• 4 February, 2026 - 9:10 AM

અમદાવાદના દીપ બિલ્ડર-કામેશ્વર ગ્રુપના ૩૩ ઠેકાણા પર આવકવેરા અધિકારીઓના દરોડા

કામેશ્વર ગ્રુપના બિલ્ડર પાસેથી જમીનને લગતા સોદાના સંખ્યાબંધ દસ્તાવેજો મળી આવ્યા, જમીન દલાલો પણ આવકવેરાની ઝપટમાં

 અમદાવાદઃ આવકવેરા ખાતાના અધિકારીઓએ આજે અમદાવાદના બે બિલ્ડર ગ્રુપ દીપ બિલ્ડર અને કામેશ્વર બિલ્ડરના મળીને કુલ ૩૩ ઠેકાણાઓ પર વહેલી સવારથી દરોડા પાડયા છે. આ દરોડામાં ઓનમનીના વહેવારોની મોટી વિગતો સાંપડી હોવાનું બહાર આવી રહ્યું છે. આ જ રીતે કામેશ્વર સ્કૂલના પ્રમોટર મનાતા કામેશ્વર બિલ્ડરના એકમો પર પણ દરોડા પાડીને જમીનને લગતા વહેવારોના દસ્તાવેજો મોટે પાયે જપ્ત કર્યા છે. આ દરોડામાં અમીન સરનેમ ધારી અન્ય કોઈ જમીનના દલાલ કે જમીનના સોદા કરનારાને પણ આવરી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આવકવેરા ખાતાના અંદાજે ૮૦થી વધુ અધિકારીઓએ પોલીસ પ્રોટેક્શન સાથે દરોડા પાડયા હતા.

દીપ બિલ્ડરની સી.એન. વિદ્યાલય પાસે ગીતા રાંભિયા ચોક પાસે આવેલા પ્રોસિડન્ટ ટાવરની ઓફિસ ઉપરાંત ઇન્દ્રપ્રસ્થ સપ્તકમાં આવેલી તેની ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. તેમ જ ઇન્દ્રપ્રસ્થના નામથી સંખ્યાબંધ રેસિડેન્શિયલ સ્કીમ મૂકનાર દિનેશ પટેલના કર્ણાવતી ક્લબ પાસેના બંગલે, મહેન્દ્ર પટેલના ટી.વી. ટાવર નજીક એશિયા સ્કૂલ પાસેના બંગલે, તથા રાચરડાં પાસેના ફાર્મ હાઉસ, પર દરોડા પાડવામાં આવ્યા છે.

દીપ બિલ્ડર્સના અન્ય પાર્ટનર તુષાર પટેલ અને દીપક પટેલના મહાલક્ષ્મી ચાર રસ્તા પાસેના નિવાસસ્થાન તથા તેમના ભાગીદાર સત્તારભાઈ અને શરીફભાઈના પાલડી પાસેના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા. તેમને ત્યાં બહુધા ફ્લેટ અને રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સમાં જંત્રીના ભાવ કરતાં ઉપરના ભાવથી વેચાણ કરીને લેવામાં આવતા ઓનમનીને લગતા ખાસ્સા વહેવારો પકડાયા હોવાનું બહાર આવી રહ્યું છે. ઇન્દ્રપ્રસ્થ ગુલમહોરમાં આવેલા તેમના નિવાસસ્થાનને દરોડા હેઠળ આવરી લીધેલું છે.

ઇન્દ્રપ્રસ્થ ગ્રુપના બિલ્ડરોથી તેમની તાજેતરમાં તૈયાર થયેલી સ્કીમના સભાસદો પણ નારાજ છે. તેમણે સ્કીમમાં મૂકેલા પાર્કિંગ પણ ચોપડે માત્ર રૂ. 5000માં એલોટમેન્ટ કર્યાનું બતાવીને રૂ. 3થી 5 લાખમાં વેચ્યા હોવાનું બહાર આવી રહ્યું છે. આ જ રીતે ફ્લેટના વેચાણમાં તેમણે 25થી 30 ટકા ઓનમની લીધા હોવાનું બહાર આવી રહ્યું છે. તેમની સ્કીમ 200થી માંડીને 450 ફ્લેટની હોવાથી એક જ સ્કીમમાં રૂ. 200 કરોડની આસપાસના ઓનમની જનરેટ થતાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

જોધપુર ચાર રસ્તા પાસે આવેલી કામેશ્વર સ્કૂલના અને કામેશ્વર ગુ્રપના પ્રમોટર પ્રહલાદ પટેલ, દીપેન પટેલ અને નિકુંજ પટેલના નિવાસ સ્થાને અને ઓફિસોને દરોડા હેઠળ આવરી લેવામાં આવી છે.તેમના કામકાજ જમીનને લગતા વધું હોવાથી તેમને ત્યાંથી નાણાંકીય લેવડદેવડ અંગેના દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. પ્રહલાદ પટેલ, દીપેન પટેલ અને નિકુંજ પટેલના આંબલી  બોપલ ખાતેના બંગલા અને ઓફિસ પર દરોડા પાડીને તમામના મોબાઈલ ફોન તથા ઓફિસમાંના કોમ્પ્યુટર્સ અને હાર્ડડિસ્ક કબજે કરવામાં આવ્યા છે. તેની ચકાસણી કરીને તેમણે મોબાઈલમાં કે પછી પ્લોટમાં કરેલા રોકાણોની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. તેમ જ જમીનના સોદાઓમાં કરવામાં આવેલા ગેરકાયદે લેવડદેવડની વિગતો હાથ લાગી છે. કામેશ્વર ગ્રુપમાં જમીનના સોદાને લગતા દસ્તાવેજો મોટી સંખ્યામાં મળી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમની સાથે અન્ય એક જમીનના સોદાગર અમિનને પણ આકવેરાની જપટમાં લઈ લેવાાં આવ્યા છે. હાર્ડડિસ્ક અને મોબાઈલ ડેટા સ્કેન કરીને તેમંથી ક્લાઉડમાં સંતાડેલા ડેટા શોધવામાં આવી રહ્યા છે.

 

Read Previous

ચાંદીમાં ફાટફાટ થતી તેજી કેટલી અસલી કેટલી નકલી?

Read Next

આજે શેરબજારમાં શું કરશો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular