ભાડાંની કોમર્શિયલ પ્રોપર્ટી પર બમણો ટેક્સ લેવાનું બંધ કરવા વેપારીઓની માગણી
કોર્પોરેશનના ચૂંટણી ઢંઢેરામાં વેપારીઓની માગણીનો સમાવેશ કરો, અ્ન્યથા તે રાજકીય પક્ષનો બહિષ્કાર કરવામાં આવશે
કોમર્શિયલ મિલકતનો માલિક કે ભાડૂઆત એક સમાન વપરાશ કરતા હોવા છતાં ટેક્સ બમણો કેમ વસૂલે છે
અમદાવાદ,મંગળવાર: ઓનલાઈન વેપાર કરનારાઓને કારણે ૪૦ ટકાથી ૫૦ ટકા જેટલો ધંધો ગુમાવી ચૂકેલા વેપારીઓએ તેમના પરનો બોજ ઓછો થાય અને વેપાર ધંધાને ટકાવવામાં મદદ મળે તે માટે ભાંડાંની કોમર્શિયલ પ્રોપર્ટી પર લેવામાં આવતો બમણો પ્રોપર્ટી ટેક્સ ન લેવાની માગણી કરી છે. આ કોમર્શિયલ પ્રોપર્ટીમાં દુકાન, શૉ રૃમ, ગોદામાં ઓફિસનો સમાવેશ થાય છે. વેપારીઓની એવી દલીલ છે કે કોમર્શિયલ પ્રોપર્ટીના માલિક કે પછી તે ભાડે લેનાર બંને વપરાશકાર પ્રોપર્ટીનો એક સમાન જ ઉપયોગ કરે છે. તેથી તેમની પાસે બમણો પ્રોપર્ટી ટેક્સ લેવો ન જોઈએ.
અમ્યુકોના આવી રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જે પક્ષ કોમર્શિયલ પ્રોપર્ટી ભાડે લેનાર પાસેથી બમણો પ્રોપર્ટી ટેક્સ ન વસૂલવામાં આવે તેવા પગલાં લેવાની ખાતરી તેમના ચૂંટણી ઢંઢેરાના માધ્યમથી આપશે તે જ પક્ષને મત આપવાનો નિર્ણય લેશે તેવી ચિમકી પણ શ્રી અમદાવાદ વેપારી મહાસંગઠને આપી છે. ચૂંટણી ઢંઢેરામાં જાહેરાત કરનાર પક્ષની તરફેમાં જ મતદાન કરવામાં આવશે. અન્ય પક્ષના ઉમેદવારોને ચૂંટણીમાં મત ન આપવાની તેમણે જાહેરાત કરી છે
કોમર્શિયલ પ્રોપર્ટી ભાડેથી લેનાર પાસેથી બમણો પ્રોપર્ટી ટેક્સ વસૂલવા પાછળના લોજિક અંગે કે પછી તેને માટેની કાયદાકીય જોગવાઈ અંગે સ્પષ્ટતા કરવા માહિતી અધિકાર હેઠળ વેપારીઓએ આપેલી અરજીનો પણ કોઈ જ જવાબ ન આપવામાં આવતો હોવાથી વેપારીઓની હાલાકી વધી રહી છે. ઓનલાઈન કંપનીઓ તેમના ધંધા તોડી રહી છે તેવા સંજોગોમાં પ્રોપર્ટી ટેક્સ બમણો વસૂલવાથી તેમની પરેશાની વધી રહી છે. અમ્યુકો આ અંગે સ્પષ્ટતા કરે તો અમે તેમના આ નિર્ણય અને લોજિકનો વિરોધ કરીને ન્યાય મેળવવા માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવવાનું પણ વિચારી રહ્યા છે.
કારણ કે એક દુકાન કે શોરૃમ ભાડે લેવામાં આવે તો તેના પર લાખો રૃપિયા પ્રોપર્ટી ટેક્સ પેટે ચૂકવવા પડી રહ્યા છે. તેમાંય કોમર્શિયલ પ્રોપર્ટી ભાડે લઈને વેપાર ધંધો કરવામાં આવે તો બમણો પ્રોપર્ટી ટેક્સ લેવામાં આવતો હોવાથી તેમની હાલાકી વધી રહી છે. ઓનલાઈન ટ્રેડિંગને કારણે ધંધો તૂટવા ઉપરાંત બમણા પ્રોપર્ટી ટેક્સના બોજ સહન ન કરી શકતા વેપારીઓએ તેમના ધંધા સમેટેી લેવાની પણ ફરજ પડી છે.
કોટ વિસ્તારમાં વપરાયા વિના પડી રહેલી અને ખંડેર જેવી હાલતમાં આવી ગયેલી મિલકતો પણ વેપારીઓને ધંધા માટે ભાડે આપીને તેમની પાસે સિંગલ પ્રોપર્ટી ટેક્સ વસૂલીીને તેમને રાહત કરી આપી શકે છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને અમ્યુકોના કમિશનર બંછાનિધિ પાની સમક્ષ પણ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે.



