• 6 March, 2026 - 8:52 AM

અમેરિકા–ઇઝરાયલ–ઇરાન વચ્ચેનો વધતો સંઘર્ષ વૈશ્વિક ફાર્મા સપ્લાય ચેઇન પર ગંભીર અસર

કોલ્ડ-ચેઇન લોજિસ્ટિક્સમાં વિલંબ થવાથી સંવેદનશીલ દવાઓ એટલે કે ઇન્સ્યુલિન, વેક્સિન અને મોનોક્લોનલ એન્ટીબોડી બગડવાની શક્યતા વધી જાય છે

અમેરિકા–ઇઝરાયલ–ઇરાન વચ્ચે 28 ફેબ્રુઆરી 2026થી શરૂ થયેલા સંઘર્ષને કારણે વિશ્વભરના ફાર્માસ્યુટિકલ સપ્લાય ચેઇન પર તાત્કાલિક અને ગંભીર અસર પડી રહી છે. વૈશ્વિક ફાર્મા લોજિસ્ટિક્સ માટે મહત્વપૂર્ણ કેન્દ્ર ગણાતા દુબઈથી એર કાર્ગો ટ્રાન્સશિપમેન્ટ અને કોલ્ડ-ચેઇન હેન્ડલિંગની કામગીરી ખોરવાઈ ગઈ છે.

ભારતમાંથી થતી ફાર્મા નિકાસ (ખાસ કરીને બેંગલુરુ જેવા હબમાંથી) ઘણીવાર દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (DXB) અને જેબેલ અલી મારફતે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC), આફ્રિકા, યુરોપ અને અન્ય વિસ્તારોમાં મોકલવામાં આવે છે.

ઇરાન દ્વારા યુનાઇટેડ અરબ અમીરાત (UAE)ના નિશાનો પર કરવામાં આવેલા મિસાઈલ અને ડ્રોન હુમલાઓમાં દુબઈ અને અબુધાબીનો સમાવેશ થાય છે તેને કારણે મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે. પરિણામે UAEએ પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે, DXB અને અલ મક્તૂમ (DWC) એરપોર્ટ પરની તમામ કામગીરી સ્થગિત કરી દીધી છે અને જેબેલ અલી બંદર (DP World દ્વારા સંચાલિત) પરની પ્રવૃત્તિઓ પણ બંધ કરી દીધી છે.

તેની સાથે જ મુખ્ય એર કાર્ગો કંપનીઓ જેમ કે Emirates SkyCargo અને Etihad સહિત અન્ય એરલાઈન્સે પણ ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે અને ગલ્ફ વિસ્તારમાં હવાઈ માર્ગો પર વ્યાપક પ્રતિબંધો લાગુ કરી દેવામાં આવ્યા છે. કોવિડ પછી દુબઈને લાગેલો આ સૌથી ગંભીર લોજિસ્ટિક્સ ઝટકો માનવામાં આવે છે. ફાર્મા ક્ષેત્ર પહેલેથી જ સપ્લાય વિક્ષેપ માટે સંવેદનશીલ હોવાથી તેની ઉપર ખાસ અસર પડી છે, કારણ કે આ ક્ષેત્ર ઝડપ અને નિયંત્રિત પરિસ્થિતિઓ પર આધારિત છે.

ફાર્મા લોજિસ્ટિક્સ પર પડેલા મુખ્ય પ્રભાવ અંગે વાત કરતાં ફાર્મા ઉદ્યોગ નિષ્ણાત વિકાસ નિમ કહે છે કે આ સંઘર્ષને કારણે એર ફ્રેઇટ લગભગ ઠપ થઈ ગયું છે, જે ફાર્મા માટે મુખ્ય પરિવહન માધ્યમ છે. ફાર્મા ઉદ્યોગ ઉચ્ચ મૂલ્યવાળા, સમય-સંવેદનશીલ અને તાપમાન નિયંત્રિત શિપમેન્ટ (જેમ કે APIs, વેક્સિન, બાયોલોજિક્સ અને ઇન્જેક્ટેબલ્સ) માટે એર કાર્ગો પર ભારે આધાર રાખે છે.

વિશ્વના સૌથી વ્યસ્ત આંતરરાષ્ટ્રીય કાર્ગો હબ પૈકીનું એક DXB હાલમાં સંપૂર્ણ રીતે બંધ છે અને ટર્મિનલ-3ને નુકસાન થયાની માહિતી મળી છે. Emirates SkyCargo અને અન્ય કાર્ગો કંપનીઓએ બુકિંગ અને કામગીરી બંધ કરી દીધી છે. પરિણામે ફાર્મા શિપમેન્ટ અટકી ગયા છે અને તાત્કાલિક બેકલોગ ઉભો થયો છે.

તેના વિકલ્પ રૂપે ઇસ્તાંબુલ, ફ્રેન્કફર્ટ અથવા દોહા જેવા હબ મારફતે રી-રૂટિંગ કરવાથી 2થી 5 દિવસ અથવા તેથી વધુ વિલંબ થાય છે, ખર્ચ વધે છે અને ક્ષમતા ઓછી પડે છે. સમય સંવેદનશીલ ફાર્માસ્યુટિકલ શિપમેન્ટ માટે સ્પોટ રેટ્સ પણ વધતા જાય છે.

ઇઝરાયલ-અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે સમુદ્રી પરિવહન અને બંદરો પણ અસરગ્રસ્ત થયા છે. જેબેલ અલી બંદર, જે કન્ટેનરાઈઝ્ડ અને મોટા પાયે ફાર્મા શિપમેન્ટ માટે મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર છે, ત્યાં કામગીરી સ્થગિત કરવામાં આવી છે. MSC, Maersk અને Hapag-Lloyd જેવી મોટી શિપિંગ લાઈનો મધ્યપૂર્વ માટેની બુકિંગ બંધ કરી રહી છે અને સુરક્ષા જોખમને કારણે હોર્મુઝની ખાડીનો માર્ગ ટાળી રહી છે.

