• 6 June, 2026 - 5:36 PM

ATMમાં રોકડની અછત કેમ છે?

ATM ઓપરેટરો માટે રોકડ ભરપાઈ કરવી બની રહી છે મુશ્કેલ

ATMના મફત વ્યવહારોની મર્યાદા બાદ ગ્રાહકો પાસેથી વસૂલાતી ફી વધતા વધુ લોકો ડિજિટલ પેમેન્ટ તરફ વળ્યા છે, જેના કારણે ATM ઓપરેટરોની આવકમાં વધુ ઘટાડો થયો

RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે જ્યાં રોકડની અછત હશે ત્યાં ATM અને બેંક શાખાઓમાં પૂરતી રોકડ ઉપલબ્ધ કરાવવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે.

ડિજિટલ પેમેન્ટ, ખાસ કરીને UPIનો ઉપયોગ ઝડપથી વધ્યો હોવા છતાં દેશમાં ચલણમાં રહેલી રોકડની માત્રા સતત ઊંચી છે. ભારતીય રિઝર્વ બેંકના તાજેતરના આંકડા મુજબ 29 મે, 2026 સુધીમાં ચલણમાં રહેલી કુલ રોકડ રૂ. 42.56 લાખ કરોડથી વધુ હતી, જે ગયા વર્ષની સરખામણીએ 12 ટકાનો વધારો દર્શાવે છે. તેમ છતાં દેશના કેટલાક ATMમાં રોકડ ખૂટી જવાની સ્થિતિ સર્જાઈ રહી છે.

દેશના ATM ઓપરેટરોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા કોન્ફેડરેશન ઓફ એટીએમ ઇન્ડસ્ટ્રી(CATMi) એ ઇન્ડિયન બેન્ક એસોસિયેશન(IBA) ને પત્ર લખીને ચેતવણી આપી છે કે ATMમાં રોકડ ભરવા માટે તેમને મળતી રોકડની ઉપલબ્ધિ સતત ઘટી રહી છે. નવેમ્બર 2025 દરમિયાન ATM ભરવા માટે જરૂરી રોકડની સામે માત્ર 80 ટકા રોકડ મળી હતી, એટલે કે 20 ટકાની અછત હતી. ત્યારબાદ આ અછત વધી રહી છે. માર્ચ 2026માં અછત 36 ટકા થઈ હતી જ્યારે એપ્રિલ 2026માં 43 ટકા સુધી પહોંચી હતી. એટલે કે એપ્રિલ મહિનામાં ATM ઓપરેટરોને તેમની જરૂરિયાતની માત્ર 57 ટકા રોકડ જ મળી હતી.

પત્રમાં જણાવાયું છે કે ડિસેમ્બર 2025ના અંતથી દેશના અનેક રાજ્યોમાં બેંક શાખાઓ અને કરન્સી ચેસ્ટમાંથી ATM માટે રોકડ મેળવવામાં સભ્યોને સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. CATMiના જણાવ્યા મુજબ ATMમાંથી રોકડ ઉપાડવાની સંખ્યામાં પણ સતત ઘટાડો થયો છે. જાન્યુઆરી 2023માં દર મહિને લગભગ 57 કરોડ રોકડ ઉપાડ થતા હતા, જે સપ્ટેમ્બર 2025 સુધીમાં ઘટીને લગભગ 44 કરોડ રહ્યા છે. આ ઘટાડાનું મુખ્ય કારણ ડિજિટલ પેમેન્ટ, ખાસ કરીને UPIના વધતા ઉપયોગને માનવામાં આવે છે.

CATMiએ જણાવ્યું છે કે હાલના ATM કરારોમાં દર વર્ષે માત્ર 2.5 થી 3 ટકાના સ્વાભાવિક ઘટાડાનો અંદાજ રાખવામાં આવ્યો હતો અને તે CPI આધારિત વધારા દ્વારા સંતુલિત થવાનો હતો. પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ આ અંદાજથી સંપૂર્ણપણે અલગ છે. સંસ્થાએ વધુમાં જણાવ્યું કે ATMના મફત વ્યવહારોની મર્યાદા બાદ ગ્રાહકો પાસેથી વસૂલાતી ફી વધતા વધુ લોકો ડિજિટલ પેમેન્ટ તરફ વળ્યા છે, જેના કારણે ATM ઓપરેટરોની આવકમાં વધુ ઘટાડો થયો છે. ઉદ્યોગ સાથે જોડાયેલા નિષ્ણાતોના જણાવ્યા મુજબ પરિવહન ખર્ચ, ઇંધણના ભાવ, સુરક્ષા ગાર્ડ અને અન્ય કર્મચારીઓના વેતન સહિતના ખર્ચમાં વધારો થતાં ATM ઓપરેટરો પર આર્થિક દબાણ વધી રહ્યું છે.

એક બેંકના ગ્રાહક દ્વારા બીજી બેંકના ATMનો ઉપયોગ કરવામાં આવે ત્યારે બેંકો વચ્ચે ચૂકવવામાં આવતો ઇન્ટરચેન્જ ચાર્જ રૂ. 19થી વધારી રૂ. 21 કરવામાં આવ્યો હતો, પરંતુ માત્ર રૂ. 2નો વધારો વધતા ઓપરેશનલ ખર્ચ સામે પૂરતો સાબિત થયો નથી. રોકડની અછત અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ શુક્રવારે જણાવ્યું હતું કે દર વર્ષે દેશમાં કેટલી કરન્સીની જરૂર પડશે તેનું આયોજન કરવામાં આવે છે અને જરૂર મુજબ બેંકોને રોકડ પૂરી પાડવામાં આવે છે. તેમણે કહ્યું કે જ્યાં પણ રોકડની અછત સર્જાશે ત્યાં ઝડપથી પૂરતી રોકડ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, “જો ક્યાંય રોકડની અછત હશે તો ATM અને બેંક શાખાઓમાં ફરીથી રોકડ ભરવા માટે અમારી પાસે પૂરતી કરન્સી ઉપલબ્ધ રહેશે.”

મોટા શહેરોમાં રહેતા લોકો માટે ATMમાં રોકડ ન હોવાની સ્થિતિ એટલી ગંભીર ન બની શકે કારણ કે ત્યાં ડિજિટલ પેમેન્ટ સામાન્ય બની ગયું છે. પરંતુ સરકારની ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) યોજના હેઠળ લાભ મેળવનારા લોકો માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે કારણ કે તેમના વિસ્તારના ATMમાં પૂરતી રોકડ ઉપલબ્ધ ન હોય. ઘણા વરિષ્ઠ નાગરિકો હજુ પણ રોજિંદા જરૂરિયાતો માટે રોકડ ઉપાડવાનું પસંદ કરે છે. નાના વેપારીઓ પણ મોટા પ્રમાણમાં રોકડ વ્યવહારો પર આધાર રાખે છે. CATMiએ સભ્ય બેંકોને ATMમાં વિશ્વસનીય રીતે રોકડ ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થાને તાત્કાલિક પ્રાથમિકતા આપવાની અપીલ કરી છે અને આ મુદ્દાનો ઝડપથી ઉકેલ લાવવા માટે સક્રિય રીતે આગળ આવવા વિનંતી પણ કરવામાં આવી છે.

Read Previous

India Starts Manufacturing Flex-Fuel Vehicles to Save Forex Costs

Read Next

રેલવે ટિકીટના એક PNRમાં એક જ ટિકિટ કન્ફર્મ હોય તો શું વેઇટિંગ લિસ્ટના મુસાફરો મુસાફરી કરી શકે?

Most Popular