• 15 July, 2026 - 6:00 PM

ભારતીય નિકાસના લગભગ 99% માલસામાનને યુકે માર્કેટમાં ડ્યુટી-ફ્રી પ્રવેશ મળશે, આજથી અમલ ચાલુ કર્યો

ભારતીય નિકાસના લગભગ 99 ચીજવસ્તુને બ્રિટનના માર્કેટમાં ડ્યુટી-ફ્રી પ્રવેશ મળશે 

કાપડ, ચામડું, ફૂટવેર, રત્નો અને ઝવેરાત, પ્રોસેસ્ડ ફૂડ, દરિયાઈ ઉત્પાદનો, એન્જિનિયરિંગ સામાન અને ઓટોપાર્ટ્સ સહિતના મુખ્ય ક્ષેત્રોમાં નિકાસને વેગ આપશે

ભારત-બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર આજથી અમલમાં આવી ગયો હોવાથી ભારતીય નિકાસના લગભગ 99 ટકા ચીજવસ્તુઓને બ્રિટનના બજારમાં ડ્યુટી-ફ્રી (કરમુક્ત) પ્રવેશ મળશે, જ્યારે સામાજિક સુરક્ષા કરાર દ્વારા ભારતીય વ્યાવસાયિકો માટેનો ખર્ચ ઘટશે.  ભારત અને બ્રિટન વચ્ચેનો વ્યાપક આર્થિક અને વ્યાપાર કરાર (CETA), તેમજ સામાજિક સુરક્ષા પરનો કરારને ડબલ કોન્ટ્રિબ્યુશન કન્વેન્શન  તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કરાર અમલમાં આવતા ટેરિફ અવરોધો થતાં બ્રિટનમાં ભારતીય વ્યવસાયોની સ્પર્ધાત્મકતામાં સુધારો થશે. આ કરાર હેઠળ કાપડ, ચામડું, ફૂટવેર, રત્નો અને ઝવેરાત, પ્રોસેસ્ડ ફૂડ, દરિયાઈ ઉત્પાદનો, એન્જિનિયરિંગ સામાન અને ઓટોપાર્ટ્સ સહિતના મુખ્ય ક્ષેત્રોમાં નિકાસને વેગ આપશે તેવી અપેક્ષા છે.

આ કરારના અમલીકરણને ચિહ્નિત કરતા, ભારત-યુકે FTA હેઠળ નિકાસનો પ્રથમ જથ્થો ગુજરાતના અમદાવાદમાં આવેલા સાણંદથી રવાના કરવામાં આવ્યો હતો. બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર સ્ટીવ હિકલિંગ અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) ના જોઈન્ટ ડિરેક્ટર ડો. રાહુલ સિંહે સાણંદના ઇનલેન્ડ કન્ટેનર ડેપો (ICD) ખાતેથી પ્રથમ જથ્થાને લીલી ઝંડી બતાવી રવાના કર્યો હતો, જે આ કરાર અંતર્ગત પ્રેફરન્શિયલ (વૈકલ્પિક પસંદગીના) વ્યાપારની શરૂઆત દર્શાવે છે.

વ્યાપક આર્થિક અને વ્યાપાર કરાર ભારતીય નિકાસકારોને મોટાભાગની બ્રિટિશ ટેરિફ લાઇન પર તાત્કાલિક ડ્યુટી-ફ્રી પ્રવેશ આપે છે.આ કરાર વસ્તુઓ પરના ટેરિફમાં કાપ મૂકે છે અને બંને બજારોમાં સેવા આપતી કંપનીઓ અને વ્યાવસાયિકો માટે તકો વિસ્તૃત કરે છે.  બ્રિટનને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એકમાં વ્યાપક પ્રવેશ મળશે,

ઓટોમોબાઈલ જેવા ક્ષેત્રો માટે તબક્કાવાર ટેરિફ કાપ અને ક્વોટા તથા નાણાકીય સેવાઓ, શિક્ષણ, વીમો અને વ્યાવસાયિક સેવાઓમાં નવી તકો ખુલશે

ઓટોમોબાઈલ જેવા ક્ષેત્રો માટે તબક્કાવાર ટેરિફ કાપ અને ક્વોટા તથા પ્રાપ્તિ (પ્રોક્યોરમેન્ટ), નાણાકીય સેવાઓ, શિક્ષણ, વીમો અને વ્યાવસાયિક સેવાઓમાં નવી તકો ખુલશે. આ કરાર “વ્યાપાર, રોકાણ અને નવીનતા માટે નવા માર્ગો” ખોલે છે, તેમ ભારતના વ્યાપાર મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે આનાથી ભારતીય વ્યવસાયો માટે નવી તકો ઊભી થશે.

ભારતીય વ્યાપાર મંત્રાલયના ડેટા દર્શાવે છે કે ભારતે 2025-26માં બ્રિટનમાં $13.44 બિલિયનની વસ્તુઓની નિકાસ કરી હતી અને $11.68 બિલિયનની આયાત કરી હતી, જ્યારે 2024માં દ્વિપક્ષીય સેવાઓનો વ્યાપાર કુલ $35.44 બિલિયન હતો, જેમાં ભારતે સેવાઓમાં લગભગ $7.9 બિલિયનની સરપ્લસ (નફો) મેળવી હતી. બ્રિટન 96.8 ટકા ટેરિફ લાઇન પર તાત્કાલિક ડ્યુટી નાબૂદ કરશે, જે વ્યાપાર મૂલ્યના 97.7 ટકાને આવરી લે છે.

ભારત 64.1 ટકા ટેરિફ લાઇન પર તાત્કાલિક ડ્યુટી હટાવશે અને અન્ય 21 ટકા પર તબક્કાવાર ટેરિફ નાબૂદ કરશે, જ્યારે સંવેદનશીલ ઉત્પાદનોને આમાંથી બાકાત રાખશે. ભારતીય અધિકારીઓ એવા ક્ષેત્રોમાં લાભની અપેક્ષા રાખે છે જ્યાં બ્રિટિશ ટેરિફ 4 ટકાથી 20 ટકા સુધીના હતા. દરિયાઈ નિકાસ, કાપડ, ચામડું, ફૂટવેર, રત્નો અને ઝવેરાત પરથી ડ્યુટી નાબૂદ કરવામાં આવશે, જે ભારતીય સપ્લાયર્સને બ્રિટિશ બજારમાં વધુ અસરકારક રીતે સ્પર્ધા કરવામાં મદદ કરશે.

બ્રિટનને ઓટોમોબાઈલ અને આલ્કોહોલિક પીણાંમાં ભારતના માપેલા (કેલિબ્રેટેડ) ઉદારીકરણનો લાભ મળવાનો છે. પેસેન્જર વ્હીકલની આયાત તબક્કાવાર ક્વોટા સિસ્ટમને આધીન રહેશે, જેમાં વાર્ષિક 37,000 કમ્પ્લીટલી બિલ્ટ યુનિટ્સ (CBU) ને પ્રેફરન્શિયલ ટેરિફ પર મંજૂરી આપવામાં આવશે. સેવાઓનું પેકેજ IT, બિઝનેસ સેવાઓ, ટેલિકોમ, ફાઇનાન્સ અને શિક્ષણ સહિત 137 પેટા-ક્ષેત્રોમાં બજારની પહોંચને વિસ્તૃત કરે છે અને બિઝનેસ વિઝિટર્સ, ટ્રાન્સફર મેળવનાર વ્યક્તિઓ, રોકાણકારો, સેવા પ્રદાતાઓ અને સ્વતંત્ર વ્યાવસાયિકો માટે અસ્થાયી પ્રવેશને સરળ બનાવે છે.

એક સંલગ્ન ડબલ કોન્ટ્રિબ્યુશન કન્વેન્શન પાત્ર ભારતીય વ્યાવસાયિકો અને નોકરીદાતાઓને પાંચ વર્ષ સુધીના રોકાણ માટે બ્રિટનની નેશનલ ઇન્સ્યોરન્સ સિસ્ટમમાં ચૂકવણી કરવાથી મુક્તિ આપશે, જેનો લાભ લગભગ 75,000 કામદારો અને 900 નોકરીદાતાઓને મળશે. આ કરાર ભારતીય સપ્લાયર્સને બ્રિટનના સરકારી પ્રાપ્તિ (પ્રોક્યોરમેન્ટ) બજારમાં પણ પ્રવેશ આપે છે, જે આશરે £90 બિલિયન હોવાનો અંદાજ છે, જ્યારે ભારત બદલામાં આશરે $114 બિલિયનની સમકક્ષ તકો પ્રદાન કરે છે.

Read Previous

આજે શેરબજારમાં શું કરશો?

Most Popular