તેથી મોટા પાયે APIs, જેનરિક દવાઓ અને તાત્કાલિક ન હોય તેવી શિપમેન્ટ પર અસર પડે છે. કેપ ઓફ ગુડ હોપ મારફતે માર્ગ બદલવાથી 10થી 15 દિવસનો વધારાનો સમય લાગે છે, જેના કારણે પરિવહન ખર્ચ વધે છે અને કોલ્ડ-ચેઇન લોજિસ્ટિક્સમાં તાપમાન નિયંત્રણનો જોખમ ઊભો થાય છે.

આ વિક્ષેપોના કારણે કોલ્ડ-ચેઇન અને દવાઓની ગુણવત્તા જાળવવા સંબંધિત જોખમ પણ વધ્યું છે. કોલ્ડ-ચેઇન લોજિસ્ટિક્સમાં વિલંબ થવાથી સંવેદનશીલ દવાઓ એટલે કે ઇન્સ્યુલિન, વેક્સિન અને મોનોક્લોનલ એન્ટીબોડી બગડવાની શક્યતા વધી જાય છે. ફાર્મા કંપનીઓને નિયમનકારી મુશ્કેલીઓ (જેમ કે તાપમાન ભટકાવા અંગેના રિપોર્ટ)નો સામનો કરવો પડી શકે છે અને મોંઘી તાત્કાલિક એરલિફ્ટ સેવાઓ અથવા સ્થાનિક સ્ટોકનો ઉપયોગ કરવો પડી શકે છે.

ખર્ચ વધવાને કારણે યુદ્ધ જોખમ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ, ફ્યુઅલ સરચાર્જ અને રી રૂટિંગની ફી પણ વધી ગઈ છે. અસરગ્રસ્ત માર્ગો માટે કુલ લોજિસ્ટિક્સ ખર્ચ ટૂંકા ગાળામાં 30થી 50 ટકા અથવા તેથી વધુ વધી શકે છે.

ભારત પર ખાસ અસર અંગે નિષ્ણાતો ચેતવણી આપે છે કે મધ્યપૂર્વમાં મજબૂત હાજરી ધરાવતા ભારતીય ફાર્મા નિકાસકારોને પણ મોટા વિક્ષેપોનો સામનો કરવો પડી શકે છે. GCC અને આફ્રિકા માટેની નિકાસ માટે દુબઈ મહત્વપૂર્ણ ટ્રાંઝિટ હબ છે.

વિલંબના કારણે ગંતવ્ય બજારોમાં દવાઓની અછત ઊભી થઈ શકે છે. જો આયાત (જેમ કે ઇન્ટરમીડિયેટ્સ) અટકી જાય તો ઉત્પાદન ધીમું પડી શકે છે અને વધેલો ખર્ચ આખી સપ્લાય ચેઇનમાં આગળ ધપાવવામાં આવી શકે છે.

જો આ સંકટ લાંબું ચાલે તો UAE અને આસપાસના બજારોમાં દવાઓની અછત જોવા મળી શકે છે. દુબઈને ટ્રાન્સશિપમેન્ટ પોઈન્ટ તરીકે ઉપયોગ કરતી વૈશ્વિક સપ્લાય ચેઇન (ભારતથી દુબઈ અને ત્યાંથી આફ્રિકા અથવા યુરોપ) પણ ખોરવાઈ ગઈ છે.

પરિણામે મોટો બેકલોગ ઊભો થશે. એકવાર હવાઈ માર્ગો અથવા બંદરો ફરી શરૂ થાય પછી પણ ક્લિયરન્સમાં અઠવાડિયા લાગી શકે છે, જેમ કે કોવિડ મહામારી અથવા રેડ સી સંકટ દરમિયાન જોવા મળ્યું હતું.

નિષ્ણાતોનું કહેવું છે કે યુદ્ધને કારણે નિર્માણ થયેલી સ્થિતિનો તાત્કાલિક ઉકેલ દેખાતો નથી. તેથી ફાર્મા કંપનીઓ વિકલ્પ માર્ગો (જેમ કે ભારતથી યુરોપ માટે સીધી ફ્લાઇટ્સ અથવા સાઉદી અરેબિયા અને ઓમાનના બંદરો), સ્થાનિક વેરહાઉસિંગ વધારવું અથવા એર-સી હાઈબ્રિડ મોડલ જેવા વિકલ્પો અપનાવી રહી છે.

કેટલીક કંપનીઓ નજીકના ઉત્પાદન કેન્દ્રો (nearshoring) અને ડ્યુઅલ-સોર્સિંગ પણ વધારી રહી છે. ભારતીય ફાર્મા કંપનીઓએ Emirates SkyCargo, DP World અને ભારતની સંસ્થાઓ જેમ કે DGFT તથા Pharmexcil તરફથી મળતા અપડેટ્સ પર સતત નજર રાખવાની જરૂર છે.

Read Previous

ભારતે અમેરિકાને પૂછ્યું કે હોર્મુઝ ખાડીમાંથી પસાર થતાં જહાજોને ઇન્શ્યોરન્સ કવર મળશે ખરું?

Read Next

અમેરિકાની મંજૂરી વિના ઇરાન નવા નેતાને પસંદ કરશે તો તે સમય બગાડ ગણાશેઃ ડોનાલ્ડ ટ્રમ્પ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular