SEBIએ ઈન્વેસ્ટમેન્ટ એડવાઇઝરને નિયમન ભંગ કરવા બદલ કડક ચેતવણી આપી

એક જ સેવા માટે બે વાર બિલ વસૂલવામાં આવ્યું, નિયમ પ્રમાણે ક્લાયન્ટ્સ સાથેની વાતચીતનો રેકોર્ડિંગ ન રાખ્યું
ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (SEBI) એ Winway Research અને તેના માલિક અંકુર જૈન સામે કડક નિયમનાત્મક કાર્યવાહી કરી છે. SEBIએ ઈન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ રેગ્યુલેશન, 2013ના અનેક ઉલ્લંઘનો બદલ તેમને ઠપકો આપીને તેની સાથે જ કડક ચેતવણી પણ આવી છે.
21મી જાન્યુઆરી 2026ના આદેશમાં SEBIના Whole Time Member અમરજીત સિંહે SCORES પોર્ટલ પર દાખલ ફરિયાદોની વિગતવાર તપાસ બાદ આ નિર્ણય આપ્યો છે. આ તપાસ દરમિયાન ચાર મુખ્ય ઉલ્લંઘનો સાબિત થયા છે. આ ચાર ઉલ્લંઘનમાં એક જ સેવા માટે ઓવરલેપિંગ સમયગાળા દરમિયાન ડબલ ફી વસુલવાની બાબતનો પણ સમાવેશ થાય છે. તેમ જ ગ્રાહકોની રકમ કર્મચારીના વ્યક્તિગત બેંક ખાતામાં લેવામાં આવી હોવાની પણ તેમની સામે ફરિયાદ છે. ત્રીજું, ફરજિયાત કોલ રેકોર્ડિંગ ન રાખવામાં આવ્યુ હોવાનું સેબીસના સભ્યે ધ્યાનમાં લીધું છે. ચોથું, SCORES પર રોકાણકાર ફરિયાદો સમયસર ઉકેલવામાં નિષ્ફળતા મળી હોવાની બાબતને પણ સેબીએ ધ્યાનમાં લીધી છે.
ઓવરલેપિંગ ફી વસુલવાનો કેસ
સેબીની તપાસમાં બહાર આવ્યું છે કે Winway Researchએ એક ક્લાયન્ટ શ્યામકુમાર કંદુકુરીને “સ્ટોક ઓપ્શન” સેવાના એક જ પ્રોડક્ટ માટે ઓવરલેપિંગ સમયગાળામાં બે અલગ ઇન્વોઇસ આપ્યા છે. તેની સામે અંકુર જૈને દલીલ કરી છે કે તે ઇન્વોઇસ સિસ્ટમની સમજૂતિના અભાવથી થયું હતું. પરંતુ SEBIએ આ સ્પષ્ટપણે અસ્વીકાર્યું અને જણાવ્યું કે એક જ સેવા માટે ઓવરલેપિંગ સમયગાળામાં ફી લેવી fiduciary dutyનું ઉલ્લંઘન છે.
કર્મચારીના ખાતામાં ગ્રાહક રકમ લેવાનો ગંભીર મુદ્દો
સૌથી ગંભીર ઉલ્લંઘન એ હતું કે ક્લાયન્ટ પાસેથી લેવાયેલી રકમ Winway Researchના કર્મચારી શ્રી સુમિત સિંહ દુરાનના વ્યક્તિગત બેંક ખાતામાં જમા કરાવવામાં આવી હતી. અંકુર જૈને દલીલ કરી હતી કે કંપનીની નીતિ મુજબ ત્રીજા પક્ષના ખાતામાં ચુકવણી માન્ય નથી અને કર્મચારીએ ગેરવાજબી રીતે આ કાર્ય કર્યું છે. પરંતુ SEBIએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે નૌકરી દરમિયાન કર્મચારી દ્વારા કરાયેલ ગેરકાયદે કૃત્ય માટે નોકરીદાતા જવાબદાર ગણાય છે. SEBIએ સ્પષ્ટ કહ્યું કે રજીસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઇઝર તરીકે કંપનીએ ખાતરી કરવી જોઈએ હતી કે કર્મચારી ગ્રાહકો સાથે ગેરકાયદે વ્યવહાર ન કરે.
કોલ રેકોર્ડિંગ ન રાખવાનો ઉલ્લંઘન
SEBIએ અવલોકન કર્યું છે કે કંપનીએ ગ્રાહકો સાથેની કોલ રેકોર્ડિંગ્સ જાળવી નહોતી. અંકુર જૈને વળતી એવી દલીલ કરી હતી કે ટેક્નિકલ ખામીના કારણે ડેટા ઉપલબ્ધ નથી. પરંતુ SEBIએ કહ્યું કે નિયમો મુજબ ક્લાયન્ટ સાથેની તમામ ઇન્ટરએક્શન રેકોર્ડ રાખવી ફરજિયાત છે અને વૈકલ્પિક પુરાવા માન્ય નથી.
SCORES ફરિયાદો સમયસર ન ઉકેલવી
ચાર રોકાણકાર ફરિયાદો SCORES પોર્ટલ પર સમયસર ઉકેલવામાં આવી નહોતી. તેની સામે અંકુર જૈને કહ્યું કે ATR ફાઇલ કરવાથી પાલન થયું ગણાય. SEBIએ સ્પષ્ટ કર્યું કે ફક્ત ATR ફાઇલ કરવાથી ફરિયાદ ઉકેલાઈ ગણાતી નથી, SEBI દ્વારા SCORES પર ક્લોઝ ન થાય ત્યાં સુધી ફરિયાદ પેન્ડિંગ ગણાય છે.
પહેલાનો દંડ અને અંતિમ નિર્ણય
નવેમ્બર 2024માં પણ SEBIએ અંકુર જૈનને રૂ. 7 લાખનો દંડ કર્યો હતો. તે વખતે પણ આ જ પ્રકારના નિયમોનો ભંગ અંકુર જૈનની કંપની દ્વારા કરવામાં આવ્યો હતો. હાલના કેસમાં SEBIએ માન્યું કે પહેલેથી જ નાણાકીય દંડ લાગુ થઈ ચૂક્યો છે. તેથી આ વખતે Censure (કડક ચેતવણી) યોગ્ય કાર્યવાહી છે. આ આદેશ તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. અંકુર જૈનને આગળથી વધુ સતર્ક અને નિયમપાલન કરતા રહેવાની ચેતવણી આપવામાં આવી છે.
આ કેસ શું સંદેશ આપે છે?
આ કેસ દર્શાવે છે કે SEBI રોકાણકારોના હિતોની રક્ષા અને ઈન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સમાં ઉચ્ચ નૈતિક ધોરણ જાળવવા પ્રતિબદ્ધ છે. યોગ્ય ફી માળખું, પારદર્શક વ્યવહાર, રેકોર્ડ કીપિંગ અને સમયસર ફરિયાદ ઉકેલ — આ બધું ઈન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી બિઝનેસ માટે ફરજિયાત છે.




