ઇરાન પર અમેરિકા-ઈઝરાયલનુ આક્રમણથી ભારત-ગુજરાતની નિકાસ ખોરવાઈ ગઈ

- યુદ્ધને કારણે એક્સપોર્ટર્સ માટેના દરિયાઈ માર્ગ ખોરવાઈ ગયાઃ જહાજોને રિ-રૂટ કરવા પડ્યાઃ વીમા પોલીસીના લાભ પૂરતા નહિ મળેઃ એક્સપોર્ટના ખર્ચાઓ વધી ગયા
- ક્રૂડના ભાવ વધતાં જેટ ફ્યુઅલના ઊંચા ગયાઃ એરલાઈન્સના માર્જિન પાંખા થઈ ગયાઃ પશ્ચિમ એશિયાના દેશોમાં કાર્ગો લઈ જતી ઇન્ડિયન એરલાઈન્સના ફ્લાઈટ્સના ખર્ચાઓ વધી ગયા
હોર્મોઝની સામુદ્રધૂનીમાં અમેરિકા-ઈઝરાયલે ક્રૂડ ઓઈલનો મોટો જથ્થો ધરાવતા અને અમેરિકા સુધીની રેન્જ ધરાવતા પરમાણુ શસ્ત્રો વિકસાવવાની આરે પહોંચી ગયેલા ઇરાન સાથે છેડેલા યુદ્ધની સૌથી મોટી અસર ભારતના ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસના સેક્ટર પર પડી છે. તેની અસર હેઠળ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં 10 ટકાનો વધારો આવી ગયો છે. હજીય તેમાં વધારો થવાની ધાસ્તી છે. તેથી ભારતમાં પણ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સાતથી દસ ટકાનો વધારો આવી જવાની સંભાવના રહેલી છે. કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ તથા લિક્વિડ નેચરલ ગેસના ભાવમાં પણ આગામી અઠવાડિયાઓમાં વધારો આવી શકે છે. ક્રૂડ ઓઈલની આયાત અટવાઈ હોવાથી પણ ભાવ વધારો આવી શકે છે. ઓઈલ સેક્ટરની વિશ્વની મોટી કંપનીઓ એટલે કે એક્ઝોન મોબિલ, ટોટલ એનર્જીઝ અને શેલ જેવી કંપનીઓને તેમના કામકાજ સ્થગિત કરી દેવા પડે તેવી નોબત આવી રહી છે.
ઓઈલ-ગેસ સેક્ટરને ફટકો
આ રહ્યા તેના કારણો. એક, કતારમાં એલએનજીનુ ઉત્પાદન યુદ્ધ છેડાયા પછી અટકાવી દેવાની ફરજ પડી છે. બે, બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 7થી 10 અમેરિકી ડૉલરનો વધારો આવી ગયો છે. ક્રૂડની બાબતમાં ભારત આયાત પર જ મહત્તમ નિર્ભર છે. ત્રણ, ક્રૂડના ભાવ વધતા ઇંધણના, ટ્રાન્સપોર્ટેશનના, વીજળીના દરમાં વધારો લાવનાર સાબિત થાય છે. તેમ જ મેન્યુફેક્ચરિંગ સેક્ટરના કોસ્ટિંગ પણ ઊંચા જ જાય છે. આમ દરેક વસ્તુઓ મોંઘી થશે. ચાર, ક્રેડૂના બેરલદીઠ ભાવમાં એક અમેરિકી ડૉલરના વધારાને પરિણામે ભારતની ક્રૂડની આયાતના બિલમાં બે અબજ ડૉલરનો બોજ વધી જાય છે. અત્યાર સુધીમાં ક્રૂડના ભાવમાં સાતથી દસ ડૉલરનો વધારો આવી ગયો હોવાથી ભારતના ક્રૂડની આયાતના બિલમાં 14થી 20 અબજ ડૉલરનો વધારાનો બોજ આવી ચૂક્યું છે.
ગુજરાતના પેટ્રોકેમિકલ ઉદ્યોગ પર અસર
ગુજરાતના પેટ્રોકેમિકલ ઉદ્યોગ અને રિફાઇનિંગ ઉદ્યોગમાં ઊર્જાનો ખાસ્સો વધારે ઉપયોગ થાય છે. ક્રૂડ તેલના ભાવ વધી જતાં તેમના ઓપરેશનલ માર્જિન કપાઈ જશે. સુરત, જામનગર, અંકલેશ્વર અને વડોદરામાં આવેલી રિફાઈનરીઓના કામકાજ પર અવળી અસર પડશે.
શિપિંગના બિઝનેસ અસર પડશે.
યુદ્ધને કારણે એક્સપોર્ટર્સ માટેના દરિયાઈ માર્ગ ખોરવાઈ ગયા છે. જહાજોને રિ-રૂટ કરવા પડ્યા છે. વીમાના લાભ પૂરતા મળશે નહિ. તેમના એક્સપોર્ટના ખર્ચાઓ વધી જશે. શિપિંગ કંપનીઓના જહાજ માટે વીમા આપતી વીમા કંપનીઓએ અખાતના વિસ્તારમાંથી પસાર થતાં જહાજોના વીમાના કવરેજ પાછા ખેંચી લીધા છે. જહાજોના નૂરના દર વધારી દેવામાં આવ્યા છે. જે જહાજના કન્ટેઈનરના 300થી 450 ડૉલર હતા તે વધારીને 2000થી 3000 ડૉલર કરી દેવામાં આવ્યા છે. તેમ જ સ્પેશિયલ કેટેગરીમાં 4000 ડૉલર કરી દેવામાં આવ્યા છે. અમેરિકા-ઇઝરાયલે સાથે મળીને ઇરાન પર આક્રમણ કર્યું તે પછી આ વધારો આવ્યો છે. હોર્મોઝની સામુદ્રધૂનીમાંથી જહાજોની થતી અવરજવરને અટકાવી દેવામાં આવી તેને પરિણામે દરિયાઈ માર્ગે માલની થઈ રહેલી હેરફેરની ગતિ મંદ પડી ગઈ છે.
ગુજરાત પર મોટી અસર
ભારતમાંથી નિકાસ કરવામાં આવલા કુલ માલમાંથી 40 ટકા માલનું હેન્ડલિંગ ગુજરાતના બંદરો મારફતે થાય છે. મુન્દ્રા અને કંડલા બંદરે સૌથી વધુ કાર્ગો હેન્ડલ થાય છે. તેમના શિપિંગ કોસ્ટ વધી ગયા છે. માલની ડિલીવરીમાં વિલંબ થઈ રહ્યો છે. તેમ જ માલ લઈને રવાના થયેલા જહાજોને અન્ય રૂટથી મોકલવાની નોબત આવતા વિલંબ થઈ રહ્યો છે. તેમ જ ખર્ચ પણ વધી રહ્યો છે. તેની સીધી અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડી છે. સુરતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર માઠી અસર પડી છે. ટેક્સટાઈલ ઉદ્યોગને પણ ફટકો પડી શકે છે.
સ્ટોક માર્કેટ પણ તૂટ્યું
સ્ટોક માર્કેટ પણ બીજી માર્ચથી સતત તૂટી રહ્યું છે. ભારતીય સ્ટોક માર્કેટનું માર્કેટ કેપ વરસો પછી 499 લાખ કરોડ ડૉલરે એટલે કે 5 લાખ કરોડ ડૉલરથી નીચેની સપાટીએ આવી ગયું છે. ઇઝરાયલ-અમેરિકાના ઇરાન સાથેના યુદ્ધની આ તાત્કાલિક અસર છે. એફઆઈઆઈ સહિતના ઇન્વેસ્ટર્સની મોટી વેચવાલી ચાલુ થઈ ગઈ હતી. તેની સૌથી મોટી અસર ઓટોમોબાઈલ, કન્ઝ્યુમર ડ્યૂરેબલ્સ અને ઉર્જા સેક્ટર સાથે સંકળાયેલા કંપનીના શેર્સમાં ગાબડાં પડવા માંડ્યા તે સાથે જોવા મળી છે. શેરબજારની વેલ્થમાં મોટું ગાબડું પડી ગયું હતું. શેર્સના ભાવ તૂટવા માંડ્યા તેથી નવા મૂડી રોકાણ આવવા પર બ્રેક લાગી ગઈ છે. ઔદ્યોગિક મોરચે વિસ્તરણ કરવાનો વિશ્વાસ પણ ડગમગી ગયો છે.
કોમોડિટીના માર્કેટને ઝટકો લાગ્યો
શિપિંગ કંપનીઓએ જહાજોને જ્યાં છે ત્યાં જ અટકી જવાની સૂચના બીજી માર્ચે આપી તેને પરિણામે કૃષિ ઉપજને લઈ જતાં નવા જહાજો અટકી ગયા હતા. પરિણામે કૃષિ ઉત્પાદનોની ડિલીવરીમાં વિલંબ થવા માંડ્યો હતો. ભારતના ચોખાના નિકાસકારોમાં એટીએફ ફૂડ્ય અને કે.આર.બી.એલના સ્ટોકના ભાવ ગગડવા માંડ્યા છે. મધ્યપૂર્વના દેશોની ડિમાન્ડ બંધ થઈ જતાં કૃષિ ઉપજોના ભાવમાં આઠ ટકાનો ઘટાડો આવી ગયો છે. ભારતમાંથી મધ્યપૂર્વના દેશો અને અખઆતના દેશોમાં ચોખાની નિકાસ ખાસ્સી વધારે થાય છે. તેથી ભાવ ગગડી ગયા હતા. ગુજરાત અને રાજસ્થાનની ચોખાની મિલો અને નિકાસકારોને ખબર પડી ગઈ કે એકાએક જ ચોખાની ડિમાન્ડ અટકી ગઈ છે. આ મિલોને વિદેશમાંથી થતી આવક અટકી ગઈ છે. કૃષિ ઉપજની નિકાસ કરનારાઓને લોજિસ્ટિક-માલની હેરફેરની અને પેમેન્ટમાં વિલંબ થવાની સમસ્યા નડી રહી છે.
કેમિકલ, ફર્ટિલાઈઝર અને પેટ્રોકેમિકલ્સ
ગુજરાતમાં દહેજ, વાપી અને અંકલેશ્વરના કેમિકલના એકમોને કાચા માલના વધી રહેલા ભાવ નડી રહ્યા છે. તેમના નફા ખવાઈ રહ્યા છે. ફર્ટિલાઈઝરના સેક્ટરમાં કાચા માલના ભાવ વધી જતાં છૂટક ભાવને સ્પર્ધાત્મક લેવલે રાખવા મુશ્કેલ બની ગયા છે. નેપ્થા, સલ્ફર અને પેટ્રોકેમિકલ્સ માટે જોઈતા કાચા માલનો સપ્લાય જ એકાએક અટકી ગયો છે. એનર્જીના ભાવમાં એકાએક વધારો થઈ જતા સપ્લાય ખોરવાયો છે. તેમ જ શિપિંગમાં પણ વિલંબ થવા માંડ્યો છે. ચમ્બલ ફર્ટિલાઈઝર અને ઇફકો જેવી ફર્ટિલાઈઝનરના મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલી કંપનીઓના કાચા માલની કિંમત વધી જતાં તેમના પર ભાવનું દબાણ એકાએક આવી ગયું છે. કેમિકલ સેક્ટરના કાચા માલના ભાવ પણ ઊંચકાઈ ગયા હોવાથી તેમના માર્જિન કપાઈ રહ્યા છે. નફાકારકતા ઘટી રહી છે.
અમેરિકાના ટેરિફ વૉર પછી ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના સેક્ટરમાં મંદી જોવા મળી રહી છે. દરેક આઈટી કંપનીઓ નવા આયોજન કરીને નફા વધારવાના અને સર્વિસના ઓર્ડર મેળવવાના વિકલ્પો તપાસી રહી છે. હવે અખાતના પ્રદેશમાં યુદ્ધ ફાટી નીકળતા વધેલી અનિશ્ચિતતાએ તેમને એક ઓર ફટકો માર્યો છે. યુનાઈટેટ આરબ અમિરાત અને સાઉદી અરેબિયામાં થતી આઈ.ટી. સર્વિસની અબજોની એક્સપોર્ટ અટકી પડી છે. યુદ્ધ થતાં ટેક્નોલોજી માટે સેવા લેવાની કામગીરી પર બ્રેક લાગી જવાની સંભાવના રહેલી છે. ટૂંકા ગાળા માટે આઈ.ટી. સર્વિસ માટેના બજેટમાં કાપ મૂકાઈ જવાની સંભાવના છે.
