અમદાવાદની રિદ્ધિસિદ્ધિ ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટીમાં 6.5 કરોડનું કૌભાંડ

- સોશિયલ કોઓપરેટીવ બેન્કના ડિરેક્ટર સુરેશ શાહ અને તેમના પત્ની કાશ્મીરા શાહની સંડોવણી
- દરરોજ રૂ. 100થી 1500 બચાવીને મૂડી એકઠાં કરતાં લોકોના રૂ. 6.5 કરોડ ડૂબી રહ્યા હોવા છતાં જિલ્લા રજિસ્ટ્રાર પગલાં લેતા નથી
- પોલીસે ફરિયાદ આગળ ન વધારતા કમિશનર કચેરીમાં રજૂઆત કરવામાં આવી, કમિશનર કચેરીની મંજૂરી પછી પણ પોલીસે નક્કર પગલાં ન લીધા
- ગરીબોની મૂડી ડૂબાડનારને રક્ષણ આપતા હોય તેવું આર્થિક ગુના નિવારણ શાખાનું વલણ, ગૃહ મંત્રી હર્ષ સંઘવીના સ્ટાફે પણ ફરિયાદને દબાવી દીધી હોવાની શંકા
અમદાવાદઃ અમદાવાદના રોજ રોજના રૂ. 100થી માંડીને રૂ. 1500ની બચત કરીને જિંદગી માટે મૂડી એકઠી કરનારાઓ સાથે મસમોટું કૌભાંડ આચરીને સોશિયલ કોઓપરેટીવ બેન્કના સુરેશ શાહ અને તેમના પત્ની કાશ્મીરા સુરેશ શાહ તેમના અંદાજે રૂ. 6.5 કરોડ ચાંઉ કરી ગયા હોવાની કે સગેવગે કરી દઈને તેમને પરત ન ચૂકવતા હોવાની એક ફરિયાદ ધી રિદ્ધિસિદ્ધિ ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટી માટે ડિપોઝિટ એકઠી કરવાનું કામ કરતાં 13 જેટલા એજન્ટોએ કરી છે. આ એજન્ટોએ અત્યારે થાપણદારો કે રોજ રોજ રૂ. 100થી 200 જમા કરાવનારાઓથી મોઢુ સંતાડીને ફરવું પડી રહ્યું છે. તેમ જ મૂડી જમા કરાવનારાઓ તેમની પાસે ઉઘરાણી કરી રહ્યા છે. તેમને ધમકી આપી રહ્યા છે. તેથી તેર એજન્ટોએ મળીને વેજલપુર પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી છે. છતાં વેજલપુર પોલીસ સ્ટેશનમાંથી યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. તેમ જ યોગ્ય તપાસ પણ કરવામાં આવી નથી. પરિણામે સુરેશ શાહ અને કાશ્મીરા શાહ નિશ્ચિંત બની ગયા છે. પ્રણવ શાહ પણ ચિંતાહીન બનીને ફરી રહ્યા છે.
અમદાવાદ શહેરના જીવરાજ પાર્ક પાસે સહજાનંદ કોમ્પ્લેક્સમાં ધી રિદ્ધિસિદ્ધિ ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટીની ઓફિસ આવેલી છે. 2016માં આ ક્રેડિટ સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી. આ કૌભાંડમાં અત્યારે અમદાવાદની જ સોશિયલ કોઓપરેટીવ બેન્કના વર્તમાન ડિરેક્ટર સુરેશ શાહ, ક્રેડિટ સોસાયટીના મેનેજિંગ ડિરેક્ટર કાશ્મીરા સુરેશ શાહ અને પ્રણવ શાહ સંડોવાયેલા હોવાનું બહાર આવી રહ્યું છે. કોઓપરેટીવ ક્રેડિટ સોસાયટી ચાલુ કરનારાઓમાં સોશિયલ કોઓપરેટીવ બેન્કના સ્વ. અમિત પરીખનો પણ સમાવેશ થાય છે. તેમનું ગત ઓક્ટોબર 2025ના અરસામાં અવસાન થયું તે પછી સુરેશ શાહ અને તેમના પત્ની કાશ્મીરા શાહે ખેલ પાડ્યો હોવાની શંકા સેવવામાં આવી રહી છે.
