• 2 March, 2026 - 6:49 AM

ભારત સરકારે 100 મિ.ગ્રા.થી વધુ સ્ટ્રેન્ગ્થની મૌખિક નિમેસુલાઈડ દવા લેવા પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો

 

 

યકૃતને નુકસાન સહિતના આરોગ્ય જોખમો અને વધુ સલામત વિકલ્પો ઉપલબ્ધ હોવાને કારણે કેન્દ્ર સરકારે પ્રતિબંધ લગાવ્યો

અમદાવાદઃ બાળકોની સારવારમાં નિમેસુલાઈડનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવ્યા બાદ 14 વર્ષથી વધુ સમય બાદ કેન્દ્ર સરકારે પહેલી જાન્યુઆરી 2026થી માનવ સ્વાસ્થ્ય માટે જોખમકારક હોવાના કારણે અને વધુ સલામત વિકલ્પો ઉપલબ્ધ હોવાને કારણે 100 મિ.ગ્રા.થી વધુ માત્રામાં લેવાતી નિમેસુલાઈડના વપરાશ પર તાત્કાલિક અસર (India bans oral Nimesulide over 100 mg tablets) ધરાવતી તમામ મૌખિક નિમેસુલાઈડ દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. નિમેસુલાઈડ એક નોન-સ્ટેરોઇડલ એન્ટી-ઇન્ફ્લેમેટરી ડ્રગ (NSAID) છે. આ ટેબ્લેટનો ઉપયોગ તાવ ઘટાડવા માટે કરવામાં આવે છે. આ ટેબ્લેટનો ઉપયોગ કરવાથી યકૃત-લીવરને નુકસાન થવાનું જોખમ વધે છે.તદુપરાંત પણ આરોગ્ય સંબંધિત અવળી અસર થતી હોવાના કારણોને લઈને 2011માં 12 વર્ષથી ઓછા વયના બાળકોમાં તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે પુખ્ત વ્યક્તિઓ માટે પણ તેનો વપરાશ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ડિસેમ્બર 2024માં કેન્દ્ર સરકારે પશુચિકિત્સામાં નિમેસુલાઈડના તમામ સ્વરૂપો પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો.

કેન્દ્ર આરોગ્ય મંત્રાલયની તાજેતરની સૂચનામાં જણાવ્યા અનુસાર આ નિર્ણય ડ્રગ્સ ટેક્નિકલ એડવાઈઝરી બોર્ડ (DTAB) સાથે થયેલી ચર્ચાઓ બાદ લેવામાં આવ્યો છે. મંત્રાલયના એક અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે 100 મિ.ગ્રા.થી ઓછી માત્રા અથવા 100 મિ.ગ્રા.થી વધુ માત્રાની ટેબ્લેટ હોય અને તે ટેબ્લેટ રિલીઝ સ્વરૂપો (જેમ કે Sustained Release, Extended Release)વાળી હોય તો તેના પર આ પ્રતિબંધ લાગુ પડતો નથી. મૌખિક સિવાયના સ્વરૂપો જેમ કે ટોપિકલ જેલ, ક્રીમ અથવા સપોઝિટરીઝ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી.

92મી DTAB બેઠક (એપ્રિલ 2025)ના મિનિટ્સમાં જણાવ્યા અનુસાર બોર્ડે ભલામણ કરી હતી કે પ્રથમ વિકલ્પની દવાઓ નિષ્ફળ જાય ત્યાર બાદ જ નિમેસુલાઈડને બીજી કક્ષાની દવા તરીકે વાપરવી જોઈએ. અન્ય ભલામણોમાં ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી મહિલાઓ અને ગર્ભધારણની યોજના બનાવતી મહિલાઓમાં તેનો ઉપયોગ ન કરવો તેમ જ સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે. તેમ જ કિડની અને યકૃત સંબંધિત સમસ્યા ધરાવતા દર્દીઓએ તેનો ઉપયોગ ટાળવો જોઈએ. યકૃત અથવા કિડનીને નુકસાન પહોંચાડતી અન્ય દવાઓ સાથે તેને એકસાથે ન આપવાની સૂચનાને પણ તેમાં સામેલ કરવામાં આવી છે.

