વીમા કંપની છુપી શરતો રાખીને ક્લેઈમ રિજેક્ટ ન કરી શકે
ગ્રાહક સુરક્ષા અધિનિયમના હેતુઓને ધ્યાનમાં લેતાં, જો સાબિત થાય કે કરારમાં એવો કલોઝ છે કે જેને અમલમાં મૂકવાથી વીમા કંપની પ્રીમિયમ વસૂલવાનો લાભ લેતી હોવા છતાં જવાબદારીમાંથી બચી શકે, તો એવો કલોઝ અયોગ્ય ગણાવીને રદ કરવો જોઈએ.
વીમા કંપની કોઈ છુપી અથવા તો પૂરતી રીતે જાહેર ન કરાયેલ શરતોને આધારે એટલે કે એક્સક્લુઝન કલોઝના આધારે ગ્રાહકનો વીમા ક્લેઈમનો યોગ્ય દાવો નકારી શકતી નથી. જમ્મુ અને કાશ્મીરની હાઈકોર્ટે નેશનલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ વિ. માલા બશીરના કેસમાં પ્રસ્તુત ચૂકાદો આપ્યો છે.
ન્યાયમૂર્તિ સંજીવ કુમાર અને ન્યાયમૂર્તિ સંજય પરિહારની ડિવિઝન બેન્ચે ભારપૂર્વક જણાવ્યું છે કે વીમા કરારો પૂર્ણ ખુલાસાના સિદ્ધાંત પર જ થવા જોઈએ. તેના પર જ વીમા પોલીસીના કરારોનું સંચાલન થવું જોઈએ.
હા, વીમાધારકે પણ જોખમ સાથે સંબંધિત તમામ મહત્વની વિગતો જાહેર કરવી ફરજિયાત છે, પરંતુ એટલી જ કડક ફરજ વીમા કંપની પર પણ છે કે તે કોઈપણ એક્સક્લુઝન કલોઝને સ્પષ્ટ રીતે જાણ કરે અને વીમો લેનારને સમજાવે તે પણ જરૂરી છે. વીમાની પોલીસીના કરારમાં એવો કલોઝ ન હોવો જોઈએ કે જે વીમા કંપનીને જવાબદારીમાંથી છૂટકારો અપાવી દે છે. તેમાંય ખાસ કરીને જ્યારે તે ગ્રાહકના હિતને અસર કરે છે ત્યારે તે ક્લોજને રદ કરવો જોઈએ.
જમ્મુ અને કાશ્મીરની હાઈકોર્ટે ચૂકાદો આપતા જણાવ્યું છે કે “ગ્રાહક સુરક્ષા અધિનિયમના હેતુઓને ધ્યાનમાં લેતાં, જો સાબિત થાય કે કરારમાં એવો કલોઝ છે કે જેને અમલમાં મૂકવાથી વીમા કંપની પ્રીમિયમ વસૂલવાનો લાભ લેતી હોવા છતાં જવાબદારીમાંથી બચી શકે, તો એવો કલોઝ અયોગ્ય ગણાવીને રદ કરવો જોઈએ. કરારના મૂળ હેતુને નકારતો કલોઝ અમાન્ય છે અને તેનો અમલ થઈ શકતો નથી.
હાઇકોર્ટ જમ્મુ અને કાશ્મીર ગ્રાહક નિવારણ આયોગ, શ્રીનગરના આદેશ સામેની અપીલ પર વિચારણા કરી રહી હતી, જેમાં નેશનલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સપ્ટેમ્બર 2014માં કાશ્મીરમાં આવેલા પૂર દરમિયાન નુકસાન પામેલી મિલકત માટે ઘરમાલિકને રૂ. 4.76 લાખ વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આ ઘર ‘સ્ટાન્ડર્ડ ફાયર એન્ડ સ્પેશિયલ પેરિલ્સ પોલિસી’ હેઠળ વીમાની પોલીસી હેઠળ આવરી લેવામાં આવેલું હતું. જોકે, વીમા કંપનીએ દાવો આ આધાર પર નકાર્યો કે પોલિસીમાં STFI (વાવાઝોડું, આંધળી, પૂર અને પાણી ભરાવા) જોખમોને બહાર રાખવામાં આવ્યા હતા. પોલિસીમાં STFI જોખમોને બહાર રાખતો એન્ડોર્સમેન્ટ હોવાથી આ કેસમાં વીમા કંપનીને સંપૂર્ણપણે બેદરકાર ગણાવી શકાતી નથી. પરિણામે ગ્રાહક નિવારણ આયોગે આકારણી કરીને મંજૂર કરેલા નુકસાનમાં 25 ટકા ઘટાડો કરીને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
વીમા કંપની દ્વારા દાખલ કરાયેલી અપીલ પર વિચાર કરતાં હાઇકોર્ટે સમજાવ્યું હતુ કે આ પ્રકારના કરારો સ્ટાન્ડર્ડ ફોર્મના હોય છે, જે વીમા કંપની દ્વારા એકતરફી રીતે તૈયાર કરવામાં આવે છે. તેમાં ગ્રાહક પાસે કોઈ વાટાઘાટ કરવાનો અવકાશ જ નથી. ગ્રાહક પાસે તો માત્ર “લેવું કે છોડવું તેવા બે વિકલ્પ જ રહે છે.
