પહેલી ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં કઈ બાબતો પર ધ્યાન આપશો?
તમારા મૂડીરોકાણ પર કઈ કઈ બાબતોની અસર પડશે તે જાણવા માટે આ વાંચવું જરૂરી છે. કયા સેક્ટરમાં કેટલા નાણાં ફાળવાતા તેનો વિકાસ કેવો થશે.
સામાન્ય રીતે બજેટને સાંભળનારાઓ અને બજેટની વિગતોમાં ઊંડા ઉતરનારા કે પછી શેરબજારના રોકાણકારો કે પછી નોકરિયાતો બજેટમાં આવકવેરામાં અપાતી રાહત, કેપિટલ ગેઇન ટેક્સમાં આપવામાં આવતી રાહત, તેમ જ એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડાની આશાઓ રાખતા આવ્યા છે. તેમ જ ઘર વપરાશની કઈ વસ્તુઓ સસ્તી બનશે તેના પર જ નજર નાખીને સંતોષ માની લે છે. પરંતુ પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવનારા બજેટમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં કરવામાં આવેલા ફેરફારો 22મી સપ્ટેમ્બર 2025થી લાગુ કરી દેવાયા હોવાથી તેના પર નજર નાખવાની જરૂર રહેશે નહિ. તેમ જ 75થી 80 ટકા કરદાતાઓ નવી વેરા વ્યવસ્થા સાથે જોડાઈ ગયા છે. તેમાં આવકવેરા ધારાની કોઈક કલમ હેઠળ લાભ આપે છે કે નહિ તેના પર નજર રાખી શકે છે. કેપિટલ ગેઇન ટેક્સ દરો પણ પ્રમાણભૂત થઈ ગયા છે. તેથી બજેટમાં તેને માટે પણ કોઈ મોટી અપેક્ષા રાખવામાં આવે તેમ જણાતું નથી. પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવનારા બજેટમાં સામાન્ય કરદાતાઓને આપવા માટે સીધી રાહતો બહુ ઓછી રહી છે.
હવે બજેટમાં સીધી કરછૂટ નહીં પરંતુ પરોક્ષ રીતે તમારા રોકાણોને અસર કરે તેવી જાહેરાતો પર નજર રાખવાની રહેશે. નવા ટેક્સ રિજિમમાં જ તમામ લોકો આવી જાય તે માટે તેમને વધારાનો લાભ આપવાની સરકાર નવા બજેટમાં જાહેરાત કરે છે કે નહિ તે જ જોવાનું રહે છે. બજેટ 2026માં રોકાણકારોએ નીચેના પાંચ સંકેતો પર ખાસ નજર રાખવી જોઈએ.
એક, નાણાકીય ખાધ અને સરકારી દેવા તથા બોન્ડ માર્કેટ પર અસર
ઘણા રોકાણકારો માને છે કે લોન અને ડેટ ઇન્વેસ્ટમેન્ટ પર વ્યાજદર માત્ર RBIની મોનેટરી પોલિસી કમિટી (MPC) નક્કી કરે છે, પરંતુ હકીકત એવી નથી. ડેટ રોકાણકારો માટે બજારના વ્યાજદર વધુ મહત્વના હોય છે. ગયા એક વર્ષમાં MPCએ રેપો રેટમાં 125 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે, છતાં બજારના યિલ્ડમાં ખાસ ફેરફાર થયો નથી. 10 વર્ષીય સરકારી બોન્ડનો યિલ્ડ જાન્યુઆરી 2025માં 6.8 ટકા હતો, જે હવે માત્ર 6.7 ટકા થયો છે. આ દર્શાવે છે કે બજાર વ્યાજદર રેપો રેટ પર સંપૂર્ણ રીતે આધારિત નથી. સરકાર ભારતીય બોન્ડ બજારમાં સૌથી મોટો ઉધાર લેનાર છે. તેથી બજેટમાં નાણાકીય ખાધ (Fiscal Deficit) અને સરકારની ઉધારીની યોજના બોન્ડ યિલ્ડ પર સીધી અસર કરે છે.
તેને માટે રોકાણકારોએ ખાસ કરીને નીચેના ચાર આંકડાં પર નજર રાખવાની રહેશે.
એક, FY26 માટે નાણાકીય ખાધનું લક્ષ્ય પૂર્ણ થયું છે કે નહીં તેના પર નજર રાખવાની રહેશે. બે, FY27 માટે નાણાકીય ખાધની ટકાવારી લક્ષ્ય કેટલું છે તે પણ જોવાનું રહેશે. ત્રણ, FY27 માટે સરકારને કરવી પડનારી કુલ ઉધારી કેટલી છે. ચાર, ઉધારીનું બંધારણ કેવું છે એટલે કે માર્કેટ બોરોઇંગ કે નોન-માર્કેટ બોરોઇંગ છે તેના પર ધ્યાન આપવાનું રહેશે. જો સરકારની ઉધારી વધી જશે તો બજાર યિલ્ડ વધશે, જેના કારણે હાલના બોન્ડના ભાવ ઘટી શકે છે, પરંતુ નવા બોન્ડ અને ડિપોઝિટ પર વધુ વ્યાજ મળી શકે છે.
