસે સદંતર ગેરકાયદેસર ફ્લેટની સ્કીમ બાંધી દેવામાં આવી છે. બહેરામપુરામાં પણ હિમાલિયા બેકરી પાસે અમન પ્રાઈમરી સ્કૂલ નજીક ગેરકાયેદસર ફ્લેટની બે સ્કીમ મૂકી દેવામાં આવી છે. લાંભામાં ઇન્દિરાનગરમાં સરકારી સ્કૂલ પાસે ગેરકાયદેસર રૉ હાઉસની સ્કીમ મૂકી દેવામાં આવી છે. નારોલ શાહવાડીમાં અર્બુદા ટ્રેડ સેન્ટર પાસે ફ્લેટ ને શોપિંગ સેન્ટરની ગેરકાયદેસર સ્કીમ મૂકી દેવામાં આવી છે. દાણીલીમડા નોર્થમાં યુનાઈટેડ બેકરી પાસે ગેરકાયદેસર ફ્લેટની સ્કીમ ઊભી કરી દેવામાં આવી છે. ઇસનપુર સાઉથ એક્સટેન્શનમાં ફાઈનલ પ્લોટ નંબર 44-પી, 42-પી અને 32 પી અને 23 પૈકીની જગ્યામાં ગેરકાયદેસ ફ્લેટ બાંધી દેવામાં આવ્યા છે. ફાઈનલ પ્લોટ નંબર 45 પીમાં હજીમ સોસાયટીના ગેરકાયદેસર બાંધકામ ઉપરાંત બીજા બે માળ ખેંચવાની પ્રવૃત્તિ અત્યારે ચાલી રહી છે.
ગેરકાયદે ગોદામો
બાગે ફિરદોશમાં યમુના એસ્ટેટમાં ગોદામ, વટવા વિંઝોલમાં રઘુવીર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગેરકાયદે ગોદામ બાંધી દેવામાં આવ્યા છે. દાણીલીમડા નોર્થમાં મદની મસ્જિદ પાસે પટેલ મેદાન પાસે ગોદામ બાંધી દેવામાં આવ્યું હોવાનું એસ્ટેટ ડિપાર્ટમેન્ટે આપેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે. નારોલ ગામમાં મહેશ્વરી એસ્ટેટમાં ગોદામ બાંધી દેવામાં આવ્યું છે. નારોલ સાઉથમાં અને નારોલ શાહવાડીમાં ત્રણ ગોદામ બાંધી દેવામાં આવ્યા છે. પશ્ચિમ ઇસનપુરમાં અલહબીબ એસ્ટેટમાં બે ગોદામો ગેરકાયદેસર બાંધી દેવામાં આવ્યા છે.
ગેરકાયદે ફેક્ટરીઓ બાંધી દીધી
માત્ર ગોદામો જ નહિ આખીને આખી ગેરકાયદે ફેક્ટરીઓ પણ ઊભી કરી દેવામાં આવી છે. શાહવાડીમાં સોમનાથ અને સુએજ ફાર્મમાં ફાઈનલ પ્લોટ નંબર 126-1 પર, 98-પી પર, 45-1 પી ઉપર અને 44-1 વત્તા 45-2 પર ફેક્ટરીઓ ઊભી કરી દેવામાં આવી છે. શાહવાડીમાં રામદેવપીર મંદિર રોડ પર આવેલા ફાઈનલ પ્લોટ નંબર 43પી પર પણ ફેક્ટરી બાંધી દેવામાં આવી છે. સુએજ ફાર્મ પાસે ફાઈનલ પ્લોટ નંબર 99-1, 45 પી, 27-26 પી, 29 પી પર હારબંધ ફેક્ટરીઓ ઊભી કરી દેવામાં આવી છે.
નવાઈની વાત તો એ છે કે આ ગેરકાયદે મકાનોને બિલ્ડિંગ યુઝની પરમિશન મળી નથી. છતાં કેટલાક ફ્લેટ્સમાં લોકો રહેવા આવવા માંડ્યા છે. તેઓ પાણી માટે ટેન્કર પર મદાર બાંધી રહ્યા હોવાનું માનવામાં આવે છે. તેમ જ પીવાના પાણી માટે રોજના જગ મંગાવી લેતા હોવાનું જાણવા મળી રહ્યું છે. અમ્યુકોની ગટર સાથે તેમણે ગેરકાયેદ જોડાણ લીધા હોવાનું અને જોડાણ ન કરી શકાય તેવા કિસ્સાઓમાં તેમણે ખાળકૂવા કરીને કામ ચલાવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગેરકાયદે બાંધકામ તોડતા નથી
અમ્યુકોના એસ્ટેટ ડિપાર્ટમેન્ટને ગેરકાયદે બાંધકામની સંપૂર્ણ માહિતી હોવા છતાં પોલીસ બંદોબસ્ત ન હોવાને નામે તેઓ તોડતા નથી. વાસ્તવમાં સંવેદનશીલ વિસ્તારમાં જ પોલીસ બંદોબસ્તની જરૂર પડે છે. અન્યથા અમ્યુકોના અધિકારીઓ પાસે પોતાના માણસોની સિક્યોરિટી ટીમ હોય જ છે. તેમને લઈને આ બાંધકામો તોડી પાડવાના હોય છે. પરંતુ પોલીસ બંદોબસ્ત ન મળતો હોવાનું બહાનું કાઢીને ગેરકાયદે બાંધકામો સામે આંખ આડા કાન કરી રહી છે. તેમની નિષ્ક્રિયતા માટે કોર્પોરેટર્સની મિલીભગત જવાબદાર હોવાની શક્યતાને નકારી શકાતી નથી.