જમ્મુ અને કાશ્મીરની હાઈકોર્ટે જણાવ્યું હતું કે, “કોર્ટોએ સતત આવા કરારોને ‘વીમા કંપનીના હિતમાં ઝુકેલા કરાર તરીકે ઓળખાવ્યા છે. એ પણ વિવાદાસ્પદ નથી કે સ્ટાન્ડર્ડ ફાયર એન્ડ સ્પેશિયલ પેરિલ્સ પોલિસી સામાન્ય રીતે વાવાઝોડું, ચક્રવાત, તોફાન, પૂર અને પાણી ભરાવા સહિતના અનેક જોખમોને આવરી લે છે, જે અપીલકર્તાઓની પોતાની પોલિસી દસ્તાવેજના કલોઝ VI પરથી સ્પષ્ટ થાય છે.
હાલના કેસમાં પોલિસીનું શીર્ષક ‘સ્ટાન્ડર્ડ ફાયર એન્ડ સ્પેશિયલ પેરિલ્સ પોલિસી’ હતું, જે સામાન્ય રીતે કુદરતી આપત્તિઓ માટે કવરેજ હોવાનો સંકેત આપે છે. કોર્ટે જણાવ્યું હતું કે, “ગ્રાહક સ્વાભાવિક રીતે માનશે કે પોલિસી તમામ નિર્દિષ્ટ જોખમોને આવરી લે છે, જેમાં હાલમાં બહાર રાખવામાં આવતા જોખમો પણ સામેલ છે. પ્રસ્તાવ ફોર્મ અથવા અન્ય સમર્થક પુરાવાની ગેરહાજરીમાં, અપીલકર્તાઓ એવો દાવો કરી શકતા નથી કે તેમણે એક્સક્લુઝન સાબિત કરવાનો ભાર પૂર્ણ કર્યો છે.”
કોર્ટએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે પોલિસી વ્યાપક હોય અને ખાસ જોખમો આવરી લેતી હોવાનું દર્શાવતી હોય, ત્યારે વીમા કંપની છુપાયેલા એક્સક્લુઝન કલોઝનો આશરો લઈ ગ્રાહકની યોગ્ય અપેક્ષાઓને નકારી શકતી નથી. આ કેસમાં પોલિસીએ પોતાને વ્યાપક ‘સ્ટાન્ડર્ડ ફાયર એન્ડ સ્પેશિયલ પેરિલ્સ પોલિસી’ તરીકે વર્ણવી હતી અને STFIનું પૂરું સ્વરૂપ પણ લખેલું નહોતું. તેથી, વીમાધારકને આ એક્સક્લુઝન સમજાયું હોવાનું માન્ય રાખી શકાય નહી. આ અવલોકન કરીને કોર્ટે વીમા કંપનીની અપીલ ફગાવી દીધી હતી.
“ઉપરોક્ત કારણોને ધ્યાનમાં લેતાં, અમે માનીએ છીએ કે આયોગના નિષ્કર્ષોમાં કોઈ કાનૂની ખામી નથી. અપીલકર્તાઓ એ સાબિત કરવામાં નિષ્ફળ ગયા છે કે STFI જોખમોને બહાર રાખવાની બાબત વીમાધારકને ક્યારેય ન્યાયસંગત રીતે જાહેર કરવામાં આવી હતી.