તદુપરાંત જુદાં જુદાં સેક્ટરમાં સરકાર કેટલો મૂડી ખર્ચ-Capital Outlay કરવા માગે છે તે પણ જોવું જરૂરી છે. સરકારે કોરોનાના સમયમાં ખાનગી ક્ષેત્રે મૂડી ખર્ચમાં ધીમી ગતિ રાખી હતી. ત્યારે કેન્દ્ર સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય ક્ષેત્રોમાં વધતા મૂડી ખર્ચ દ્વારા GDPને ટેકો આપ્યો હતો. FY20થી FY26 દરમિયાન કેન્દ્ર સરકારનો મૂડી ખર્ચ ₹5.2 લાખ કરોડથી વધીને ₹15.5 લાખ કરોડ થયો છે. પરંતુ હવે આવકવેરા અને GSTમાં ઘટાડાને કારણે સરકારની આવકની ગતિ ધીમી પડી શકે છે, જેના કારણે આગળ જઈને મૂડી ખર્ચ પર નિયંત્રણ આવી શકે છે. તેથી આ ખર્ચ પર નજર રાખવી જરૂરી છે. ક્યાં કેટલો ઘટાડો આવે છે તેને આધારે સેક્ટરવાર વિકાસની ગતિને સમજી શકાશે.
બજેટ 2026-27માં રોકાણકારોએ જોવું પડશે કે, કુલ મૂડી ખર્ચ વધે છે કે નહીં. રોડ, રેલવે, ડિફેન્સ, હાઉસિંગ જેવા સેક્ટરમાં ફાળવણીમાં ફેરફાર થાય છે કે નહીં. સરકાર ખાનગી ક્ષેત્રને વધુ જવાબદારી સોંપવા જઈ રહી છે કે નહીં. પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ-PLI સ્કીમ અને કસ્ટમ્સ ડ્યુટીમાં ફેરફાર આવે છે કે નહિ. વૈશ્વિક ટ્રેડ વોર અને ટેરિફ ધમકીઓ વચ્ચે સરકાર PLI (Production Linked Incentive) સ્કીમ દ્વારા દેશી ઉદ્યોગોને ટેકો આપી શકે છે. ઇલેક્ટ્રોનિક્સ જેવા સેક્ટરમાં PLI સ્કીમે સારો ફાયદો આપ્યો છે.
હવે આવતા બજેટમાં હાલની PLI સ્કીમ માટે ફાળવણી વધે છે કે નહીં તે જોવાનું રહેશે. નવા સેક્ટર માટે PLIની જાહેરાત થાય છે કે નહીં તે પણ ધ્યાનમાં રાખવું પડશે. તે ખાસ્સું મહત્વનું રહેશે. તેની સાથે જ ભારત અને અમેરિકા, યુરોપિયન યુનિયન જેવા દેશો વચ્ચેના વેપાર સંબંધોને ધ્યાનમાં રાખીને કસ્ટમ્સ ડ્યુટીમાં કરાતા ફેરફારો પણ ખાસ ધ્યાન ખેંચશે.
પગાર પંચ (Pay Commission) નો પ્રભાવ
દર 10 વર્ષે કેન્દ્ર સરકાર પગાર પંચની રચના કરે છે. ઓક્ટોબર 2025માં 8મા પગાર પંચની રચના કરવામાં આવી છે, જેનો અમલ 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે. જો બજેટમાં પગાર વધારાની જોગવાઈ કરવામાં આવે તો સરકારના ખર્ચમાં મોટો વધારો થશે. કન્ઝ્યુમર અને FMCG સેક્ટરને ફાયદો થઈ શકે છે. તેમના વેચાણમાં વધારો આવી શકે છે. તેની સામે નાણાકીય ખાધ વધવાની શક્યતા વધી જશે.
સોનું અને ચાંદી પર કસ્ટમ્સ ડ્યુટી
દસ ગ્રામ સોનું રૂ. 1.75 લાખ અને કિલો ચાંદી રૂ. 3.85ના મથાળાને વળોટી ગઈ હોવાથી તેના પરની કસ્ટમ્સ ડ્યૂટીમાં ઘટાડો કે વધારો કરવામાં આવે છે કે નહિ તેના પર પણ નજર રાખવાની રહેશે. જોકે 2024ના બજેટમાં સોનાં અને ચાંદી પરની કસ્ટમ્સ ડ્યુટી 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરવામાં આવી હતી, જેના કારણે આયાતમાં વધારો થયો છે. પરંતુ ડ્યૂટી વધારે તો તેની સ્મગલિંગ-દાણચોરી વધી શકે છે. જો આયાતમાં ખાસ્સો વધારો થઈ જાય અને કરંટ અકાઉન્ટ ડેફિસિટ એટલે કે આયાત અને નિકાસ વચ્ચેનો ગાળો વધી જાય તથા રૂપિયાં પર દબાણ વધે તો તેવા સંજોગોમાં સરકાર ફરીથી સોનાં-ચાંદી પર ડ્યુટી વધારવાનો નિર્ણય લઈ શકે છે. બીજું સરકાર સોનામાં કરેલા રોકાણને ડેડ ઇન્વેસ્ટમેન્ટ ગણે છે. કારણ કે તેનાથી દેશના અર્થતંત્રમાં નાણાં ફરતા અટકી જાય છે. સોનાનો ભાવ સાતમે આસમાને હોવાથી નવા સોનાની ખરીદી રોકાણકારો જ કરી રહ્યા છે. લગનસરામાં જરૂરિયાત પૂરી કરવા માટે લોકો નવ કેટેરના અને પોલાણવાળા દાગીના ખરીદતા થઈ ગયા છે. આ નિર્ણય ગોલ્ડ ETF અને બુલિયન માર્કેટ માટે મહત્વનો સાબિત થઈ શકે છે. તેથી સોના-ચાંદી પરની કસ્ટમ્સ ડ્યૂટીમાં તફાવત આવે છે કે નહિ તે જોવું જરૂરી બની ગયું છે.





