વિદેશની છુપાવેલી આવક જાહેર કરી દેવા બજેટમાં તક આપવામાં આવી

બ્લેક મની એક્ટની 49 અને 50માં ફેરફાર કરીને વિદેશ જઈ આવેલા લોકોને આવક જાહેર કરી દેવાનો મોકો આપ્યો,
છુપાવેલી આવક માટે દંડ અને જેલની સજામાંથી મુક્તિ આપવામાં આવશે
નાના કરદાતાઓને વિદેશમાંથી થતી આવક કે વિદેશ સ્થિત મિલકતો દર્શાવવામાં રહી ગઈ હોય તેમને બ્લેક મની એક્ટ હેઠળ ભોગવવી પડતી કઠણાઈનો સામનો ન કરવો પડે તે માટે રાહત આપવાની જાહેરાત આજે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટના માધ્યમથી કરી છે.
દસ વર્ષ પહેલા એટલે કે 2015માં દાખલ કરવામાં આવેલા બ્લેક મની એક્ટ હેઠળ વિદેશીની આવક કે વિદેશમાંની અસ્ક્યામતો ન દેખાડી હોય તો તે કરદાતાને એકવારમાં જ ન દર્શાવેલી આવક દર્શાવી દેવાની તક આપી હતી. 31મી માર્ચ 2015 સુધીની આવક દર્શાવી દેવાની તક આપી હતી.
સરકારના ધ્યાનમાં આવ્યું છે કે નાના નાના કરદાતાઓ ભૂલથી કેટલીક આવક કે અસ્ક્યામત બનાવવાનું ભૂલી ગયા છે. વિદેશી નોકરી દરમિયાન એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન હેઠળ મળેલા શેર્સ, સુસ્ત પડી રહેલા બેન્ક એકાઉન્ટમાંના નાણાં, વીમા પોલીસી, બચતની રકમ, તેમ જ વિદેશ મોકલવામાં આવ્યા તે ગાળામાં ખરીદેલી મિલકતો દર્શાવી નથી.
આ કેટેગરીમાં આવતા નાના કરદાતાઓનો સ્વૈચ્છિક રીતે પોતાની અસ્ક્યામતોની જાહેરાત કરી દેવા માટે વેરા અને ફી ચૂકવી દઈને ટૂંકા ગાળા માટે પેનલ્ટી અને કોર્ટ કાર્યવાહીમાંથી મુક્તિ આપવાની જોગવાઈ આજે રજૂ કરેલા બજેટમાં કરવામાં આવી હોવાનું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંજય જે. શાહનું કહેવું છે. જોકે જેમની સામ કોર્ટ કાર્યવાહી થઈ ચૂકી હોય અથવા તો ગુનાઈત પ્રવૃત્તિમાંથી પૈસા મેળવ્યા હોય તેવા કરદાતાઓને આ સ્વૈચ્છિક જાહેરાતની યોજનાનો લાભ આપવામાં આવશે નહિ.
નાણાં મંત્રીએ નાના કરદાતાઓને પેનલ્ટી અને કોર્ટ કાર્યવાહીમાંથી મુક્તિ આપી છે. સ્થાવર મિલકત ન હોય ને મિલકતની કુલ કિંમત રૂ. 20 લાખથી વધુ ન હોય તેવા કરદાતાઓને બ્લેક મની એક્ટની કલમ 49 અને 50 હેઠળ લેવાતી પેનલ્ટી અને પ્રોસિક્યુશનમાં રાહત આપવામાં આવી છે.