પોલીસમાં કરવામાં આવેલી ફરિયાદમાં સુરેશ શાહ, કાશ્મીરા શાહ અને પ્રણવ શાહના નામનો ઉલ્લેખ 13 એજન્ટોએ કર્યો છે. અમદાવાદ શહેરના સહકારી સંસ્થાઓના જિલ્લા રજિસ્ટ્રાર ઉન્નતિ પંડ્યાને પણ આ અંગે ફરિયાદ કરવામાં આવી છે. તેમને પણ ફરિયાદ હેઠળ આગળ પગલાં લેવામાં રસ ન હોવાનું જણાય છે. તેમણે પણ ફરિયાદને દબાવી દીધી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગુજરાતના સહકાર કમિશનરને ગાંધીનગરમાં આ અંગે ફરિયાદ કરવામાં આવેલી છે. આ ફરિયાદના સંદર્ભમાં કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. તેથી ડિપોઝિટર્સ અને એજન્ટ્સ પરેશાન થઈ રહ્યા છે.
તેર એજન્ટો રોજ ફરીને લોકો પાસેથી રૂ. 100થી માંડીને રૂ. 1500 સુધીની દૈનિક થાપણો લેતા હતા. તેઓ રોજના રૂ. 20000થી માંડીને રૂ. 80,000 સુધીની થાપણો જમા લઈ આવતા હતા. આ થાપણ પર તેમને વર્ષને અંતે આખી મૂડી ઉપરાંત બે ટકાનું વ્યાજ આપવામાં આવતું હતું. આ નાણાં કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના સંચાલકો બહાર 24 ટકાની આસપાસના વ્યાજદરે આપતા હોવાનું પણ ડિપોઝિટ એકત્રિત કરનારા એજન્ટ્સનું કહેવું છે. આ એજન્ટ્સને ડિપોઝિટ આપનારાઓ આજે તેમને મારવા દોડી રહ્યા છે. તેમને માટે ઘરની બહાર નીકળવું લગભગ અશક્ય બની ગયું છે. થાપણદારોને જવાબ આપવા તેમને માટે અશક્ય બની ગયા છે. ડિસેમ્બર 2025થી પૈસા પરત કરવાનું અટકવા માંડ્યુ હતું. જાન્યુઆરી 2026થી પૈસા પરત ચૂકવવાનું લગભગ સાવ જ બંધ થઈ ગયું છે. તેર એજન્ટ્સને આપવાના થતાં કમિશનના નાણાં પણ તેમના દ્વારા નવી કલેક્ટ કરવામાં આવતી ડિપોઝિટમાં થોડી રકમ ઉમેરીને ચૂકવી દેવામાં આવતી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ બની જતાં એજન્ટ્સે સુરેશ શાહ સાથે મિટિંગ કરી હતી. આ મિટિંગમાં પૈસા પરત મળી જાય તેવી ભગવાનને પ્રાર્થના કરવાનું રટણ સુરેશ શાહ સતત કરતાં હોવાનું ફરિયાદીઓનું કહેવું છે. જોકે આ મિટિંગ દરમિયાન સુરેશ શાહે થાપણદારોને નાણાં પરત આપવા માટે તેમની પાસેના જમીનના બે પ્લોટ આપવાની ઓફર કરી હતી. પહેલા પ્લોટ યોગ્ય ન લાગતા એજન્ટ્સોએ તે ઓફર નકારી કાઢી હતી. કારણ કે કોઈએ પ્લોટ ગિરો મૂકીને તેના પર સોશિયલ કોઓપરેટીવ બેન્કમાંથી ધિરાણ લીધું હતું. બેન્કનો બોજો હોવાથી તે પ્લોટ લેવાની કલેક્શન એજન્ટ્સે ના પાડી હતી. ત્યારબાદ પૂર્વ અમદાવાદના કોઈ વિસ્તારમાં તેમને ફ્લેટ આપવાની ઓફર આપવામાં આવી હતી. આ ઓફર આપ્યાના થોડા દિવસમાં જ સુરેશ શાહે ફ્લેટ આપવાની ઓફર પાછી ખેંચી લીધી હતી. ત્યારબાદ તેમણે નળસરોવર તરફના વિસ્તારમાં બીજા પ્લોટની ઓફક કરી હતી. બીજા પ્લોટ પર પણ સોશિયલ કોઓપરેટીવ બેન્કનો બોજો હતો.
વાસ્તવમાં સોશિયલ કોઓપરેટીવ બેન્કમાંથી છૂટા કરવામાં આવેલા સ્ટાફના સભ્યોમાંથી જ કેટલાકને ડિપોઝિટ કલેક્શન માટેનું કામ સોંપવામાં આવ્યું હતું. આ એજન્ટ્સે વિશ્વાસે નાણાં એકત્રિત કર્યા હતા. આજે તેમની સાથે પણ વિશ્વાસઘાત થયો હોવાની લાગણી એજન્ટ્સ અનુભવી રહ્યા છે.