નાગરિક ઉડ્ડયન કંપનીઓની આવકને ફટકો
અમેરિકા-ઇઝરાયલે એકાએક ઇરાન પર આક્રમણ કરી દેતા અખાતના સાત દેશની એરસ્પેસ બંધ કરી દેવામાં આવતા પાંચ દિવસથી તેમના કામકાજ સંપૂર્ણપણ બંધ થઈ ગયા છે. તેમણે સંખ્યાબંધ ફ્લાઈટ કેન્સલ કરવી પડી છે. યુદ્ધના વિસ્તારની ફ્લાઈટ સેવા તો સાવ જ અટકાવી દેવાની ફરજ પડી હતી. બીજીતરફ ક્રૂડના ભાવ વધી જતાં જેટ ફ્યુઅલના ભાવ પણ વધી ગયા હતા. તેથી એરલાઈન્સના માર્જિન પાંખા થઈ ગયા છે. પશ્ચિમ એશિયાના દેશોમાં કાર્ગો લઈ જતી ઇન્ડિયન એરલાઈન્સના ફ્લાઈટ્સના ખર્ચાઓ વધી ગયા છે. તેમ જ તેમના સમયપત્રકો ખોરવાઈ ગયા છે.
યુદ્ધને કારણે ભારત-ગુજરાતને આર્થિક નુકસાન
યુદ્ધને કારણે ભારત અને ગુજરાતના સાહસિકોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. આ લખાય છે ત્યારે પણ યુદ્ધ ચાલી જ રહ્યું છે. તેનાથી મોટું નુકસાન થયું છે તેમાં કોઈ જ બે મત નથી. પરંતુ રૂપિયા, આના પઈમાં તેના આંકડાં હજી ઉપલબ્ધ નથી. તેમનો સપ્લાય ખોરવાઈ ગયો છે. તેમ જ વેપાર પણ અટકી પડ્યો છે.
ખર્ચ વધતા ને નિકાસમાં વિલંબ થવા માંડતા સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને મોટો આંચકો
ઇરાન પર અમેરિકા અને ઇઝરાયેલે કરેલા આક્રમણને પરિણામે અને ઇરાનના શાસક ખામેનેઈને મારી નાખવાની ઘટના અને ખામેનેઈ પછી આવેલા શાસકોએ પણ તેવર બદલવાનો કે ઝૂકવાનો ઇનકાર કરી દીધો હોવાથી યુદ્ધ લંબાઈ જતાં સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને મોટો ફટકો પડી શકે છે. તેની અસર અત્યારથી જ વર્તાવા માંડી છે.
ન્યુ ક્લોથ માર્કેટના મસ્કતી કાપડ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતનું કહેવું છે કે સૌથી પહેલો અને મોટો ફટકો શિપિંગના નૂરદરમાં તયેલા 400 ટકાના વધારાને પરિણામે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને ઝાટકો લાગ્યો છે. બીજું, યુદ્ધના આરંભ સાથે જ વીમા કંપનીઓને માથે જોખમ વધી જતાં તેમણે વીમા કવરેજ પાછું ખેંચી લીધું છે. ત્રીજું, ભારતથી રવાના કરી દેવામાં આવેલા અને ડિલીવરીને આરે આવી પહોંચેલા માલની ડિલીવરી અટકી ગઈ છે. તેથી તેમને મળવાના પેમેન્ટ્સ પણ અટકી ગયા છે. પરિણામે નિકાસકારોના ખર્ચા વધી ગયા છે. નિકાસકારોની નફાકારકતા ઘટી ગઈ છે. ભારતીય ટેક્સટાઈલની સ્પર્ધાત્મકતા ઘટી ગઈ છે કે ખતમ થવા આવી છે. માત્ર અખાતના દેશોમાં જ નહિ, વિશ્વભરના બજારોમાં સ્પર્ધાત્મકતા ઓછી થઈ ગઈ છે.
સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને જનારી ખોટ
સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પૂર્વ પ્રમુખ આશિષ ગુજરાતીનું કહેવું છે કે ઇરાન સાથેના યુદ્ધને પરિણામે ઊભી થયેલી સ્થિતિને પરિણામે નિકાસના કન્સાઈનમેન્ટ ખોરવાઈ જતાં, નૂરના દર વધી જતાં અને ડિલીવરી ન થવાથી પેમેન્ટ અટાવાઈ જતાં રૂ. 300થી રૂ.400 કરોડની ખોટ જાય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. જહાજને નવા દરિયાઈ માર્ગે મોકલવાની જરૂર ઊભી થતાં તેમના ખર્ચાઓ હજી પણ વધશે. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધને પરિણામે ટેક્સટાઈલ ને એપરલનો હજારો ટન કાર્ગો વિમાન સેવા અને જહાજ સેવા ખોરવાઈ જતાં રઝળી પડ્યો છે. નિકાસકારોએ રઝળી પડેલા માલ અંગે ચિંતા વ્યક્ત કરી છે. આમ નિકાસ પર જ માત્ર અસર નથી પડી, પરંતુ નાણાંકીય નુકસાન પણ થવા માંડ્યું છે. ટેક્સટાઈલના નિકાસકારોએ નવી મૂડી કાઢવી પડે તેવી નોબત આવી ગઈ છે. વિદેશી હૂંડિયામણમાં આવેલા ફેરફારોની પણ અસર પડી છે. તેમ જ ખરીદદારો સાથેના સંબંધો પણ વણસી જાય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. રેડીમેડ ગારમેન્ટના કન્સાઈમેન્ટ પણ અટવાયા છે. તેમ જ માલની હેરફેર કરવાનો ખર્ચ એટલે કે લોજિસ્ટિકનો ખર્ચ પણ વધી રહ્યો છે.
અખાતના દેશોમાં યુદ્ધ ફાટી નીકળતા નિર્માણ થયેલી સ્થિતિની અસર હેઠળ ભારતીય રૂપિયો ડૉલર સામે નવી નીચી સપાટીએ પહોંચ્યો છે. બીજીતરફ મેનમેડ ફાઈબર બનાવવા માટેના કાચા માલ-પેટ્રોકેમિકલ યાર્નના ભાવ પણ ઊંચકાઈ ગયા છે. રૂપિયો નબળો પડ્યો અને કાચા માલનો ભાવ વધ્યો તેથી કાચા માલના આયાતકારનો ખર્ચો બમણો વધી ગયો છે. તેથી નિકાસના માર્જિન સંકોચાઈ ગયા છે. યુનાઈટેડ આરબ અમિરાત એકલામાં ભારત ટેક્સટાઈલના પ્રોડક્ટ્સની અંદાજે રૂ. 5000 કરોડની નિકાસ કરે છે. તદુપરાંત અખાતના અન્ય દેશોમાં બીજી રૂ. 1500 કરોડના ટેક્સટાઈલ પ્રોડક્ટ્સની નિકાસ કરે છે. આમ અખાતાના દેશોમાં છેડાયેલા યુદ્ધને કારણે ગુજરાતની કુલ રૂ. 6500 કરોડની નિકાસ અટવાઈ જવાની સંભાવના નિર્માણ થઈ છે. ગુજરાતમાં સૌથી પહેલા સુરત અને ત્યારબાદ અમદાવાદના મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ પર તેની અસર પડશે. ટેક્સટાઈલની નિકાસમાં તત્કાલિક રૂ. 400 કરોડનું નુકસાન થઈ શકે છે. આ દેશોમાં થતી નિકાસમાં 10થી 20 ટકાની ઘટ આવે તો પણ અંદાજે રૂ. 650થી 1300 કરોડનું નુકસાન આવી શકે છે.