ભલે 100 મિ.ગ્રા.થી વધુ માત્રામાં મૌખિક નિમેસુલાઈડ બનાવતી કંપનીઓ બહુ ઓછી હોય તેમ છતાં કેન્દ્ર સરકારનો આ નિર્ણય આ કેટેગરીમાં થતી કોઈપણ વેચાણ પ્રક્રિયાને રોકવા માટે છે, ભલે તે માત્ર એક વ્યક્તિ માટે જ નુકસાનકારક કેમ ન હોય, એવું સિસ્ટમેટિક્સ ગ્રુપના સિનિયર વાઈસ-પ્રેસિડેન્ટ (ઇન્સ્ટિટ્યુશનલ રિસર્ચ)ના નિષ્ણાતોનું કહેવું છે. કોમ્બિનેશન દવાઓ સહિતનો સમગ્ર નિમેસુલાઈડ સેગમેન્ટનો બિઝનેસ આશરે ₹500 કરોડનો છે. તેમાં અલ્કેમ, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, મેનકાઈન્ડ, સિપ્લા અને એમક્યુર જેવી કંપનીઓની બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે.

નિમેસ્યૂલાઈડ 100 એમજીથી વધુની ટેબ્લેટ લેવાથી શું થઈ શકે

નિમેસ્યૂલાઈડ-100 એમ.જી.ની દવાનો ખાસ કરીને સ્નાયુઓ, પીઠ, સોજા આવવાથી, દાંતનો અસહ્ય દુખાવો થાય ત્યારે, ઓપરેશન કર્યા પછી પીડા થતી હોય ત્યારે, મહિલાઓને માસિક આવતી વેળાએ તીવ્ર પીડા થતી હોય ત્યારે ઉપયોગ કરવામાં આવે છે. નિમેસ્યૂલાઈડ લેવાથી લીવર-યકૃતને નુકસાન થતું હોવાથી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નિમેસ્યૂલાઈડ દવા વારંવાર લેવાથી લીવર-યકૃત માનવ શરીરમાંના દુષિત કે ઝેરીલા ઘટકોને ગાળીને દૂર કરવાની ક્ષમતા ગુમાવી દે છે. તેમ જ પોષક તત્વોને પ્રોસેસ કરવાની, પ્રોટીન પેદા કરવાની ક્ષમતા ગુમાવી દે છે. તેમ જ કમળો થવાની અને લોહી પડવાની તકલીફ પણ થઈ શકે છે. તેના વિકલ્પે પેરાસિટામોલ, આઈબુપ્રોફેન, નેપ્રોક્ઝેન  લઈ શકાય છે. બાળકો, સગર્ભા મહિલાઓ કે બાળકને સ્તનપાન કરાવતી મહિલાઓ અથવા તો યકૃત કે કીડનીની બીમારી ધરાવતા દરદીઓએ નિમેસ્યૂલાઈડ લેવી જ ન જોઈએ. નિમેસ્યૂલાઈડ લેવાથી દરદીની હાલતમાં સુધારો થતો નથી, પરંતુ તેમને ઉપર જણાવ્યુ મુજબની તકલીફ થવાની સંભાવના વધી જાય છે.

 

 

Read Previous

આઈસીડી ખોડિયારમાં મોબાઈલ એસેસરીઝના આયાતકારના કન્ટેઈનરની ડીઆરઆઈએ તપાસ ચાલુ કરી

Read Next

નકલી બીજ અને જંતુનાશકો વેચનારા સામે નવા કાયદા હેઠળ ફોજદારી કાર્યવાહી થશે: શિવરાજસિંહ ચૌહાણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular